પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની કામગીરીની સમીક્ષા માટે DDO બારડોલી તાલુકાના વાંસકુઈ અને સુરાલી ગામની મુલાકાતે:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ સાઈટ
પ્રધાનમંત્રી આવાસ યોજનાના સર્વેની કામગીરીની સમીક્ષા માટે DDO બારડોલી તાલુકાના વાંસકુઈ અને સુરાલી ગામની મુલાકાતે:
સુરત જિલ્લામાં ૬ વર્ષ બાદ નવા પીએમ આવાસો બનાવવા સર્વે શરૂ કરાયો: જિલ્લાના ૭૪૯ ગામોના પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને આવાસ મેળવવાની તક મળશે
પ્રત્યેક ગામ દીઠ એક સર્વેયરની નિમણુંક કરી નવા લક્ષ્યાંકના સર્વેની કામગીરી હાથ ધરાઈ
ગ્રામીણ ટુડે, સુરત: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત દેશના દરેક નાગરિકને પોતાનું ઘર મળે એ માટે સમયાંતરે સર્વે કરવામાં આવે છે. જેથી બાકી રહી ગયેલા જરૂરીયાતમંદોને અને કાચા ઘરમાં રહેતા લોકોને પાકુ ઘર મળે. સુરત જિલ્લામા ૬ વર્ષ બાદ નવા પ્રધાનમંત્રી આવાસ બનાવવા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે સર્વેની કામગીરીની સમીક્ષા માટે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલે બારડોલી તાલુકાના બારડોલી તાલુકાના વાંસકુઈ અને સુરાલી મુલાકાત લીધી હતી. શ્રી ગોયલે પીએમ આવાસોના નવા સર્વે તથા જૂના વર્ષના પૂર્ણ કરવાના બાકી આવાસોની ચકાસણી કરી સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચના આપી હતી.
સુરત જિલ્લાના વિવિધ ગામોમાં નવા પીએમ આવાસ બનાવવાની ખાસ ઝુંબેશ અને સર્વે અંતર્ગત તાલુકા દીઠ ટીમ બનાવવામાં આવી છે. જેમાં પ્રત્યેક ગામ દીઠ એક સર્વેયરની નિમણુંક કરી નવા લક્ષ્યાંકના સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના ૭૪૯ ગામોમાં પીએમ આવાસથી વંચિત રહી ગયેલા લાભાર્થીઓને પાકું આવાસ મેળવવાની ફરી એકવાર તક મળશે.
સર્વેયર દ્વારા ગામના લાભાર્થીઓ આધાર કાર્ડ, બેંક પાસબુક વિગત, રાશનકાર્ડ અને જોબ કાર્ડ વગેરે વિગતોથી મોબાઇલ એપ્લિકેશન દ્વારા રજિસ્ટ્રેશન કરી ઘરવિહોણા તથા કાચા ઘરમાં રહેતા લોકો માટે નવા ઘરની અરજી કરવામાં આવી રહી છે. જેની ચકાસણી કરી ગ્રામીણ વિસ્તારમાં પીએમ આવાસ યોજના હેઠળ અગાઉના મંજુર થયેલ ૨૮,૧૦૦ જેટલા આવાસ પૈકી ૨૫,૦૦૦ જેટલા આવાસ પૂર્ણ થયા છે. અને બાકી રહેલ ૩૧૦૦ જેટલા આવાસની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે તાલુકા દીઠ જિલ્લા કક્ષાના નોડલ અધિકારીની નિમણૂંક કરી તેમને જવાબદારી સોપવામાં આવી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રીએ માંડવી અને ઉમરપાડા તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી.