ચિકદા ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત ‘કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ની ઉજવણી કરાઇ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ચિકદા ખાતે વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત ‘કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’ની ઉજવણી કરાઇ :
સાંસદશ્રી મનસુખભાઈ વસાવા તથા ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ચિકદા તાલુકાના ભરાડા (રેલ્વા) ખાતે ઉજવણી કરવામાં આવી :
બિપિન વસાવા, રાજપીપલા: વિકાસ સપ્તાહ–૨૦૨૫ અંતર્ગત’ કૃષિ વિકાસ દિવસ’ અને ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજનના ભાગરૂપે ચિકદા તાલુકાના ભરાડા (રેલ્વા) ગામની પ્રાથમિક શાળાના મેદાન ખાતે ભરૂચના સાંસદશ્રી મનસુખભાઇ વસાવાની અધ્યક્ષતામાં અને ડેડીયાપાડા ધારાસભ્યશ્રી ચૈતરભાઈ વસાવાની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
આ વેળાએ સાંસદશ્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે, નવા તાલુકા તરીકે ચિકદા વિકાસની નવી દિશામાં આગળ વધી રહ્યો છે. ખેડૂતભાઈઓએ પ્રાકૃતિક ખેતી અપનાવીને જમીનની ઉર્વરતા જાળવી રાખવી જોઈએ અને પશુપાલન તથા કૃષિ યોજનાઓનો લાભ ખાસ લેવો જોઈએ.
તેમણે વધુમાં જણાવ્યું કે, સ્થાનિક ખેડૂતોને લોકોને ભરપૂર પાણી મળે રહે તેના માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાંસદશ્રીએ ગ્રામજનોને “સ્વદેશી વસ્તુઓના ઉપયોગ” માટે પ્રેરિત કરતા જણાવ્યું કે, રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતી દ્વારા ખેડૂતોની આવક અને સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે, જે રાષ્ટ્રના આર્થિક અને પર્યાવરણીય વિકાસમાં મહત્વનું યોગદાન બની રહેશે.
આ કાર્યક્રમમાં વિવિધ વિભાગો જેવા કે, ખેતીવાડી શાખા, પશુપાલન, આત્મા પ્રોજેક્ટ, આરોગ્ય વિભાગ, કૃષિ યુનિવર્સિટી તથા જી.જી.આર.સી. દ્વારા માહિતીપ્રદ સ્ટોલનું નિદર્શન રાખવામાં આવ્યુ હતું. આત્મા પ્રોજેક્ટ મારફતે પ્રાકૃતિક ખેતીના લાભાર્થીઓને પશુઓના ચારા માટેનું બિયારણ અને પ્રમાણપત્રો વિતરણ કરાયા હતા.
કાર્યક્રમ દરમિયાન માજી જિલ્લા પ્રમુખશ્રી પર્યુષાબેન વસાવા, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનશ્રી ખાનસિંગભાઈ, ગ્રુપ પંચાયત ભરાડાના સરપંચશ્રી રજનીબેન વસાવા, દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે, આસી. ડાયરેક્ટર ખેતીવાડી નર્મદા ડૉ. કે.એસ. રાઠવા, નાયબ પશુપાલન નિયામકશ્રી બી.વાય. પંચોલી, ડેપ્યુટી પ્રોજેક્ટ આત્મા પ્રોજેક્ટ અધિકારીઓ, તાલુકાના અધિકારીઓ, પદાધિકારીઓ, ખેડૂતભાઈઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.



