ધોરણ ૧૦, ૧૨ રિપીટરની પરીક્ષા સંદર્ભે અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનુ જાહેરનામુ પ્રસિધ્ધ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ધોરણ ૧૦, ૧૨ રિપીટરની પરીક્ષા સંદર્ભે અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીનુ જાહેરનામુ પ્રસિધ્ધ:
દિનકર બંગાળ, વઘઈ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા જુન/જુલાઈ-૨૦૨૪ માં લેવાનારી ધોરણ-૧૦ (એસ.એસ.સી.), ધોરણ-૧૨ (એચ.એસ.સી.) સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના રિપીટર ઉમેદવારોની પરીક્ષા તા.૨૪/૬/૨૦૨૪ થી તા.૬/૭/૨૦૨૪ દરમ્યાન યોજાનાર છે. જેથી વિદ્યાર્થીઓ આ પરીક્ષા નિર્ભયપણે અને મુક્ત વાતાવરણમાં આપી શકે તે માટે કાયદો અને વ્યવસ્થા સુપેરે જળવાય રહે તે હેતુસર ડાંગના અઘિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.બી.ચૌઘરી દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ અન્વયે એક જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે.
જે મુજબ તા.૨૪/૬/૨૦૨૪ થી તા.૬/૭/૨૦૨૪ દરમિયાન જિલ્લાના ૩ કેન્દ્રો ઉપર પરીક્ષા યોજાશે. જેમા (૧) સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવા ખાતે ધોરણ-૧૦ (એસ.એસ.સી.) પરીક્ષા, (૨) દિપદર્શન માધ્યમિક શાળા-આહવા ખાતે ધોરણ-૧૨ (એચ.એસ.સી.) વિજ્ઞાન પ્રવાહની, તેમજ (૩) એકલવ્ય મોડલ રેસિડેન્સિયલ સ્કુલ, આહવા ખાતે સામાન્ય પ્રવાહની પરીક્ષા યોજાનાર છે.
ઉપરોક્ત પરીક્ષા કેન્દ્રોના ચારે તરફ ૧૦૦ મીટરનાં વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે તેમજ પરીક્ષાર્થીઓ નિર્ભયપણે પરીક્ષા આપી શકે તે માટે, પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલ તમામ ઝેરોક્ષ સેન્ટરો પરીક્ષા સમય દરમ્યાન સવારે ૯:૦૦ થી સાંજે ૧૯:૦૦ સુધી બંધ રાખવા જરુરી અને ઇષ્ટ જણાતું હોવાથી, ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ મુજબ પગલાં લેવા શ્રી બી.બી.ચૌઘરી, (જી.એ.એસ.), અઘિક જીલ્લા મેજીસ્ટ્રેટ, ડાંગ-આહવા દ્વારા પ્રતિબંધ ફરમાવવામા આવેલ છે.
-:પ્રતિબંઘિત કૃત્યો:-
(૧) ચાર કે તેથી વધુ શખ્સોએ ભેગા થવુ નહી. સભાઓ ભરવી કે બોલાવવી નહી તેમજ સરઘસ કાઢવુ નહી. તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર કે બેન્ડ વાજા વિગેરે ઘ્વનિ વર્ઘક સાઘનોનો ઉપયોગ કરવો નહિ કે કોઇ પણ પ્રકારનાં સુત્રો પોકારવા નહી.
(૨) જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવા ફેલાવવી નહી.
(૩) પરીક્ષા કેન્દ્રની આસપાસના તમામ ઝેરોક્ષ સેન્ટરો બંધ રાખવા તેમજ કોપીરાઇટ કે ડુપ્લીકેટ પ્રશ્નપત્રો કે તેના જવાબોની કોપીઇંગ મશીન દ્વારા કોપી કરવી નહિ તથા પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ ફોન, સેલ્યુલર ફોન તથા અન્ય કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણો કે પુસ્તકો, કાપલી, પરીક્ષા સ્થળમાં લઈ જવુ નહી.
(૪) પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓ તથા ફરજ ઉપરના સ્ટાફ કે અઘિકૃત વ્યક્તિ સિવાય કોઇએ અનઅઘિકૃત પ્રવેશ કરવો નહિ.
(૫) પરીક્ષા ખંડમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપતા પરીક્ષાર્થીઓને અન્ય કોઇ વ્યક્તિ અથવા પરીક્ષાર્થી જાતે પરીક્ષામાં ચોરી કરીને/ કરાવીને/કરવામાં મદદ કરીને અથવા ચોરી ગણાય તેવા કોઇ સાહિત્યની આપ લે કરીને/કરાવીને ત્રાસ, ખલેલ કે ભય પહોંચે તેવું કૃત્ય કરવુ નહિ.
ઉપર જણાવેલ પ્રતિબંધો આવશ્યક સેવા તથા પરીક્ષાલક્ષી ફરજની કામગીરીમાં રોકાયેલા હશે તેમને તેમજ પ્રતિબંધિત વિસ્તારમાંથી સ્મશાન યાત્રામાં જતા ઇસમોને લાગુ પડશે નહી.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાંના ભંગ બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપરની કક્ષાના પોલીસ અઘિકારીશ્રી/કર્મચારીશ્રીને અઘિકૃત કરવામાં આવેલ છે.
આ હુકમ તા. ૨૪/૬/૨૦૨૪ના થી તા. ૬/૭/૨૦૨૪ સુઘી (બન્ને દિવસો સહિત) ઉપર મુજબના પરીક્ષા સ્થળોના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે.