વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં, સુબિર તાલુકાના ધાર્મિક સ્થળ કંસારીયા ગઢ ખાતે વિવિધ વિકાસના કામોના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો:

શ્રોત : ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમાં, સુબિર તાલુકાના ધાર્મિક સ્થળ કંસારીયા ગઢ ખાતે વિવિધ વિકાસના કામોના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો:
ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ સ્વચ્છતા જાળવવા લોકોને કરી અપીલ
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ગુજરાત વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમા તારીખ ૨૬ એપ્રિલના રોજ સુબીર તાલુકાના ધાર્મિક સ્થળ કંસારીયા ગઢ ખાતે વિવિધ વિકાસના કામોના ખાતમુહર્તનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, આદિવાસીઓના પવિત્ર યાત્રાધામ કંસારીયા ગઢ ખાતે મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના શ્રધ્ધાળુંઓ અને પ્રવાસીઓ આવતાં હોય છે ત્યારે અહિં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવી ખુબ જ જરૂરી હતી. જે સ્થાનિક લોકોની આસ્થા અને લોકોની માંગણીઓને ધ્યાને રાખી વન વિભાગ દ્વારા આજે અહિં વિવિધ કામોનું ખાતમુહર્ત કરવામાં આવી રહેલ છે.
આદિવાસીઓની માન્યાતાઓ અને શ્રદ્ધાને ધ્યાનમાં રાખી દેવખળીનું અપ્રગેટેશન કરવામાં આવશે સાથે જ શ્રધ્ધાળુંઓને દર્શનાર્થે કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે નાનો કોઝવે પણ બનાવવામાં આવશે.
જંગલ વિસ્તારમાં આવેલ આ દેવ સ્થાન ઉપર લોકોની શ્રધ્ધા અને આસ્થા રહેલી છે ત્યારે અહિં જંગલ પણ જળવાઇ રહે તે જરૂરી છે. જંગલ જ ડાંગની ઓળખ છે. જંગલના કારણે જ અહિં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતાં હોય છે જેથી સ્થાનિક લોકોએ જંગલ બચાવવાં સાથે વન વિભાગને પણ સહયોગ આપે તે જરૂરી છે. ડાંગનું જંગલ સાચવવાં આપણાં સૌની જવાબદારી છે તેમ શ્રી વિજયભાઇ પટેલે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે ઉત્તર નાયબ વન સંરક્ષક શ્રી દિનેશભાઇ રબારીએ પોતાના પ્રાસંગીક વકતવ્યમાં જણાવ્યું હતું કે, કંસારીયા ગઢ ખાતે ગુજરાતના પ્રવાસન વિભાગ દ્વારા વન વિભાગ હસ્તક આવેલ યાત્રાધામ ખાતે વિવિધ વિકાસની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં અહિં ધાર્મિક હેતુઓ માટે આવનાર લોકો માટે પાયાકીય સુવિધાઓ મળી રહે તે માટે આજરોજ પ્રોવાઇડીંગ પેવર બ્લોક ફોર્મ મેઇન રોડ ટુવર્ડ ધ એન્ટ્રી સ્ટેર, રીનોવેશન ઓફ પ્રોટેક્શન વોલ ફોર્મ નાળા ટુ કોઝવે, પેવર બ્લોક નીયર ફોરેસ્ટ ચૌકી, રીનોવોશન ચોતરા એન્ટ્રી, જેકેટીંગ ઓફ પ્રોટેક્શન વોલ ફોર્મ કોઝવે ટુ મેઇન રો, ઇમ્પ્રુવમેન્ટ ઓફ પ્રોટેક્શન વોલ ફોર્મ ચેકડેમ ટુ વર્ડસ ધ એન્ટ્રી પોઇન્ટ જેવા વિવિધ વિકાસના કામોનું ખાતમુહર્ત કરવામાં આવેલ છે.
આ સાથે જ આ ધાર્મિક સ્થળે સ્વચ્છતા જળવાઇ રહે અને સ્થાનિક લોકો વન વિભાગને સહયોગ આપે તેમજ ધાર્મિક સ્થળે સ્વચ્છતા જાળવી સ્થળની પવિત્રતા જાળવી રાખે તે જરૂરી છે, તેમ તેઓએ વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇન, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, વઘઈ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિત, સુબિર તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી રવિનાબેન ગાવિત સહિતના જિલ્લા અને તાલુકાના સદસ્યો, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી શ્રી સુભાષભાઈ ગાઈન, સહિત વન વિભાગના આર.એફ.ઓશ્રીઓ વન કર્મીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.