South Gujarat

દેડિયાપાડા ખાતે ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી, કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

દેડિયાપાડા ખાતે ૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી, કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કરી ત્રિરંગો લહેરાવ્યો:

જિલ્લામાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ અને સ્વયંસેવી સંસ્થાઓ મળી ૩૫ વ્યક્તિઓનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્રો આપી સન્માન કરાયું:

દેડિયાપાડાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રસ્તુત કરી રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા:

સર્જન વસાવા, નર્મદા: દેશના ૭૬મા પ્રજાસત્તાક દિવસ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દેડિયાપાડા તાલુકાના પીઠા ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે. મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનો, વિવિધ શાળાના બાળકોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રજાસત્તાક પર્વના વધામણાં જિલ્લાવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

ધ્વજવંદન બાદ પોલીસ જવાનો તરફથી હર્ષ ધ્વની (VOLLEY FIRING) કરાયું હતું. બાદમાં કલેક્ટરશ્રીએ પરેડનું નિરિક્ષણ કરી કાર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું. આ તકે કલેક્ટરશ્રીએ આપણા બંધારણીય આદર્શોને અનુસરીને લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ કરવા સૌને સંકલ્પબદ્ધ બની વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી આજની આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીને વધુ સાર્થક કરવા માટે સંકલ્પબધ્ધ થવા આહવાન કર્યું હતું.

જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદીએ પ્રજાસત્તાક દિનના પાવન પર્વે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા નામી- અનામી સ્વાતંત્ર્યસેનાનીઓને યાદ કરી જણાવ્યું કે, આપણું બંધારણ એક જીવંત અને પ્રગતિશીલ દસ્તાવેજ છે. આપણે બંધારણ દ્વારા સામાજિક ન્યાય અને સર્વસમાવેશી વિકાસ સાથે સંબંધિત ઘણા મહત્વકાંક્ષી લક્ષ્યાંકો પ્રાપ્ત કર્યા છે. બંધારણ આપણા લોકશાહી પ્રજાસત્તાકનો મજબૂત પાયો છે. બંધારણની પ્રસ્તાવનામાં રજૂ થયેલા આદર્શો એકબીજાના પૂરક છે. તેની પ્રસ્તાવના – “આપણે, ભારતના લોકો” શબ્દથી શરૂ થાય છે, જે વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પ્રાણ છે. માત્ર એટલું જ નહીં પણ દેશનું બંધારણ વિશ્વ-બંધુત્વ અને સર્વ-કલ્યાણની ભાવનાના પાયા પર રચાયું છે. બંધારણમાં દરેક નાગરિકના મૂળભૂત હક્કો અને ફરજોનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે સર્વસમાવેશી વિકાસની આધારશીલા છે. પંચોત્તેર વર્ષની લોકશાહી રાષ્ટ્ર તરીકે આપણી યાત્રામાં પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકેની ક્ષમતાઓ ઉજાગર કરવામાં નોંધપાત્ર રીતે સફળ થયા છીએ અને લોકશાહીના આ સંસ્કાર આપણી ભાવિ પેઢીમાં વધુ સુદ્રઢ બને તે માટે પુરુષાર્થ કરવો તે આપણી સૌની ફરજ છે. આપણો દેશ ત્યારે જ ખરા અર્થમાં વિકસિત બનશે જ્યારે આપણે અંત્યોદયના વિચારને ચરિતાર્થ કરીશું. આ વિચારને અનુરુપ આપણે ગરીબો અને વંચિતોના વિકાસ માટે કટિબદ્ધ બનીએ.

વધુમાં કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, ભારતનું પ્રાચીન જ્ઞાન વિશ્વને પર્યાવરણીય સંકટમાંથી મુક્તિનો માર્ગ ચિંધી શકે છે. આપણે અક્ષય ઉર્જાના સ્ત્રોતને પ્રોત્સાહન આપવામાં અને ગ્લોબલ વોર્મિંગની સમસ્યાને નાથવામાં વિશ્વને નેતૃત્વ પૂરુ પાડવા સક્ષમ છીએ. આજનો ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજિકલ વિકાસ સાથે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી અદ્યતન ટેક્નોલોજીનો માનવ-વિકાસ માટે સાચી દિશેમાં ઉપયોગ કરીએ. સાથે સાથે સ્વસ્થ જીવન માટે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપીને જળ, જમીન અને પ્રકૃતિનું સંરક્ષણ કરી ખેડૂતોને ખુશહાલ બનાવી સ્વસ્થ સમાજનું નિર્માણ કરીએ તેવી અપીલ કરી હતી.

પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જિલ્લા પોલીસની ગુના શોધક ટીમ દ્વારા ડોગ શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. બાદમાં વિવિધ શાળાના બાળકોએ દેશભક્તિને કેન્દ્રમાં રાખી સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ અવસરે જિલ્લા કલેક્ટરશ્રી એસ.કે.મોદી, ભરૂચના સાંસદશ્રી મનસુખભાઈ વસાવા, દેડિયાપાડાના ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવા, પૂર્વ મંત્રીશ્રી મોતીભાઈ વસાવા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સંજયભાઈ વસાવા, રાજપીપલાના અગ્રણીશ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ, જિલ્લા પોલીસવડા શ્રી પ્રશાંત સુંબે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, નાયબ વન સંરક્ષકશ્રી નિરજકુમાર, પ્રાયોજના વહીવટદારશ્રી હનુલ ચૌધરી, જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામકશ્રી જે.કે.જાદવ, દેડિયાપાડાના પ્રાંત અધિકારીશ્રી ડી.આર.સંગાડા વગેરેના હસ્તે વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનારા કર્મયોગીઓ, પોલીસ વિભાગ, ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મયોગીઓ, શિક્ષણ વિભાગ, મહેસુલ વિભાગના કર્મી તથા સમાજ નિર્માણમાં પોતાનું અમુલ્ય યોગદાન આપી રહેલી સ્વૈચ્છિક સંસ્થાના મળી કુલ ૩૫ વ્યક્તિઓને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શહેર-જિલ્લાના અગ્રણીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનો, શાળાના બાળકો, શિક્ષકો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં જિલ્લા કલેક્ટરશ્રી, સાંસદશ્રી અને ધારાસભ્યશ્રી સહિત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્સિયલ સ્કૂલ-દેડિયાપાડાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button