જે સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓને ક્લાસમાંથી કાઢી મુકાતા કલેકટરને આવેદનપત્ર:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
જે સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં આદિવાસી વિદ્યાર્થીઓને ક્લાસમાંથી કાઢી મુકાતા કલેકટરને આવેદનપત્ર:
સ્કોલરશીપના નાણાં સરકારે જમા નથી કર્યા તેમ કહીને વિદ્યાર્થીનીઓને લેક્ચરમાંથી બહાર કાઢી મુકતા આધુનિક દ્રોણાચાર્યો સામે બળવો કરવા વિદ્યાર્થીનીઓ મજબૂર બની છે
તાપી: આજરોજ આદિવાસી આગેવાન એડ. જીમ્મી પટેલ તેમજ અન્ય આગેવાનો આપ તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્રભાઈ ગામીત, નિલેશભાઈ ચૌધરી, યોગેશભાઈ ચૌધરી, રાજેશભાઇ ગામીત અને વિધાર્થીઓની આગેવાનીમાં તાપી જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે કે આદિવાસી વિધાર્થીઓ જે સી.એન. કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ ખાતે વર્ષ 2023-2024 ના વર્ષમાં સરકારશ્રીની ફ્રીશીપ કાર્ડ સ્કોલરશીપ યોજના હેઠળ એડમિશન લીધેલ છે, સરકારની યોજના હેઠળ આદિવાસી વિસ્તારમાંથી આવતા પછાત વર્ગના બાળકોની ફી સરકાર આપે છે. કોઈક કારણસર સરકાર શ્રી દ્વારા આ ફી જમા થવામાં વિલંબ થતાં કોલેજના સંચાલકો દ્વારા આદિવાસી બાળકો જેમની ફી સરકાર દ્વારા જમા કરવામાં નથી આવી તેમને લેક્ચરમાંથી કાઢી મુકાતા આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો. જેના પરિણામે સામાજીક, તેમજ વિવિધ રાજકીય પક્ષના આગેવાનોએ વિદ્યાર્થીઓના પડખે આવી જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.
આદિવાસી પછાત વર્ગથી આવતા વિધાર્થીઓના શિક્ષણિક વિકાસ માટે સરકાર સહાય આપે છે. ત્યારે છેલ્લા એક માસથી જે સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજના મેનેજમેન્ટ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે. તેવી ગંભીર પ્રકારની રજૂઆત વિદ્યાર્થીનીઓ દ્વારા જિલ્લા કલેકટરને લખાયેલ પત્રમાં આક્ષેપ કરવામાં આવી છે, તેમજ સંચાલકો સામે એટરોસીટીના કાયદા મુજબ કલેકટર કાર્યવાહી કરે તેમ પણ ઉલ્લેખવામાં આવ્યું છે.
આમ સમગ્ર મામલે હકારાત્મક વલણ સાથે વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિતના રહી જાય તે માટે સંચાલકોને સૂચના આપવાની બાંહેધરી આગેવાનો તેમજ વિદ્યાર્થીઓને કલેકટર દ્વારા આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતના બંધારણમાં કરવામાં આવેલા ૮૬ માં સંસોધન મુજબ શિક્ષણને મૂળભૂત માનવ અધિકાર તરીકે ઉલ્લેખવામાં આવ્યું છે. કોઈ પણ શિક્ષણ સંસ્થાન બાળકને શિક્ષણથી વંચિત કરવાનું ગુનાહિત કૃત્ય કરે તે અસહનીય છે. નાગરિક સમાજ, સામાજીક આગેવાનો તેમજ રાજકીય પક્ષોએ આવી કોઈ પણ ઘટનાની ઝીણવટપૂર્વક તપાસ કરી સમાજમાં દાખલો બેસાડવો પડે જેથી ભવિષ્યમાં અન્ય કોઈ પણ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રાખવાનું ગુનાહિત કૃત્ય કોઈ પણ સંસ્થાન કરે નહી. સમગ્ર મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યા બાદ જે સી.એન.કોઠારી હોમિયોપેથીક મેડિકલ કોલેજ આ સાથે વિવાદોના ઘેરામાં આવી ગઈ છે. રાજકીય વગ ધરાવનાર સંચાલકો સામે જિલ્લા તંત્ર શું કાર્યવાહી કરે છે તે મામલે હવે આવનારો સમય બતાવશે.