મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અબ્રામા ખાતે પૂ. દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરનું કર્યું ખાતમુહૂર્ત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે અબ્રામા ખાતે પૂ. દાદા ભગવાન પ્રેરિત ત્રિમંદિરનું કર્યું ખાતમુહૂર્ત:
પૂ.દિપક ભાઈજીની આજના કાર્યક્રમમા પ્રેરક ઉપસ્થિતિ રહી.
સુરત જિલ્લાના અબ્રામા ખાતે નિર્માણ પામનાર પૂજ્ય દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિરનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. દુ:ખિયાના દરબારની આગળ, કેનાલ રોડ, અબ્રામા ખાતે દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા સાત વીઘા ભૂમિમાં નિર્માણ પામનાર નૂતન ત્રિમંદિરમાં ભગવાન શિવ, સીમંધર સ્વામી, શ્રી કૃષ્ણ, ગણેશજી, ખોડિયાર માતાજી, અંબા માતાજી તેમજ શ્રી સાઈબાબાની મૂર્તિઓ બિરાજશે.
ત્રિમંદિરના ભૂમિ પૂજન પ્રસંગે પૂ.દિપક ભાઈજીએ ઉપસ્થિત અનુયાયીઓને આશીર્વચન પાઠવ્યા હતા.
નોંધનીય છે કે, હાલમાં અડાલજ, મુંબઈ, બરોડા, રાજકોટ, ગોધરા, ભુજ સહિત અન્ય શહેરોના કુલ ૧૮ ત્રિમંદિરોમાં હજારો અનુયાયીઓ દર્શનનો લાભ લઈ રહ્યા છે, જ્યારે મુંબઈના થાણે, પૂણે અને વેરાવળ(ગીર સોમનાથ)માં વધુ ત્રણ મંદિરો નિર્માણાધિન છે. ઉપરાંત, સુરતના અબ્રામામાં પણ વધુ એક ત્રિમંદિર નિર્માણ પામશે.
આ પ્રસંગે ૨૪-સુરત સંસદીય મત વિસ્તારના બિનહરીફ વિજેતા ઉમેદવાર શ્રી મુકેશભાઈ દલાલ, ધારાસભ્યોશ્રી કિશોરભાઈ કાનાણી અને કાંતિભાઈ બલર, મેયર શ્રી દક્ષેશ માવાણી, રાજ્યના પૂર્વ મંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.