ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના નડગચોંડ ખાતે ‘વિશ્વ હૃદય દિવસ’ ની ઉજવણી કરાઇ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાંગ જિલ્લાના નડગચોંડ ખાતે ‘વિશ્વ હૃદય દિવસ’ ની ઉજવણી કરાઇ:
દિનકર બંગાળ, વઘઈ : ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા ફકત એક જ દિવસે યોગ દિવસની ઉજવણી ન કરતા, સમગ્ર વર્ષ દરમિયાન અલગ અલગ કાર્યક્રમો કરી, દરરોજ યોગ દિવસ તરીકે ઉજવી સૂર્ય નમસ્કાર કાર્યક્ર્મ, યોગ સ્પર્ધા, સમર કેમ્પ, કાઉન્ટ ડાઉન કાર્યક્રમો, યોગ શિબિર, યોગ જાગરણ, રેલી વગેરે કાર્યક્રમો થકી છેવાડાના માનવીઓ સુધી યોગ પહોંચે તે માટેના પ્રયત્નો કરવામા આવે છે.
જેના ભાગરૂપે ગત તારીખ ૨૯મી સપ્ટેમ્બર ને ‘વિશ્વ હૃદય દિવસ’ની ઉજવણી નિમિત્તે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજી, અને ઝોન કક્ષાના યોગ કો ઓર્ડીનેટર શ્રીમતી પ્રીતિબેન પાંડેના માર્ગદર્શન હેઠળ, ડાંગ જિલ્લાના નડગચોંડ ગામ સ્થિત પ્રાથમિક શાળા ખાતે યોગ શિબિર યોજવામાં આવી હતી. જેમા હ્રદય રોગને જડમૂળથી દૂર કરવા માટે યોગ અને પ્રાણાયામનુ મહત્વ સ્પષ્ટ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમા ૭ નવા યોગ ટ્રેનરોની ભરતી પણ કરવામા આવી હતી. આ શિબિરમા ૫૦૦થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
ઉલ્લેખનિય છે કે, આપણા શરીરનુ મહત્વપૂર્ણ કોઈ અંગ હોય તો તે હૃદય છે. છેલ્લા કેટલાક સમયથી હૃદય સબંધિત બિમારીઓ, અને હૃદય રોગના દર્દીઓની સંખ્યાનો ગ્રાફ ઊંચો જઇ રહ્યો છે. WHOના રિપોર્ટ અનુસાર, હૃદય રોગ માટે મુખ્યત્વે જવાબદાર પરિબળોમા ખરાબ જીવન શૈલી, ખાવા પીવાની ખોટી આદતો, ખરાબ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા, અથવા વધારે વજનનો સમાવેશ થાય છે. આજના આધુનિક યુગમા હૃદય રોગનુ યુવાનોમા પણ વધુ પ્રમાણ જોવા મળી રહ્યુ છે. ત્યારે તેનો જડમુળથી નાશ કરવો હોય તો યોગ અને પ્રાણાયામ જ એક માત્ર રસ્તો છે.