ડાંગના તિજોરી અધિકારી શ્રી ધનેશકુમાર બી. પટેલનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગના તિજોરી અધિકારી શ્રી ધનેશકુમાર બી. પટેલનો નિવૃત્તિ વિદાય સન્માન સમારંભ યોજાયો
શ્રી ધનેશકુમાર બી. પટેલે ૩૫ વર્ષ, ૪ માસ અને ૧૪ દિવસ સુધી રાજ્ય સરકારની નોકરીમાં નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિક રીતે ફરજ બજાવી
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગના જિલ્લા તિજોરી અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી ધનેશકુમાર બી. પટેલના નિવૃત્તિના અવસરે ડાંગ સ્વરાજ આશ્રમ-આહવાના ટીમ્બર હોલ ખાતે ભવ્ય વિદાય સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેઓએ છેલ્લા ૩૫ વર્ષ, ૪ માસ અને ૧૪ દિવસ સુધી રાજ્ય સરકારની નોકરીમાં નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિક રીતે ફરજ બજાવી હતી.
વિદાય સમારંભમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી તથા પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ એ. પાટીલ, જિલ્લા પંચાયતના હિસાબી અધિકારી શ્રી આર.બી. ચૌધરી, મદદનીશ પ્રાયોજના વહીવટદાર શ્રી ડી.પી. મિસ્ત્રી સહિત તિજોરી કચેરીના કર્મચારીઓ અને શ્રી પટેલના કુટુંબજનો ઉપસ્થિત રહ્યા હતાં.
શ્રી આનંદ એ. પાટીલે પોતાના શુભેચ્છા સંદેશમાં કહ્યું હતું કે, શ્રી ધનેશકુમાર પટેલે પોતાની કારકિર્દી દરમિયાન ઉત્તમ કામગીરી કરી છે, અને તેમની નિવૃત્તિ પછીનું જીવન આરોગ્યદાયક, શાંતિપૂર્ણ અને પરિવાર સાથે આનંદમય રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.
સન્માન સમારંભ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ તથા પરિવારજનો દ્વારા શ્રી પટેલને શાલ ઓઢાડી, મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રી ધનેશકુમાર પટેલની ૩૫ વર્ષીય કારકિર્દી પર નજર:
શરૂઆત: તા. ૧૮/૧/૧૯૯૦થી પગાર અને હિસાબી કચેરી, અમદાવાદમાં સબ એકાઉન્ટન્ટ તરીકે સેવા,
ભુજ: ૧૮/૧/૧૯૯૭ થી ૧/૭/૧૯૯૮ : નાયબ હિસાબનીશ, જિલ્લા તિજોરી કચેરી,
વલસાડ: ૨/૭/૧૯૯૮ થી ૩૦/૬/૨૦૦૧ : નાયબ હિસાબનીશ, તિજોરી કચેરી,
વલસાડ (લોકલ ફંડ ઓડિટ) : ૧/૭/૨૦૦૧ થી ૯/૧/૨૦૦૮ : નાયબ હિસાબનીશ,
સુરેન્દ્રનગર : ૧૦/૧/૨૦૦૮ થી ૧૦/૪/૨૦૧૧ : ઓડિટર, લોકલ ફંડ ઓડિટ કચેરી,
વલસાડ : ૧૧/૪/૨૦૧૧ થી ૧૭/૭/૨૦૧૪ : ની ફરજ,
આહવા (ડાંગ) : ૧૮/૭/૨૦૧૪ થી ૩૧/૮/૨૦૧૮ : આંતરિક અન્વેષણ અધિકારી, જિલ્લા પંચાયત,
નવસારી : ૧/૯/૨૦૧૮ થી ૧/૨/૨૦૨૨ : આસિસ્ટન્ટ પ્રાયોજના અધિકારી, DRDA,
આહવા (ડાંગ) : ૨/૨/૨૦૨૨ થી ૩૧/૫/૨૦૨૫ : જિલ્લા તિજોરી અધિકારી,
આ વિદાય સમારંભ હર્ષ અને ભાવુક ક્ષણો સાથે સંપન્ન થયો હતો. ઉપસ્થિત સર્વેજનોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય અને સુખમય નિવૃત્તિ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રત્યુત્તરમાં સૌ પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરતા શ્રી ધનેશભાઈ પટેલે, ડાંગ જિલ્લાના અંદાજિત ચોવીસ સો જેટલા કર્મચારીઓ અને પેન્શનરોને સમયસર તેમના લાભો પહોંચાડવાની પ્રતિબદ્ધતા સાથે પોતાની ફરજ બજાવી છે તેમ જણાવી, તેમ છતાં ક્યાંક કોઈ વહીવટી ત્રુટિ રહી જવા પામી હોય તો દરગુજર કરવાની અપીલ પણ કરી હતી.