Dang

ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ઘટયું, ચાર માર્ગો જ યાતાયાત માટે બંધ રહ્યા :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગ જિલ્લામાં વરસાદનું જોર ઘટયું, ચાર માર્ગો જ યાતાયાત માટે બંધ રહ્યા :

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં ગઇ કાલે બપોર પહેલા ખાબકેલા ભારે વરસાદ બાદ, સાંજે ચાર વાગ્યાથી વરસાદનું જોર ઘટવા પામ્યું છે. ડિઝાસ્ટર કક્ષના ચોપડે નોંધાયેલા વરસાદના આંકડા મુજબ, ગઇ કાલે સવારે ૬ થી ૪ વાગ્યા સુધીનાં દસ કલાક દરમિયાન અહી સરેરાશ ૧૪૪ મી.મી. જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે સાંજના ચાર વાગ્યાથી આજે, એટલે કે તા.૩જી સપ્ટેમ્બરે સવારના ૬ વાગ્યા સુધીના ૧૪ કલાક દરમિયાન અહી માત્ર ૧૪ મી.મી. વરસાદ નોંધાવા પામ્યો છે. જેને લઇને નદી કિનારાના ગામો, હેઠવાસના વિસ્તારો, અને જિલ્લા વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.

દરમિયાન આજે (તા.૩/૯/૨૦૨૪) સવારે ૮ વાગ્યાની સ્થિતિએ ગઇ કાલની સરખામણીએ, ડાંગ જિલ્લા પંચાયત હસ્તકના ૧૦ જેટલા માર્ગો ખુલ્લા થતા, હવે માત્ર ૪ જેટલા ગ્રામ્ય માર્ગો જ, વરસાદી પાણીને લઈ અવરોધાયેલા રહ્યા છે. જેમાં વઘઇ તાલુકાના (૧) કાલીબેલ-પાંઢરમાળ-વાંકન રોડ, (૨) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (૩) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, તેમજ આહવા તાલુકાના (૧) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.

જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.

દરમિયાન ગતરોજ ભારે વરસાદનાં કારણે વઘઈ તાલુકાના ભેંસકાતરી ગામના પશુપાલક શ્રી જયેશભાઈ રાજુભાઈ ગામીતની એક શંકર વાછરડી, પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામી હતી. આ કેસમાં જિલ્લા પંચાયતનાં પશુપાલન વિભાગે મૃત પશુની બોડી કબ્જામા લઈ, આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાક્રમ ઉપર જિલ્લા કલેકટર શ્રી મહેશ પટેલ સતત નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવા સાથે, જનજીવનને થયેલી વિપરીત અસરોનો તાગ મેળવવાની કામગીરી સહિત માર્ગ સુધારણા, નુકસાનીના સર્વે ઉપરાંત વીજ અને આરોગ્ય સેવાઓ, વાહન વ્યવહાર, રાહત ચુકવણી જેવા મુદ્દે સઘન કાર્યવાહીના દિશા નિર્દેશ આપવામાં આવ્યા છે. જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ સહિત, ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ પણ પ્રશાસન સાથે સતત સંપર્ક જાળવી, પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે.

ઉલ્લેખનિય છે કે, ચોમાસાની ઋતુમાં ડાંગ જિલ્લાની વનાચ્છાદિત પ્રકૃતિને મનભરીને માણવા માટે, પ્રકૃતિપ્રેમી પર્યટકો ડાંગ જિલ્લામાં ઉમટી પડે છે. ત્યારે અહીંના નદી, નાળા, કોતરો, જળધોધ, ખીણ પ્રદેશ, ડુંગરો, વૃક્ષો, વન્યજીવો વિગેરે સાથે સેલ્ફી લેતા કે ફોટોગ્રાફી કરતા લોકો, ક્યારેક અજાણતા જ પોતાના કે અન્યોના જીવનું જોખમ ઊભું કરતા હોય છે. જેમને સભાનપણે અહીંના પ્રાકૃતિક નજારાને માણવા માટે જિલ્લા વહીવટી તંત્રએ અનુરોધ કર્યો છે.

જાહેર માર્ગો કે સાર્વજનિક પર્યટન સ્થળોએ આડેધડ વાહનો પાર્ક નહિ કરવા, જોખમી રીતે સેલ્ફી લેવા કે ફોટોગ્રાફી નહિ કરવા, નદી-નાળા-કોતરો કે જળધોધમા નહિ ઉતરવા, વરસાદી વ્હેણ કે પાણી ભરાયાં હોય તેવા માર્ગો કે પુલો ઉપરથી પસાર નહીં થવા સાથે, ભૂસ્ખલનને કારણે બંધ કરાયેલા માર્ગોનો ઉપયોગ નહિ કરવા, કાયદો વ્યવસ્થા જાળવતા પોલીસના જવાનો, લાશ્કરો અને સ્વયંસેવકોને સહયોગ આપવા જેવી બાબતે, વિશેષ જાગૃતિ સાથે પ્રજાધર્મ નિભાવવા, જિલ્લા વહીવટી તંત્રએ સૌને ફરીવાર અપીલ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button