કોંઢ-દોડવાડા ગામ વચ્ચે મહિલાનો મૃતદેહ મળવાના મામલામાં પતિ જ હત્યારો નિકળ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
કોંઢ-દોડવાડા ગામ વચ્ચે મહિલાનો મૃતદેહ મળવાના મામલામાં પતિ જ હત્યારો નિકળ્યો:
સર્જન વસાવા, વાલિયા : વાલિયા તાલુકાના કોંઢ અને દોડવાડા ગામ વચ્ચે આવેલ નાળા નીચેથી મહિલાની ગળુ કાપી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મામલામાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરતાં ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ની મદદથી હત્યાનો કારસો મૃતક મહિલાના પતિએ જ રચ્યો હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો. પારિવારીક ઘર કંકાસને કારણે આવેશમાં આવી તેણે જ તેની પત્નીની હત્યા કરી હોવાની કબુલાત કરતાં પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાલિયા તાલુકામાં આવેલાં કોંઢ ગામથી દોડવાડા ગામ તરફ જવાના રોડ પર આવેલાં એક નાળા નીચેથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં વાલિયા પોલીસનો કાફલો તુરંત સ્થળ પર દોડી ગયો હતો. વાલિયા પોલીસે તપાસ કરતા મહિલાના ગળાના ડાબી બાજુમાં તિક્ષ્ણ હથિયારથી ચાર ઇંચથી વધારે લાંબો અને બે ઇંચ કરતાં વધુ ઉંડો ઘા પડેલો જોવા મળ્યો હતો. તેમજ તેના ડાબા ગાલ પર, દાઢીના ભાગે, ડાબા હાથની પહેલી અને ત્રીજી આગળી પાસે અને જમણા હાથની ત્રીજી અને ચોથી આંગળી વચ્ચે પણ તિક્ષ્ણ હથિયારના ઘા ના નિશાન દેખાયાં હતા. પોલીસે મામલામાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ શરૂ કરતાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી. તેના પતિએ જ તેની હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અને પોલીસની તપાસમાં મૃતકનું નામ ઋચિ અવસ્થી હોવાનું માલુમ પડ્યું હતું. જ્યારે તેના પતિનું નામ રાજેન્દ્ર રામચંદ્ર શ્રી વાસ્તવ હોવાનું માલુમ પડ્યું હતું. રાજેન્દ્ર શ્રીવાસ્તવના પહેલાં લગ્ન થયાં હતા. તેમની પહેલી પત્નીનું વર્ષ 2018 માં હદયરોગના હૂમલાને કારણે મોત થયું હતું. જેથી તેમણે લખનઉ ની ઋચિ અવસ્થી સાથે વર્ષ 2019 માં બીજા લગ્ન કર્યાં હતા. જોકે લગ્ન બાદ ઋચિ અવાર નવાર તેના પિયરે જતી રહેતી હતી અને રૂપિયાનો બેફિકરાઇથી વપરાશ કરતી હતી. જેથી દંપતિ વચ્ચે તકરાર થઇ હતી. બીજી તરફ તે તેમના સંતાનોને ઘરમાં એકલાં મુકીને બહાર જતી રહેતી હતી. જેની રાજેન્દ્ર અને તેની વચ્ચે વારંવાર તકરાર થતી હતી. દરમિયાનમાં તેમની વચ્ચે પુન: ઉગ્ર ઝઘડો થતાં તેણે ઉશ્કેરાઇ જઇ ઘરના મંદિરમાં મુકેલી કટાર જેવું તિક્ષ્ણ હથિયાર લઇ ઋચિનું ગળું કાપી નાંખી તેની હત્યા કરી હતી. જે બાદ પુરાવાનો નાશ કરવાના ઇરાદે તેણે તેની લાશને એક ચાદરમાં લપેટી દોડવાડા ગામ પાસેના નાળામાં તેનો મૃતદેહ ફેંકી દોધો હતો. પોલીસે હત્યારા પતિ રાજેન્દ્ર શ્રીવાસ્તને ઝડપી પાડી હત્યામાં વપરાયેલું હથિયાર મેળવવા સહિતના મુદ્દાઓને લઇને તેને કોર્ટ રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.



