Agricultural

સંઘર્ષથી સમૃદ્ધિ સુધીઃ આપણા ખેડૂતોના ભવિષ્યને સુરક્ષિત કરવાની ચાવી ટેક્નોલોજીમાં રહેલી છે: આશિષ ડોભાલ, UPL SALના CEO

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

સંઘર્ષથી સમૃદ્ધિ સુધીઃ આપણા ખેડૂતોના ભવિષ્યને સુરક્ષિત કરવાની ચાવી ટેક્નોલોજીમાં રહેલી છે: આશિષ ડોભાલ, UPL SALના CEO

ગ્રામીણ ટુડે: ભારતના ખેડૂતોએ લાંબા સમયથી દેશની ખાદ્યાન્ન સુરક્ષાના સંરક્ષક તરીકે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ જ્યારે તેમની ખેતીની જમીનને મહત્તમ ઉત્પાદક બનાવવાની હોય, ત્યારે તેઓ પોતે અનેક પડકારોમાં ઘેરાયેલા જોવા મળે છે.

1.40 અબજ લોકોની વસતી સાથે ભારત પહેલેથી દુનિયામાં સૌથી વધુ વસતી ધરાવતો દેશ છે. ભારતની વસતી હજુ વધતી જાય છે અને 2062માં તે 1.70 અબજ સુધી પહોંચશે તેવો અંદાજ છે.

વધતી જતી વસતી, આર્થિક વિકાસ, વધતી ખર્ચપાત્ર આવક, વધતા જતા શહેરીકરણ અને ઝડપથી બદલાતી જતી આહાર સંબંધિત આદતોના કારણે ખાદ્યાન્નની અભૂતપૂર્વ માંગ પેદા થઈ છે.

ભારતે પોતાની વધતી વસતીનું પેટ ભરવું હોય અને દુનિયાના સૌથી મોટા ખાદ્ય નિકાસકારો પૈકી એક તરીકે પોતાનો દબદબો જાળવી રાખવો હોય, તો તેણે પોતાની કૃષિલાયક જમીન પણ વધારવી જરૂરી છે. આપણે આ એવા સમયે કરવું પડશે જ્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે જળવાયુ પરિવર્તને ભયંકર સ્થિતિ પેદા કરી છે. તેનાથી હવામાનનો મિજાજ બગાડ્યો છે અને અત્યંત નુકસાનકારક ઘટનાઓ જેમ કે વધતો તાપ, ભારે વરસાદ થી લઈને કીટકોના વારંવાર હુમલા જેવી ઘટનાઓ વધી રહી છે.

સાદા શબ્દોમાં કહીએ તો ભારતની ખેતીલાયક જમીને એવા સમયની તુલનામાં વધારે અનાજ પેદા કરવું પડશે જ્યારે તે અનાજને ઉગાડવું આટલું કઠિન ક્યારેય નથી રહ્યું. વધતી જતી ઘરેલુ અને વૈશ્વિક ખાદ્ય માંગને પહોંચી વળવાના દબાણના કારણે પડકાર વધતા જાય છે. ભારતના ખેડૂતો પહેલેથી ઉત્પાદનના વધતા ખર્ચ, ખેતીની ઓછી આવક અને ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા છે.

ખેતી પ્રતિ દૃષ્ટિકોણ પર નવેસરથી વિચાર કરવાની જરૂર છે. આપણે કૃષિ ક્ષેત્ર અને આપણા ખેડૂતોને માત્ર આજના પડકારો નહીં, પણ આવતીકાલે પેદા થનારા પડકારોનો સામનો કરવા માટે પણ તૈયાર કરવાની જરૂર છે. આપણે ક્લાઈમેટ ચેન્જના કારણે સતત કથળતી જતી અસર સામે ક્ષમતા વિકસાવીને તેમને પોતાની કૃષિ જમીનની ઉત્પાદકતા વધારવા માટે તૈયાર કરવાની જરૂર છે.

ટેક્નોલોજી મદદરૂપ બની શકે:આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એ. આઈ), મશીન લર્નિંગ (એમ.એલ), સેન્સર આધારિત ઈન્ટરનેટ ઓફ થિંગ્સ (આઈઓટી) દ્વારા સંચાલિત નવા જમાનાના ડિજિટલ સોલ્યુશને માનવ અસ્તિત્વના લગભગ દરેક પાસાને બદલી નાખ્યા છે. તેવી જ રીતે તે ભારતમાં કૃષિની જમીનને લઈને ક્રાંતિ લાવવાની શક્તિ ધરાવે છે.

