ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ વધ્યો: સેશન્સ કોર્ટે જામીન કર્યા નામંજૂર

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ વધ્યો: સેશન્સ કોર્ટે જામીન કર્યા નામંજૂર
ધારાસભ્ય ચૈતર વસાવાને હવે હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે;
સર્જન વસાવા, દેડીયાપાડા : નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લાફા કાંડમાં જામીન મેળવવા માટે હજુ પણ રાહ જોવી પડશે. નીચલી કોર્ટ બાદ હવે સેશન્સ કોર્ટે પણ તેમના જામીન નામંજૂર કર્યા છે, જેના કારણે તેમને જેલવાસ ભોગવવો પડશે અને હવે જામીન અરજી માટે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું કે,ચૈતર વસાવા સામે 2023 માં અગાઉ પણ એક ગુનો નોંધાયેલો છે. કોર્ટે તેમને શરતી જામીન આપ્યા હતા કે ફરી આવો ગુનો નહીં કરે. છતાં 5 જુલાઈએ તેમણે ગુનો કર્યો છે. 2022 માં લૂટ અને મારામારીના કેસમાં તેમને 6 માસની સજા થઈ હતી. પ્રોબેશન પર છૂટ્યા બાદ પણ તેમણે ભરૂચ, અંકલેશ્વર, રાજપારડી અને નેત્રંગમાં ગુના કર્યા છે. ધારાસભ્ય બનતા પહેલા તેમને તડીપાર અને પાસા હેઠળ પણ સજા થઈ હતી. કુલ 18 જેટલા ગુના તેમના નામે નોંધાયેલા છે. સરકારી કચેરી અને પોલીસ સ્ટેશનને નુકસાની પોંચાડવાનું જે ધમકી મળી હતી તે કોર્ટ દ્વારા ધ્યાનમાં લેવામાં આવ્યું છે. સરકારી પક્ષે ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન નામંજૂર કરવા માટે તેમના અગાઉના કેસોની રજૂઆત કરી હતી. અને વર્ષ 2023 માં ફોરેસ્ટ વિભાગ સંબંધિત એક કેસમાં તેમને શરતી જામીન મળ્યા હતા, અને તે કેસ હજુ એડિશનલ કોર્ટમાં ચાલી રહ્યો છે. આ રજૂઆતોને ધ્યાનમાં રાખીને નીચલી કોર્ટ અને ત્યારબાદ સેશન્સ કોર્ટે પણ ચૈતર વસાવાના જામીન નામંજૂર કર્યા છે.
આ નિર્ણયને કારણે ધારાસભ્ય ચૈતર વસાવાએ હવે વધુ સમય જેલમાં વિતાવવો પડશે અને હવે તેમને જામીન મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડશે.



