વઘઇ ખાતે આદિજાતી વિભાગના કુલ રૂપિયા ૩૨૬૫.૩૨ લાખના કાર્યોનુ કરાયું ખાતમુહૂર્ત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, દિનકર બંગાળ,
ડાંગ જિલ્લાના વઘઇ ખાતે આદિજાતી વિભાગના કુલ રૂપિયા ૩૨૬૫.૩૨ લાખના કાર્યોનુ કરાયું ખાતમુહૂર્ત:
વઘઈ: રાજ્યના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ, તેમજ ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ડાંગ જિલ્લાના આદિજાતી વિકાસ વિભાગની વઘઈ અને સાપુતારા આદર્શ નિવાસી શાળાની વિવિધ બિલ્ડીંગ માટેનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રંસગે મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યુ હતું કે, આજે ડાંગ જિલ્લામાં કુલ ૭૦ કરોડ જેટલાં વિવિધ વિકાસકીય કામોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું છે.
ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના નેતૃત્વમા આજે આદિવાસીઓનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. ડાંગ જિલ્લો આજે વિકસિત જિલ્લો બની રહ્યો છે. આદિવાસીઓના વિકાસ માટે આદિજાતિ વિભાગની અનેક યોજનાઓ આવેલી છે, જે યોજનાઓનો લાભ લેવા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીએ લોકોને અનુરોધ કર્યો હતો.
વિકસિત ભારત યાત્રા દરમિયાન છેવાડાના માનવી સુધી સરકારની વિવિધ યોજનાઓ પહોંચાડી છે. આ સાથે જ વિવિધ યોજનાઓથી લોકોને લાભાવિન્તં કર્યા છે. આદિજાતિ વિસ્તારમાં કરોડોના ખર્ચે વિકાસકીય કામો કરીને, ભૂતકાળની પરિસ્થિતિમા બદલાવ કર્યો છે. તેમ મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ વધુમાં જણાવ્યું હતું.
આદિજાતિ વિકાસ વિભાગના વઘઈ અને સાપુતારા ખાતે નિર્માણ થનાર આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડીંગમા વિદ્યાર્થીઓને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહેશે. મકાન બાંધકામની કામગીરી ટૂંક જ સમયમાં શરૂ કરવામાં આવશે, તેમ વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.
વર્ષે ૨૦૦૯મા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે ડાંગ જિલ્લાને વઘઈ અને સુબિર તાલુકાની ભેટ મળી હતી. જેના કારણે આજે અહીં મામલતદાર કચેરી તેમજ અન્ય કચેરીઓના કારણે લોકોના કામો ઝડપથી થવા લાગ્યા છે તેમ પણ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.
નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં મહાકાય ડેમો નહીં બને, પરંતુ નદીનું વહેતું પાણી અટકાવવા માટે ૮૨ કરોડના ખર્ચે નાના ડેમો બનાવવામા આવશે.
છેવાડાના ડાંગ જિલ્લામાં અવિરત વિકાસ પ્રવાહ ચાલતો રહે તે માટે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા વિકાસના કામોમાં ઝડપભેર મંજૂરી આપવામાં આવી રહી છે. જે બદલ જિલ્લા પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાંગ જિલ્લાના આદિજાતી વિકાસ વિભાગના નિર્માણ થનાર કામોમા વઘઇ ખાતે આદર્શ નિવાસી કુમાર શાળાનું મકાન, હોસ્ટેલ બિલ્ડીંગ તથા ડાયનીંગ હોલ અને સ્ટાફ ક્વાર્ટરનું બાંધકામ રૂ. ૨૧૪૫.૯૨ લાખ, તેમજ સાપુતારા ખાતે આદર્શ નિવાસી કન્યા શાળા સંકુલમાં હોસ્ટેલ બિલ્ડીંગનું બાંધકામ રૂ.૧૧૧૯.૪૦ લાખના ખર્ચે બનાવવામા આવશે. જેમા આદિજાતી વિસ્તારના કુલ ૪૪૦ થી વધુ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ, રહેવાની સગવડ સાથે લાભ મળશે. તેમજ સ્ટાફના કર્મચારીઓ/અધિકારીઓને રહેવા માટે કુલ ૨૨ આવાસોનો લાભ મળશે.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિત, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતિ ચંદરભાઈ ગાવિત, ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવિત, મહામંત્રી શ્રી રાજુભાઈ ગામિત, શ્રી હરિરામ સાવંત, શ્રી દિનેશભાઇ ભોયે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.એમ.ડામોર, કાર્યપાલક ઈજનેર શ્રી એસ.આર.પટેલ, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારી શ્રી આર.કે.કનુજા, વઘઈ મામલતદાર શ્રી આર.એમ.ચૌધરી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.