તે ચોકસાઈ (પ્રિસિઝન) આધારિત કૃષિને શક્ય બનાવી શકે છે. તે એક એવી પદ્ધતિ છે જેમાં પાક વિકાસચક્રના કયા તબક્કામાં છે તેના આધારે, પાણી, પોષક તત્વો અને સુરક્ષા ઉત્પાદનોના વિશિષ્ટ પ્રમાણને નક્કી કરવા માટે માટી અને પાકની તંદુરસ્તી માટે ટેક્નોલોજી અને ડેટાનો ઉપયોગ કરે છે.

તેથી ચોકસાઈ આધારિત ખેતી (પ્રિસિઝન એગ્રીકલ્ચર) ખેતીવાડીને ઘણી વધારે પુનઃઉત્પાદકીય, સંસાધનો માટે અસરકારક બનાવે છે જેમાં ખર્ચ ઓછો આવે છે, વધારે ઉપજ મળે છે અને તેથી ખેતીની આવક વધે છે. સાથે સાથે તે માટીની તંદુરસ્તીનું પણ સંરક્ષણ કરે છે. ડિજિટલ કૃષિના અન્ય પાસા ખેડૂતોને પાક ચક્ર (ક્રોપ સાઈકલ) ની વધુ સારી યોજના તૈયાર કરવામાં મદદ કરી શકે છે. ઉદાહરણ તરીકે સેટેલાઈટ ટેક્નોલોજીની મદદથી હવામાનની વધુ ચોક્કસ આગાહી કરી શકાય છે. આ માહિતી ખેડૂતોને સૌથી અનુકૂળ હવામાન મુજબ વાવણી અને લણણીની યોજના તૈયાર કરવામાં મદદ કરે છે. આજના અવ્યવસ્થિત હવામાન પેટર્નના યુગમાં આ મહત્ત્વપૂર્ણ છે જ્યાં મોડેથી અથવા કમોસમી વરસાદના કારણે ચોખા અને શિયાળુ ઘઉં જેવા મુખ્ય મોસમી પાકની ઉપજને અસર થતી હોય છે.

જીવાતોના હુમલા સામે ડિજિટલીકરણ પણ એક મહત્ત્વનું હથિયાર સાબિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે ડ્રોન જમીનના મોટા હિસ્સા પર વધારે ઝડપથી ઉડી શકે છે. તેની ઈમેજિંગ ટેકનિક કોઈ કીટક અથવા બીમારીના ફેલાવાના સંકેતોને સ્કેન કરી શકે છે. પાકમાં કોઈ જંતુ અથવા રોગ બહુ વધારે ફેલાઈ જાય તેનાથી પહેલાં ખેડૂતોને તેના વિશે સચેત કરી શકાય છે.

ડિજિટલીકરણના પરિણામ પહેલેથી જોવા મળી ગયા છે. ઉદાહરણ તરીકે તેલંગણા સરકારના સહયોગથી વર્લ્ડ ઈકોનોમિક ફોરમના એઆઈ ફોર એગ્રીકલ્ચર ઈનોવેશન પહેલના કારણે રાજ્યમાં મરચાંના ખેડૂતોને પેદાશમાં 21 ટકા વૃદ્ધિ પ્રાપ્ત કરવામાં મદદ મળી છે. સાથે સાથે તેમને જંતુનાશકોને ઉપયોગ નવ ટકા સુધી ઘટાડવામાં મદદ મળી અને સૌથી મહત્ત્વની વાત, દરેક ચક્ર દીઠ પ્રતિ એકર આવકમાં 800 ડોલરનો વધારો થયો.

વાસ્તવમાં વ્યાપક સ્તરે સંશોધન પરથી જાણવા મળે છે કે ડિજિટલ કૃષિ નીચી અને મધ્યમ આવકવાળા દેશોના કૃષિ જીડીપીમાં દર વર્ષે 450 અબજ ડોલર અથવા 28 ટકા કરતા વધારે દરે વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે.

તે આપણી ખેતી કરવાની પદ્ધતિને બદલવા માટેનું એટલું જ મજબૂત કારણ છે. દુનિયા હવે ડિજિટલ યુગમાં પ્રવેશી ગઈ છે. તેથી ખેતીને પણ ડિજિટલ બનાવવાની જરૂર છે. ભારતના ખેડૂતોએ ઘણી વખત દેશને ખાદ્યાન્ન સુરક્ષા પૂરી પાડવા માટે ઘણી ઊંચી કિંમત ચૂકવીને ઘણું બલિદાન આપ્યું છે. આ ખાદ્ય સુરક્ષા ભારતના આર્થિક વિકાસનો આધાર રહી છે જેણે ભારતને સમૃદ્ધ બનાવ્યું છે. હવે સમય આવી ગયો છે કે આપણે તેને ઓળખીએ. આપણે ખેડૂતોને પણ સમૃદ્ધ, સક્ષમ અનેય સસક્ષત બનાવીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button