પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન મેળવી વાસુર્ણાં ગામના યુવકે પુરક રોજગારી મેળવી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
પરંપરાગત આયુર્વેદિક જ્ઞાન મેળવી વાસુર્ણાં ગામના યુવકે પુરક રોજગારી મેળવી:
પરંપરાગત આયુર્વેદિક પધ્ધતિથી ઉપચાર કરતો વાસુર્ણાં ગામનો યુવક : ઔષધિય ગુણો ધરાવતા માલકાંગણીના તેલથી લોકોનો ઉપચાર કરે છે.
સરકારની યોજનાકીય સહાયનો લાભ મળતા વાસુર્ણાં ગામના યુવક શ્રી પ્રકાશભાઇ બાગુલને પુરક રોજગારી પ્રાપ્ત થઇ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: કુદરતના ખોળે વસેલા અને પ્રાકૃતિક વન સંપદાઓથી ભરપુર એવા ગુજરાતના ડાંગ જિલ્લામાં જંગલની જડીબુડ્ડીઓનો ખજાનો સમાયેલ છે.
વર્ષોથી પરંપરાગત રીતે ચાલી આવતી ટ્રેડીશનલ હીલર્સ પધ્ધતિ અર્થાત આયુર્વેદિક પધ્ધતિ જે ડાંગ જિલ્લાના સ્થાનિક લોકજીવનમા વણાયેલી જોવા મળે છે.
ડાંગ જિલ્લામા જડીબુટ્ટીનુ જ્ઞાન ધરાવનાર લોકોને ભગત (વૈદ) તરીકે ઓળખવામા આવે છે. આ ભગતો જે પોતાના બાપદાદાઓ પાસેથી જડીબુડ્ડી દવાઓનુ જ્ઞાન મેળવી, તેને આજે પણ જાળવી રાખી વનસ્પતિના છોડ તેમજ જડીબુટ્ટીઓના ઉપયોગ થકી લોકોને મદદરૂપ થઇ રહ્યા છે.
ડાંગ જિલ્લામા કુલ ૩૧૧ ગામડાઓ આવેલ છે. જેમા વિવિધ ગામોમાંથી કુલ ૧૬૮ જેટલા ભગતો ગ્રામજનોને આયુર્વેદિક સેવાઓનો લાભો આપે છે.
ઓષધિય આયુર્વેદિક પધ્ધતિથી ઉપચાર કરનાર આ ભગતો મુખ્યત્વે બ્રાહ્મિ, અશ્વગંધા, કાળીજીરી, ભાંગરો, અરડુસી, નીમ, અર્જુન સાદડ, ગરમાળો, જાંબુ, આમળા, નગોડ, બીજોરૂ, સર્પગંધા, પારિજાત, એલોવીરા, કમરખ જેવી વનસ્પતિઓનો મુખ્ય ઉપયોગ કરે છે.
જિલ્લાના આ તમામ ભગતો પૈકી ૨૦ થી ૨૨ ભગતો જે ખુબ જ સક્રીયપણે કામ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાનુ વન વિભાગ પણ આ ભગતોને પ્રોત્સાહિત કરે છે. તેઓ માટે ટ્રેડીશનલ હીલર્સના સેમિનાર યોજવામા આવે છે. તેમજ તાલીમ પણ આપવામા આવે છે.
ડાંગ વન વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ મા ભગતોના ઔષધીયષ વિકાસ માટે ૪.૩૮ લાખની ગ્રાંન્ટની ફાળવણી કરવામા આવી હતી. જે ભગતો માટે ખુબ જ સહાયરૂપ નિવડી હતી. વન વિભાગ દ્વારા આ ભગતોને ઔષધિય રોપાઓ પણ પુરા પાડવામા આવે છે.
ભગતો ખાસ કરીને પોતાના સમુદાયના વિશ્વાસુ માણસો અથવા પોતાના પરીવારજનોમાંથી સમજદાર વ્યક્તિને લોક સેવાઓ માટે નિયુક્ત કરતા હોય છે. સાથે જ તેઓને આયુર્વેદિક દવાઓની જાણકારી આપી પરંપરાગત જ્ઞાનને જાળવી રાખવામા મદદરૂપ થતા હોય છે.
