ઘર કંકાસના કારણે સંતાનોને કુવામાં ફેંકી માતા પણ કૂદી સંતાનોના મોત, માતા બચી ગઇ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ઘર કંકાસના કારણે સંતાનોને કુવામાં ફેંકી માતા પણ કૂદી સંતાનોના મોત, માતા બચી ગઇ
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઢોલિયાઉંબર ગામની એક મહિલાએ ઘરમાં કાયમ સંતાનો બાબતે ઝઘડા થતા હોય જેથી કંટાળી બુધવારે રાત્રે ગરૂડીયા ગામે આવેલ એક કુવામાં બે પુત્રોને નાંખી દઈ હત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી.
પોલીસ સૂત્રોથી મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઢોલિયાઉંબર ગામે રહેતી સુનીતા જયેશભાઈ ઉધાર (ઉ.વ.૩૨) (મૂળ રહે.ગોંડલવીહીર, તા.આહવા જી.ડાંગ)નાં લગ્નજીવનમાં બે સંતાન છે જેમાં મોટો પુત્ર જગન (ઉ.વ.૪ વર્ષ ૬ માસ) અને બીજો વિજય (ઉ.વ.૪ માસ) છે.
સુનીતા અને તેના પતિ જયેશ અશોકભાઈ ઉધાર (ઉ.વ.૩૯) હાલે થોડા સમયથી સંતાનો બાબતે કાયમ ઘરમાં ઝઘડા થતા આવ્યા હતા. જેથી બુધવારે બપોરે સુનિતા ઉધાર ઘરેથી તેના બે સંતાનોને લઈ ગામથી પાંચ કિમી દુર આવેલ સુબીર તાલુકાનાં ગરૂડીયા ગામે જઈ આમતેમ ફરી હતી ત્યારબાદ તેણે ગરૂડીયા ગામે આવેલ એક કુવામાં તેના બે પુત્રો જગન અને વિજયને તેણે નાંખી દેતા તેઓના મોત નીપજ્યાં હતાં. બંને સંતાનોને કુવામાં નાંખી પોતે પણ કુદી ગઇ હતી. પણ બચી જાત બાહર નીકળી આવી હતી. બીજી તરફ જયેશ ઉધાર ઘરજમાઈ તરીકે રહેતો હોય તેણે તેના કાકા સસરા સાથે કાલે બપોરેથી પત્ની અને પુત્રોની તપાસ આરંભી હતી. પરંતુ તેઓ મળ્યા ન હતા બુધવારે સવારે તેની પત્ની ગરૂડીયા ગામેથી મળી આવતા સમગ્ર ઘટના બહાર આવી હતી. આ બનાવ અંગે સુબીર પોલીસને જાણ થતા પીએસઆઈ કે.જે.ચૌધરી સ્ટાફ સાથે ઘટના સ્થળે ધસી ગયા હતા. અને બન્ને પુત્રોને બહાર કાઢી સુબીર સી.એચ.સી.માં પી.એમ.માટે મોકલ્યા હતા. સુબીર પોલીસ મથકે જયેશ ઉધાર તેના બે માસુમ પુત્રોની હત્યા કરનાર તેની પત્ની સુનીતા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધાવતા આગળની વધુ તપાસ પીએસઆઈ કે.જે.ચૌધરીએ હાથ ધરી છે.