કાચા મકાનમાં વસવાટ કરતી ધવલીદોડ ગામની મહિલાનુ પરીવાર સાથે પાકા મકાનમાં રહેઠાણનું સ્વપ્ન પુર્ણ થયુ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
કાચા મકાનમાં વસવાટ કરતી ધવલીદોડ ગામની મહિલાનુ પરીવાર સાથે પાકા મકાનમાં રહેઠાણનું સ્વપ્ન પુર્ણ થયુ
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: “વિકાસ સર્વસમાવેશક, સર્વ પોષક અને સર્વ વ્યાપક હોવો જોઇએ.” આવા સ્પષ્ટ અભિગમ સાથે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલની સરકાર જનકલ્યાણના દરેક ક્ષેત્રને પ્રગતિના શિખરે પહોંચાડવા પ્રયત્નશીલ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રત્યેક યોજનાઓનો મુળ હેતુ છેવાડાનાં માનવીનાં કલ્યાણ માટેનો છે.
ત્યારે રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના અંતરીયાળ ગામડાઓમાં પણ વિકાસ પહોંચ્યો છે. સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી લોકોને આશ્રય મળ્યો છે. આહવા તાલુકાના ધવલીદોડ ગામના લાભાર્થી સુમિત્રાબેન સામુભાઇ મહાકાળને વર્ષ ૨૦૨૨-૨૩ માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળવા પામ્યો છે.
કપરી પરિસ્થિતીનો સામનો કર્યા બાદ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો જે બદલ સરકારનો આભાર વ્યક્ત કરતા મહિલા લાભાર્થી શ્રીમતી સુમિત્રાબેન સામુભાઇ મહાકાળ જણાવે છે કે, પોતાના પરિવાર સાથે તેઓ કાચા મકાનમા નિવાસ કરી રહ્યા હતા. જ્યાં ચોમાસા દરમિયાન છતમાંથી પાણી ટંપકતુ હતુ. પાકું મકાન તેઓ માટે સ્વપ્ન સમાન હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેઓને આવાસ યોજનાનો લાભ મળ્યો, અને તેઓ હવે સપરિવાર પાકા મકાનમાં નિવાસ કરી રહ્યા છે. છતમાંથી પાણી ટપકવાની પરિસ્થિતીથી તેઓ હવે મુક્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામાં ગત વર્ષ ૨૦૨૨-૨૩ માટે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ ૩૯૦૯ આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો હતો. જેમાં કાચા મકાન ધરાવનાર કેટલાંય લોકોએ પોતાના માટે પાકા આવાસનું સ્વપ્ન પૂર્ણ કર્યું છે.
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ઘર વિહોણા લાભાર્થીઓને તથા કાચા અને જર્જરિત મકાનમાં રહેતા પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ પુરૂ પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ઉદ્દેશ્ય છે, પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) તા.૨૦/૧૧/૨૦૧૬ થી અમલમાં મૂકવામાં આવી છે. જેમાં ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧૦૧૫૭ ઘરો બાંધવાના નિર્ધારિત સામે લક્ષ્યાંક ૬૨૭૪ આવાસ સંપૂર્ણ પણે પૂર્ણ થયેલ છે.