પાંચપીપરી શાળાના આચાર્ય સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે શિક્ષણાધિકારીને રજુઆત કરાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
પાંચપીપરી શાળાના આચાર્ય સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સાથે શિક્ષણાધિકારીને રજુઆત કરાઇ:
સર્જન વસાવા, દેડીયાપાડા: સાગબારાના પાંચપીપરી ગામની શાળાના મુખ્ય શિક્ષક બ્રિજેશ વસાવા વિરૂદ્ધ પાંચપીપરીના ગ્રામજનો તથા શાળાના પુર્વ આચાર્ય ઉત્તમ વસાવાએ નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા ખળભળાટ મચ્યો છે.
પાંચપીપરીના ગ્રામજનોએ આવેદનપત્રમાં આક્ષેપ લગાવ્યો છે કે અમારા ગામની પ્રાથમિક શાળામાં એકતરફી બદલી કરાવીને આવેલા વિણાબેન સિનિયર હોવા છતાં બ્રિજેશ વસાવા ડરાવી ધમકાવી એમને ચાર્જ આપતા નથી અને ખોટી રીતે નાણાકીય લેવડ દેવડ કરે છે. બ્રિજેશ વસાવા સારી શૈક્ષણિક કામગીરી કરતા નથી, શાળાના ૮૦ ટકા બાળકોને વાંચતા-લખતા આવડતું નથી, એકમ કસોટીમાં પણ બાળકોને જોઈ જોઈને લખાવવામાં આવે છે. હાલ શાળામાં જે નિવાસી કેમ્પ ચાલે છે એમાં બાળકો રહેતા નથી, જે બાળકો રહે છે એમને મારી ધમકાવી રાખે છે. ગામના વાલીઓ ક્યાંય સ્થળાંતર થયેલ ન હોવા છતાં નિવાસી કેમ્પમાં – એસએમસી તથા રસોઈયાના બાળકો રહે છે. નિયત સંખ્યા કરતાં ઓછા બાળકો નિવાસી કેમ્પમાં રહે છે, બાળકોની ખોટી હાજરી પુરવામાં આવે છે. બાળકોને ટાઈમ ટેબલ મુજબ ભોજન પણ અપાતું નથી. બાળકોને રાખવા માટે બિનઅધિકૃત ૨ વ્યક્તિઓને રાખવામાં આવ્યા છે, એ લોકો બાળકો પાસેથી પૈસા લઈ બાળકોને માર મારે છે. ગામમા જ્યાં ઉત્તરક્રિયા કે લગ્ન પ્રસંગ હોય ત્યા બાળકોને જમવા મોકલી આપી નિવાસી કેમ્પમાં ખોટા ખર્ચાઓ બતાવાય છે. નિવાસી કેમ્પનું અનાજ કરિયાણું પોતાની ઘરે લઈ જાય છે.જેથી નિવાસી કેમ્પ તાત્કાલિક બંધ થાય એવી અમારી માંગ છે. શાળામાં છેલ્લા ૩ વર્ષથી એસએમસી કમિટીની રચના પણ કરવામાં આવી નથી, અને એસએમસી ની ગ્રાન્ટનો પણ દુરુપયોગ અને ભ્રષ્ટાચાર કરાય છે. જુની શાળાનો કાટમાળ વેચી અને વૃક્ષો પણ કાપી નાખી કમેટીમાં ઠરાવ કર્યા વગર વેચી દેવાયો છે. શાળાના પુર્વ આચાર્ય ઉત્તમ વસાવાને બ્રિજેશ વસાવાએ ડેક્સ કરવાની ધમકીઓ આપી છે.