Gujarat

દમણગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ્દ કરવાની સુરત ખાતે જાહેરાત કરતાં મુખ્યમંત્રી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, ડાંગ રામુભાઈ માહલા

દમણગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ્દ કરવાની સુરત ખાતે જાહેરાત કરતાં મુખ્યમંત્રીશ્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ

યોજનાને રદ્દ કરવાના ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અભિવાદન સમારોહ યોજાયો:

 આદિવાસી બાંધવોનું હિત રાજ્ય સરકાર માટે સર્વોપરિ:-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ
 રાજ્ય અને કેન્દ્ર સરકારની દમણગંગા પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટ રદ્દ કરવા માટે પરસ્પર સહમતિ:-મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

યોજનાને રદ્દ કરવાની જાહેરાત માટે મુખ્યમંત્રીશ્રી સ્વયં દક્ષિણ ગુજરાતમાં આવ્યા એ બદલ આભારની લાગણી વ્યકત કરતા આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ

સુરત: ગુજરાતના આદિવાસી બાંધવોના વિશાળ જનહિતને કેન્દ્ર સ્થાને રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા દમણગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ્દ કરવા કેન્દ્ર સરકારને અસરકારક રજૂઆત કરતા કેન્દ્ર સરકારે આ પ્રોજેકટ રદ્દ કર્યો છે. જનહિતના આ ઐતિહાસિક નિર્ણય બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો સુરત સરકીટ હાઉસ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઉમરગામથી લઈ તાપી સુધીના આદિવાસી સમાજના ધારાસભ્યશ્રીઓ-સાંસદશ્રીઓ, સહકારી અગ્રણીઓ, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓએ મોટી સંખ્યામાં મુખ્યમંત્રીશ્રીનું ઉમળકાભેર અભિવાદન કર્યું હતું.


આ પ્રસંગે રાજ્ય સરકાર સદૈવ જનતાના હિતને વરેલી છે એમ સ્પષ્ટપણે જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, પરંતુ નદીઓ આસપાસના આદિજાતિ વિસ્તારો અસરગ્રસ્ત થશે એવી આદિવાસી સમાજની રજૂઆત અને લાગણીને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડીને આ પ્રોજેક્ટ રદ્દ કરવામાં સફળતા મેળવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારની દમણગંગા-પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેક્ટ રદ્દ કરવા માટે પરસ્પર સહમતિ સધાઈ છે.
આદિવાસી બાંધવોનું વિશાળ હિત રાજ્યસરકાર માટે સર્વોપરિ છે એમ જણાવતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને આદિવાસીઓના ઉત્થાન માટે અનેકવિધ યોજનાઓ ચલાવે છે, જેનો રાજ્યના લાખો આદિવાસી ભાઈ-બહેનો લાભ મેળવી રહ્યાં છે. આદિવાસી બંધુઓને સમાજના મુખ્યપ્રવાહમાં સામેલ કરવાં માટે રાજ્ય સરકાર સતત પ્રયાસરત છે, ત્યારે આ યોજનાના અમલીકરણ અંગે સહેજ પણ ઉચાટ કે ગેરસમજ ન રાખવા મુખ્યમંત્રીશ્રીએ આ તકે સૌને ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
વિપક્ષો દ્વારા આ યોજનાના અમલીકરણથી દક્ષિણ ગુજરાતના અનેક આદિવાસીઓ વિસ્થાપિત થશે તે પ્રકારના મુદ્દે આદિવાસી બાંધવોમાં ગેરસમજ-અપપ્રચાર ફેલાવવામાં આવ્યો હતો એનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકારની કોઈ પણ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકારની મંજૂરી આવશ્યક હોય છે, ત્યારે આદિવાસીઓના હિતને પ્રાધાન્ય આપીને આ યોજનાને પડતી મૂકવામાં આવી છે. ‘સૌનો સાથ અને સૌનો વિકાસ’ મૂળ મંત્રથી આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે સરકાર પ્રતિબદ્ધ છે.
આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારના બજેટમાં દેશની અનેક રિવર લિંક યોજનાઓ સાથે દમણગંગા પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટની પણ જાહેરાત અને નાણાકીય જોગવાઈ કરવામાં આવી હતી, પરંતુ આદિવાસી બાંધવોના હિતોને ધ્યાને લઈને દમણગંગા-પાર-તાપી-નર્મદા-લિંક યોજનાને રદ્દ કરવામાં આવી છે જેની જાહેરાત માટે મુખ્યમંત્રીશ્રી સ્વયં દક્ષિણ ગુજરાતમાં આવ્યા એ બદલ આભારની લાગણી વ્યકત કરી હતી. તેમણે ખોટી ભ્રામકતાઓ ફેલાવનારાઓ સામે જાગૃત બનીને સૌ કોઈને સાથે મળીને કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો.
સુમુલ ડેરીના ચેરમેનશ્રી માનસિંહભાઈ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસી પરિવારોનું હિત કેન્દ્ર અને રાજય સરકારના હૈયે વસેલું છે. કોંગ્રેસ દ્વારા ભ્રામક વાતો કરીને આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાની વિગતો તેમણે આપી હતી.
આ વેળાએ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મીડિયાકર્મીઓ સાથે વાર્તાલાપ પણ કરી યોજનાને રદ્દ કરવાં અંગે માહિતગાર કર્યા હતાં.
આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી, કૃષિ, ઉર્જા રાજ્યમંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી, સાંસદ અને પ્રદેશ સંગઠન અધ્યક્ષશ્રી સી.આર.પાટીલ, પૂર્વ મંત્રી સર્વશ્રી રમણલાલ પાટકર, કાંતિભાઈ ગામિત, ધારાસભ્યશ્રી પ્રવિણ ઘોઘારી, મેયર હેમાલી બોઘાલાવા, સુરત શહેર સંગઠન પ્રમુખશ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, આદિવાસી અગ્રણીઓ સર્વશ્રી મંગળભાઈ ગામીત, ગણપતભાઈ માહલા, સૂરજ વસાવા, જયરામ ગામીત, મોહન કોકણી, કુવરજી હળપતિ  સહીત અન્ય પદાદીકારીઓ  ઉપસ્થિત રહ્યાં હતા.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button