રાજ્યના ગિરિમથક સાપુતારા ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક લઇ જવાં પર પ્રતિબંધ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
રાજ્યના ગિરિમથક સાપુતારા ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિક લઇ જવાં પર પ્રતિબંધ:
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, વાપીના પત્રથી આ વર્ષના વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની થીમ “Ending Plastic Pollution Globally” નો ઉદ્દેશ પ્લાસ્ટિક કચરાને નાબૂદ કરવા માટે વૈશ્વિક પગલાંને પ્રોત્સાહન આપવા અંગે જરૂરી પ્રતિબંઘાત્મક હુકમ બહાર પાડવા જણાવેલ છે.
જે ધ્યાને લેતાં, ડાંગ જિલ્લામાં સ્થિત સાપુતારા ગિરિમથક ખાતે વિશાળ સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. પર્યટકો દ્વારા મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક ઉત્પાદનો વાળી ચીજ વસ્તુઓ લાવવામાં આવે છે. જે અંતે પ્લાસ્ટિક વેસ્ટ સ્વરૂપે સદર વિસ્તારમાં એકઠો થતો હોય છે. આવો પ્લાસ્ટિક કચરો નોન બાયોડિગ્રેડેબલ છે. જે આસપાસના વન્યપ્રાણીઓ અને પર્યાવરણને હાનિ પહોંચાડે છે જેથી પર્યાવરણીય સંતુલન બગડે છે. પ્લાસ્ટિકના પ્રદૂષણ બાબતે અસરકારક પગલાં લઈ શકાય અને પ્લાસ્ટિકના પ્રદૂષણનું પણ નિયંત્રણ થઈ શકે અને વન્ય જીવ તથા પર્યાવરણને થતું નુકશાન અટકાવી શકાય તે હેતુથી ડાંગના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી વિ.કે.જોષી દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ (BNSS) ની કલમ-૧૬૩ અન્વયે સાપુતારા ગિરિમથકના વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા, તેમજ સાપુતારા ગિરિમથક ખાતે સિંગલ યુઝ પ્લાસ્ટિકની નીચે મુજબની ચીજવસ્તુઓ લઇ જવા ૫ર પ્રતિબંઘ ફરમાવેલ છે.
(૧) ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક બોટલ, પ્લાસ્ટિકની લાકડીઓવાળા ઇયરબડ્સ, પ્લાસ્ટિકના ધ્વજ, સજાવટ માટે પોલિસ્ટીરીન [થર્મોકોલ].
(૨) ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક પ્લેટો, કપ, ગ્લાસ, કટલરી જેમ કે કાંટા, ચમચી, છરીઓ, સ્ટ્રો, ટ્રે તેમજ અન્ય પ્લાસ્ટિક પેકિંગ મટીરીયલ, ૧૦૦ માઇક્રોનથી ઓછા પ્લાસ્ટિક અથવા પીવીસી બેનરો.
ઉપરોક્ત સિંગલ યુઝ પ્લાસ્ટિક ચીજવસ્તુઓના સ્થાને પર્યાવરણીય સુરક્ષિત એવી વૈકલ્પિક ચીજવસ્તુઓ (જેવી કે ફરી વપરાશમા લઇ શકાય એવી પાણીની બોટલ,પેપર કપ/પ્લેટ, કાપડ/શણની થેલી, વાંસના ઉત્પાદો ) ના વપરાશને પ્રાધાન્ય આપવુ ઇચ્છનીય છે. આ હુકમની અમલવારી જે-તે વિભાગના જે-તે વિસ્તારના તમામ સ્તરના જવાબદાર અધિકારીશ્રીઓ દ્વારા કરાવવાની રહેશે.
આ જાહેરનામાનો ભંગ/ઉલ્લઘન કરનારને (સાપુતારા ગિરિમથક ખાતે ના વિસ્તારમા જો કોઇ વ્યક્તિ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ/પ્લાસ્ટિક કચરો જાહેર જગ્યામા ફેંક્તા પકડાશે તો) ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૦૨૩ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે, તથા ચીફ ઓફિસરશ્રી, નોટીફાઇડ એરીયા કચેરી સાપુતારા દ્વારા નિયત કરવામાં આવેલ દંડની રકમ અઘિકૃત કરેલ કર્મચારી દ્વારા મેળવવાની રહેશે.
આ જાહેરનામું તારીખ ૦૪/૦૬/૨૦૨૫ થી તા.૦૩/૦૮/૨૦૨૫ ના કલાક ૨૪.૦૦ સુઘી અમલમાં રહેશે. તેમજ આ જાહેરમાનું સમગ્ર સાપુતારા નોટિફાઇડ એરિયા વિસ્તારને લાગું પડશે.