મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત સમર યોગ અને સંસ્કાર શિબિરનું દેડિયાપાડા ખાતે સફળ સમાપન

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત સમર યોગ અને સંસ્કાર શિબિરનું દેડિયાપાડા ખાતે સફળ સમાપન
બાળકોમાં યોગ, પૌષ્ટિક આહાર અને જીવન મૂલ્યોના સંસ્કારનો સંદેશ અપાયો
સર્જન વસાવા, ડેડિયાપાડા: નાગરિકોમાં મેદસ્વિતા (મોટાપો) સામે જાગૃતિ લાવીને આરોગ્યપ્રદ જીવનશૈલીને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર દ્વારા પ્રારંભાયેલા મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનને કેન્દ્રમાં રાખીને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ અને સંસ્કાર શિબિર કેમ્પ 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું.
નર્મદા જિલ્લામાં તા.16/05/2025 થી 30/05/2025 દરમિયાન નિશુલ્ક યોગ શિબિર કેમ્પ યોજાયો હતો. 7 થી 15 વર્ષના બાળકો માટે યોજાયેલા 15 દિવસિય યોગ શિબિર કેમ્પનું સમાપન દેડિયાપાડા તાલુકાના ઉમરાળ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીના માર્ગદર્શન અને જિલ્લા યોગ કો-ઓર્ડીનેટર શ્રી વસંતકુમાર વસાવાના નેતૃત્વમાં યોગ અને સંસ્કાર શિબિરમાં બાળકોને યોગ, પ્રાણાયામ, આસન, સૂર્યનમસ્કાર, યોગિક આહારની સમજ, ભગવદ ગીતા શ્લોક પાઠન, રમતો અને સંસ્કાર આધારિત પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. ઉપરાંત, પૌષ્ટિક અને સંતુલિત આહાર, દૈનિક વ્યાયામ અને ફિટનેસના મહત્વને જાણવા અને અપનાવવા માર્ગદર્શિત કર્યા હતા.
આ કાર્યક્રમના મુખ્ય આયોજકોમાં નર્મદા જિલ્લા યોગ કોચ શ્રી દિલીપભાઈ વસાવા તથા યોગ શિક્ષકોશ્રીમતી જમનાબેન અને શીલાબેન વસાવાનું ખાસ યોગદાન રહ્યું હતું.
શિબિરમાં બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી યોગા ચિત્ર પોથી, પુસ્તિકા તથા પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવ્યો હતો.
આ ઉપરાંત, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ સમર કેમ્પમાં બાળકોને પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા. દાતાઓએ બાળકોને નોટબુક, પેન્સિલ, કલર બોક્સ, બોલપેન અને રોજિંદા ઉપયોગી સામગ્રી ભેટરૂપે આપીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
સમાપન કાર્યક્રમમાં જિલ્લા સોશિયલ મીડિયા યોગ કોર્ડીનેટરશ્રી રાજનકુમાર વસાવા, યોગ શિક્ષિકા હેમલતાબેન વસાવા, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.