સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘વિકાસ સપ્તાહ’ અને ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-2025’ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો :

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ‘વિકાસ સપ્તાહ’ અને ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-2025’ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો :
ગ્રામીણ ટુડે ન્યુઝ, અમદાવાદ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘વિકાસ સપ્તાહ’ અને ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-2025’ની ઉજવણી અંતર્ગત અમદાવાદમાં સાબરમતી રીવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ, સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા.
રાજ્યના ખેડૂતો, પશુપાલકો અને નાગરિકો એમ કુલ 1 કરોડ 11 લાખથી વધુ લોકોએ વિવિધ જનહિતકારી પહેલો બદલ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને સંબોધીને લખવામાં આવેલ આભારપત્રોની નોંધ ‘વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ’, લંડન તેમજ અન્ય વર્લ્ડ રેકોર્ડ્સની ઇન્ટરનેશનલ બુક્સમાં નોંધાયા, જેનું સર્ટિફિકેટ મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે ઉપસ્થિત સૌ નાગરિકો સાથે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ, વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વિશાળ સંખ્યામાં નાગરિકોએ માનનીય વડાપ્રધાનશ્રીને પોસ્ટકાર્ડ લખ્યાના વર્લ્ડ રેકોર્ડ બદલ ગૌરવ અનુભવતા જણાવ્યું હતું કે, લોકોએ આટલી મોટી સંખ્યામા લખેલા પોસ્ટકાર્ડ એ માનનીય વડાપ્રધાનશ્રીએ સામાન્ય માનવીની કરેલી સેવા અને દરકાર પ્રત્યે આભારની અનુભૂતિ છે. તેમણે માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ઓક્ટોબર 2001 થી શરૂ થયેલી રાજ્યની વણથંભી વિકાસયાત્રા સુશાસનના 25મા વર્ષમાં પ્રવેશી છે, તેને હવે આઝાદીની શતાબ્દી અને વિકસિત ભારત 2047 તરફની અવિરત કૂચ તરીકે જારી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. તેમણે આ વર્ષે વિકાસ સપ્તાહ સાથે આંતરરાષ્ટ્રીય સહકારીતા વર્ષનો પણ સુયોગ થયો છે તેનો વિશેષ ઉલ્લેખ કરતાં આજના કાર્યક્રમને આત્મનિર્ભર ભારત અભિયાન તેમજ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના વિચારને સાર્થક કરતો ગણાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ માનનીય વડાપ્રધાનશ્રીના દિશાદર્શનમાં સમૃદ્ધ ભારત માટે વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલના ધ્યેય સાથે સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપીને તથા સ્થાનિક ઉત્પાદનની ગુણવત્તા પર વિશેષ ભાર આપીને આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવવા સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તા.7 થી 15 ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 24 વર્ષના સુશાસન દરમિયાન ગુજરાતની અવિરત વિકાસયાત્રાની સિદ્ધિઓ દર્શાવતા ‘વિકાસ પ્રદર્શન’નો આ અવસરે શુભારંભ કરાવ્યો હતો. માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા આત્મનિર્ભર અને વિકસિત ભારતની સંકલ્પના સાથે #NextGenGSTReforms અને સ્વદેશી અભિયાન બદલ ખેડૂતો, પશુપાલકો, સહકારી સંસ્થાઓ તથા સામાન્ય નાગરિકો દ્વારા 1 કરોડથી વધુ #ThankYouPMSir ના પોસ્ટકાર્ડ લખીને માનનીય વડાપ્રધાનશ્રીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો તેમાં સહભાગી થઈ ખુદ મુખ્યમંત્રીશ્રીએ પણ અનેક જનસુવિધાઓના વિકાસ અને કલ્યાણકારી નિર્ણયો બદલ આભાર માનતું પોસ્ટકાર્ડ લખ્યું હતું.



