સાપુતારામાં સફાઈ કર્મચારીઓ સાથે હળહળતો અન્યાય:
કર્મચારીઓને નથી પૂરતો પગાર કે, નથી મળતો પીએફ: લગાવી ન્યાયની ગુહાર

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારામાં સફાઈ કર્મચારીઓ સાથે હળહળતો અન્યાય:
કર્મચારીઓને નથી પૂરતો પગાર કે, નથી મળતો પીએફ: લગાવી ન્યાયની ગુહાર
પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ભારતદેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોનાકાળમાં સફાઈ કરતા કર્મચારીઓને તેમના સાહસ અને દંભના લીધે જે કોરોનાના કપરા કાળમાં સફાઈ કરી અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ દેશના સફાઈ કર્મચારીઓએ દુનિયાને દાખવ્યું હતું. તેવા સફાઈ કર્મચારીઓનાં વડાપ્રધાને પગ ધોઈને કોરોના વોરિયર્સ એવા સફાઈ કર્મચારીઓને સન્માનિત કર્યા હતા. પરંતુ ગુજરાત રાજ્યનું એકમાત્ર ગીરીમથક સાપુતારામાં વર્ષોથી સફાઈ કરતા કર્મચારીઓ સાથે છેલ્લા ઘણાં સમયથી વળતર બાબતે હેરાન થઈ રહ્યા છે.આ મોંઘીદાટ મોંઘવારીના દિવસોમાં પૂરતા પ્રમાણમાં પગાર આપવામાં આવતો નથી. અને છેલ્લા બે વર્ષથી પીએફ સાથે મળતા અન્ય ભથ્થા પણ આપવામાં આવ્યા નથી. અને સફાઈ કર્મચારીઓ સાથે અન્યાય કરવામાં આવી રહ્યો છે. તેમ જાણવા મળી રહ્યું છે. જે બાબતને સફાઈ કર્મચારીઓએ લેખિત અને મૌખિકમાં નોટિફાઇડ એરીયાની કચેરી સાપુતારા ખાતે રજૂઆતો કરી પરંતુ બહેરા અને મૂંગા બની બેઠેલાં અધિકારીઓએ કર્મચારીઓ સાથે થતો અન્યાયનો કોઈપણ જાતનો સમાધાન લાવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, નોટિફાઇડ એરિયા કચેરી સાપુતારા મારફતે આઉટસોર્સિંગ કર્મચારી તરીકે ૬૩ સફાઈ કર્મચારીઓ સાથે અન્ય કર્મચારીઓને પણ પૂરતા પ્રમાણમાં પગાર મળતો નથી. અને છેલ્લા બે વર્ષથી કર્મચારીને પીએફ મળ્યો નથી. તા: ૨૫/૧૧/૨૦૨૨ થી સફાઈ કામદારનો ઇજારો ધરાવતી શિવ એન્ટર પ્રાઇઝ એજન્સીને સોંપાતા ડિસેમ્બર ૨૦૨૨ થી આજદિન સુધી પીએફ આપવામાં આવ્યો નથી કે નથી પૂરતો પગાર?
સફાઈ કર્મચારીઓને હળહળતો અન્યાય બાબતે તમામ સફાઈ કર્મચારીઓએ શ્રમ કમિશનર વલસાડ, શ્રમ કમિશનર હેડ ઓફિસ ગાંધીનગર અને પીએફ કમિશનર વાપીને સાપુતારા ખાતેના સફાઈ કરતાં કર્મચારીઓએ થતો અન્યાય બાબતે લેખીતમાં અરજી સાથે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે.
શિવ એન્ટર પ્રાઇઝ એજન્સી દ્વારા સાપુતારા ખાતે સફાઈ કરતાં કર્મચારીઓને પગારમાં વધારો સાથે તમામ બાકી પીએફની ચુકવણી કરી આપીશુંના વાયદા ઉપર વાયદાઓ કરી રહ્યા છે. પરંતુ ડાંગના ભોળા અને ગરીબ આદિવાસી સફાઈ કર્મચારીઓને એજન્સી છેતરવાનું કામજ કરી રહી છે. અને મોંઘવારીમાં કર્મચારીઓને શેકાવાનો વારો આવ્યો છે. સફાઈ કર્મચારીઓની આ મોંઘવારીએ કમર તોડી નાખી છે. અને વહીવટી તંત્ર અને એજન્સી બહેરુ,મુંગુ અને આંધળું બની બેઠુ છે. મોંઘવારીમાં સફાઈ કર્મચારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. તેમને લાગી રહ્યું છે કે તેમને સાંભળનાર કોઈ જ નથી. આ અન્યાયને રોકશે કોણ ? તેવા સવાલો સફાઈ કર્મચારીઓને ઊઠવા પામ્યા છે.