આગામી તા.૬ સપ્ટેમ્બરે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત ખાતે જળસંચય જનભાગીદારીનો કાર્યક્રમ યોજાશેઃ

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
આગામી તા.૬ સપ્ટેમ્બરે વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સુરત ખાતે જળસંચય જનભાગીદારીનો કાર્યક્રમ યોજાશેઃ
જળસંચય જનભાગીદારીના કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ:
સુરત સહિત દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જળસંચયના કામોનો શુભારંભ થશે:
તા.૪થીએ કેન્દ્રીય જળશકિત મંત્રીના હસ્તે માંડવીના તડકેશ્વર ખાતે જળ સંચયના કામોનો શુભારંભ થશે
ફતેહ બેલીમ, સુરતઃ કેન્દ્રીય જળશકિત મંત્રાલય અને રાજય સરકાર દ્વારા આગામી તા.૬/૦૯/૨૦૨૪ના રોજ સવારે ૯.૩૦ વાગે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં અને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સુરત ખાતે જળ સંચય જન ભાગીદારીનો કાર્યક્રમ યોજાશે. ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાનારા કાર્યક્રમના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, જળ સંચય જનભાગીદારીના કાર્યક્રમમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના જળ સંચયના કામોનો શુભારંભ થશે. વરસાદી પાણીને જમીનમાં સંગ્રહિત કરવા માટે રાષ્ટ્રીય જળ મિશન હેઠળ ‘કેચ ધ રેઈન’, રેઈન વોટર હાર્વેસ્ટીંગના કામો દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જનભાગીદારી સાથે મોટી સંખ્યામાં થનાર છે. તા.૬ઠ્ઠીએ યોજાનારા કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાના ધારાસભ્યો, કલેકટરશ્રીઓ, જિલ્લા પંચાયતના પ્રમુખો અને પદાધિકારીઓ મોટી સંખ્યામાં ભાગ લેશે. કાર્યક્રમમાં સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, કનેકટીવીટી અંગે સંબધિત અધિકારીઓને સુચના આપી હતી.
કેન્દ્રીય જળશકિત મંત્રીશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને તા.૪થીએ સવારે ૧૧.૦૦ વાગે માંડવી તાલુકાના તડકેશ્વર ખાતે જળ સંચય જન ભાગીદારી અભિયાનનો કાર્યક્રમ યોજાશે જેમાં સુરત જિલ્લામાં ૨૦૩૧ જેટલા જળસંચયના કામોનું ખાતમુહૂર્ત કરશે. જેના આયોજન અંગે કલેકટરશ્રીએ જે તે અધિકારીઓને સુચનાઓ આપી હતી.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, પ્રાંત અધિકારીઓ, મામલતદારશ્રીઓ, સંબધિત અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.