ડેડિયાપાડાના ખામ ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા ૫ થી ૬ વર્ષથી લાઈટ જ નથી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડેડિયાપાડાના ખામ ગામે આવેલ આંગણવાડી કેન્દ્રમાં છેલ્લા ૫ થી ૬ વર્ષથી લાઈટ જ નથી:
જવાબદાર અધિકારીઓ શું ધ્યાન આપી રહ્યા છે?, કે તાલુકા જિલ્લા મથકે થી એસી ચેમ્બરમાં બેસીને તમામ માહિતી લઇ રહ્યા છે
વીજળીના પાવર વિના આંગણવાડીનો બોર/મોટર પણ શોભાના ગાંઠીયા સમાન:
આંગણવાડીના રિપેર માટે ફાળવેલ ગ્રાન્ટમાં પણ ભારે ભ્રષ્ટાચાર થયું હોવાની આશંકા!!!
સર્જન વસાવા, નર્મદા: ડેડીયાપાડા તાલુકાના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવેલ ખામ ગામ જ્યાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી હેલ્પર બહેનનાં જણાવ્યા અનુસાર છેલ્લા ૫ થી ૬ વર્ષથી લાઈટ જ નથી. સ્થાનિક જવાબદાર અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવી છે. આ કેન્દ્રમાં આવેલ બોર – મોટર પણ વીજળીનાં કનેક્શન વિના શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ છે. આટલા બધા વર્ષો થયા બાદ પણ હજુ સુધી આ આંગણવાડી કેન્દ્રમાં વીજળી નથી. જીઇબીનાં અધિકારીઓ દ્વારા બે – બે મીટર મૂકી આપવામાં આવેલ છે, પરંતુ કોઈ કારણોસર કનેક્શન તૂટી ગયેલ હતું. તો આજ સુધી જોડવામાં આવેલ નથી. ઉચ્ચ અધિકારીઓ દ્વારા અનેકવાર કેન્દ્રની મુલાકાત લેવા છતાં આજ સુધી કોઈની નજરમાં આ આવ્યું નથી તે પણ એક સવાલ ઉભો થાય છે.
આ આંગણવાડી કેન્દ્રનું બાંધકામ વર્ષ ૨૦૦૯-૧૦ માં કરવામાં આવેલ છે, ત્યારબાદ રિપેર જાણતા રિપેર માટે સરકારશ્રી દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે, છતાં કોન્ટ્રાકટરો અને સ્થાનિક અધિકારીઓની મીલીભગતથી રિપેર કામમાં વેઠ ઉતારવામાં આવી છે. અને હાલ પણ આંગણવાડી કેન્દ્રની તમામ બારીઓ તૂટેલી હાલતમાં છે. અને ધાભુ પણ લીકેજ થાય છે ત્યારે બાળકોને ચોમાસામાં ક્યાં બેસાડવા તે સવાલ ઉભો થયો છે. અને સરકાર શ્રી દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટનો દુરુપયોગ થયેલ છે. ત્યારે વિજિલન્સ તપાસ થાય તો ભારે ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે.
ત્યારે ઉચ્ચ જવાબદાર અધિકારીઓ દ્વારા આંગણવાડી કેન્દ્રની તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યું.