આવા જ એક વાસુર્ણાં ગામના વૈદ જે, સમગ્ર ડાંગ જિલ્લા ભગત મંડળીના સ્વર્ગસ્થ પ્રમુખ શ્રી શાંતિરામભાઇ બાગુલના સુપુત્ર શ્રી પ્રકાશભાઇ બાગુલ જેઓ પિતાનો વારસો લઇ ઓષધિય દવાઓ બનાવી રહ્યા છે.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામા સમાવિષ્ટ વાસુર્ણાં ગામના શિક્ષિત યુવાન શ્રી પ્રકાશભાઇ બાગુલે પિતાનો વારસો આગળ વધારવાનુ વિચારી ઔષધિય દવાઓ બનાવવાનુ શરૂ કર્યું છે. તેઓ ઘરબેઠા વન ઓષધિઓમાંથી બનાવેલ જડીબુટ્ટીઓથી લોકોનો આયુર્વેદિક ઉપચાર કરી રહ્યા છે.
વર્ષ ૨૦૨૩ ગુજરાત સરકારના આદિજાતી વિકાસ વિભાગના ન્યુ પેર્ટન યોજના અંતર્ગત વન વિકાસ સદરે ડાંગ જિલ્લા આયુર્વેદિક કચેરી મારફત ભગત મંડળીઓને સરકારી યોજનાકીય સહાય આપવામા આવી હતી. જેમા શ્રી પ્રકાશભાઇ બાગુલને ઔષધિય બીજ પીલાણ મશીન આપવામા આવ્યુ હતુ.
પ્રકાશભાઇ હાલ મુખ્યત્વે માલકાંગણીનું તેલ બનાવી રહ્યા છે. તેઓ જંગલમાંથી બીજ મેળવી તેનુ પીલાણ કરીને વેચાણ કરી રહ્યા છે. ડાંગ જિલ્લાના જંગલોમાં ઉગતી જડીબુટ્ટી જેમા માલકાંગણીને મેઘા એટલે કે બુદ્ધિવર્ધક જડીબુટ્ટી પણ કહેવામા આવેલ છે. ઔષધિય ઉપચારમા માલકાંગણીના બીજ અને તેના તેલનો ઉપયોગ થાય છે. માલકાંગણીનુ આ તેલ હઠીલા દર્દને તુરત દુર કરે છે.
માલકાંગણીને જ્યેતિષ્મતિ તરીકે પણ ઓળખવામા આવે છે. માલકાંગણીનુ તેલ તેના બીજમાંથી મેળવવામા આવે છે. માલકાંગણીનુ તેલ ખાદ્ય (edible) છે. માલકાંગણીના તેલને અંગ્રેજીમાં સેલેસ્ટ્રસ ઓઈલ (CELASTRUS OIL) કહે છે. તે બ્રેઈન ટોનિક છે. તેનાથી યાદશક્તિ ખીલે છે.
પ્રકાશભાઈ સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવે છે કે, સરકાર દ્વારા તેઓને બીજ પીલાણ મશીન આપવામા આવ્યુ. જે બાદ તેઓ, જાતે જ પોતાના ઘરે બીજનુ પીલાણ કરી દવાઓ બનાવી રહ્યા છે.
શરૂઆતમા તેઓને અન્ય જગ્યાએ જવુ પડતુ સાથે જ પીલાણ મશીન તેઓ ખરીદી શકે તેમ નહોતા જેથી સરકાર દ્વારા તેઓને આ પીલાણ મશીનનો લાભ મળતા તેઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રકાશભાઇ પાસે મોટી સંખ્યામા લોકો માલકાંગણીના તેલની ખરીદી કરે છે. સરકાર દ્વારા અપાયેલા પીલાણ મશીનથી તેઓ ઘર બેઠા તેઓ લોકોની સારવાર કરી રહ્યા છે. સાથે જ પુરક રોજગારી પણ મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા પેદા થતી સેંકડો વન ઔષધીઓનો ઉપયોગ કરીને જટીલ રોગો સામે અસરકારક ઈલાજ કરતા આ વૈદ ભગતો પરંપરાગત વનૌષધીઓનો જ્ઞાનથી હઠીલા રોગોથી પીડાતા અનેક દર્દીઓને પીડા મુક્ત કરી રહ્યા છે. પરંપરાગત આયુર્વેદિક પદ્ધતિઓથી અનેક નિ:સંતાન દંપતીઓને સંતાન સુખ પણ મળી છે. તો આ સાથે જ અસાધ્ય રોગ કહીં શકાય તેવા કેન્સર, ડાયાબિટિસ, વા, સંધિવા, બ્લડપ્રેશર જેવા રોગો પર પણ અકસીર સાબિત થયેલ છે.