રાજકોટ શહેર માટે 26 મે, 2024નો દિવસ કાળો બન્યો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
રાજકોટ શહેર માટે 26 મે, 2024નો દિવસ કાળો બન્યો
ગ્રામિણ ટુડે ન્યુઝ: રાજકોટના કાલાવડ રોડ આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી હતી. હાહાકાર મચાવતી આગ દુર્ઘટનામાં વેકેશન અને વિકેન્ડની મજા માણવા ગયેલા માસુમો કાળનો કોળ્યો બન્યા હતાં. માત્ર 30 જ સેકન્ડમાં આખેઆખો ગેમઝોન સળગી ઉઠ્યો હતો. રાતના એક વાગ્યા સુધી 28ના મોત થયા હતા અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.
રાજકોટ અગ્નિકાંડમાં મોટા સમાચાર સામે આવ્યાં છે. TRP ગેમઝોનના આ અગ્નિકાંડમાં 28 મૃતદેહો મળ્યા છે. તો બીજી બાજુ આ TRP ગેમઝોનના માલિક-સંચાલકો સામે FIR નોંધાઈ છે. યુવરાજસિંહ સોલંકી અને પ્રકાશ જૈન સહિત 6 આરોપીઓ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ તમામ સામે IPC 304, 308, 337 ,338 અને 114ની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઘટનાને લઈ ક્રાઈમ બ્રાન્ચે અનેક આરોપીઓની અટકાયત કરી હતી, હવે તાલુકા પોલીસ વિધિવત ધરપકડ કરશે.
રાજકોટ અગ્નિકાંડની ઘટના અંગે મૃતકોની માહિતી વિશે જણાવતા રાજકોટ AIIMSના ફોરેન્સિક મેડિસિન વિભાગના હેડ પ્રો.ડો.સંજય ગુપ્તાએ જણાવ્યું કે આગની ઘટનામાં 28 જેટલી ડેડબોડી મળી આવી છે, તેમાંથી 18 જેટલી બોડીના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. 18 જેટલી બોડી AIIMS હોસ્પિટલ ના કોલ્ડ સ્ટોરેજમાં મૂકવામાં આવી છે. ગાંધીનગર ખાતે ડીએનએના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ ચકાસણી થઈને આવ્યા બાદ તે તમામ પરિવારોને મૃતદેહ સોંપવાની કામગીરી કરવામાં આવશે.
અગ્નિકાંડ એ માનવસર્જિત ડિઝાસ્ટર – હાઈકોર્ટ
રાજકોટ શહેરના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ અગ્નિકાંડને ગુજરાત હાઈકોર્ટે માનવસર્જિત ડિઝાસ્ટર ગણાવી છે. આ ઘટનાને લઈને ગુજરાત હાઇકોર્ટમાં વિશેષ બેન્ચે સુનાવણી કરી હતી. હાઈકોર્ટે સુઓમોટો હાથ ધરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય મહાનગરપાલિકાઓ પાસે ગેમઝોન મુદ્દે જવાબ માગ્યો છે. અને એક જ દિવસમાં ખુલાસા કરવા હાઇકોર્ટે આદેશ આપ્યો છે.
ઘટનાનુ કારણ: ગેમઝોનની સીડી પર વેલ્ડિંગ કરતી વખતે તણખાં ઝરતાં અચાનક આગ ભભૂકી જો કે ઉપર જવા માટે એક જ સીડી હોવાથી બીજા-ત્રીજા માળના લોકોને બચવાનો રસ્તો જ મળ્યો નહીં. જેને કારણે મૃત્યુઆંક ખૂબ જ વધી ગયો. ગેમ ઝોનમાં રબ્બર અને રેક્ઝિનનું ફ્લોરિંગ હતું. સાથે જ પતરાંનાં સ્ટ્રક્ચરમાં થર્મોકોલની શીટનું પાર્ટીશન હતું. વળી કાર ઝોન ફરતે એક હજારથી વધુ ટાયર હતા. આ ઉપરાંત અહીં પચ્ચીસો લીટર ડીઝલ હોવાથી આગ વિકરાળ બની હતી.
સસ્તી સ્કીમને કારણે ગેમ ઝોનમાં ભીડ
વેકેશન અને વીકેન્ડને કારણે એન્ટ્રી ફી 500 રૂપિયાથી ઘટાડી 99 રૂપિયા કરી હતી. જેને કારણે અહીં ભીડ વધું હતી.દુર્ઘટના સમયે અહીં 300 લોકો હાજર હતા. જેમાંથી ઘણા લોકો હજુ લાપતા છે.