ચુંટણી બહિષ્કાર નહીં “ચુંટણી પ્રચાર માટે આમંત્રણના” બેનર લાગતા રાજકીય ગરમાવો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
ચુંટણી બહિષ્કાર નહીં “ચુંટણી પ્રચાર માટે આમંત્રણના” બેનર લાગતા રાજકીય ગરમાવો:
ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી: પાછલાં દિવસોમાં વ્યારા ખાતે થયેલા અમાનવીય ડિમોલેશન બાદ બેઘર બનેલા પરિવારો દ્વારા એક આવાજ – એક મોર્ચા લોકસંગઠન સાથે રહી ડિમોલેશનના પિડિત પરિવારોને નુકશાનીનું વળતર તેમજ કાયમી રહેઠાણની વ્યવસ્થા કરી આપવામાં આવે તે માટે ભુતકાળમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થતું રહ્યું હતું જેમાં જીલ્લા કલેકટર સમક્ષ બેઘર પરિવારોના ભુલકાઓ દ્વારા ગુલાબ આપી તેમજ ડિમોલેશનના ચિત્ર દોરી તેનું પ્રદર્શન કરી રજુઆત કરવામાં આવી હતી તો હર ઘર ત્રિરંગા કાર્યક્રમ અંતર્ગત ૪૦/૫૦ વર્ષથી જે મકાનમાં વસવાટ કરતા તે મકાનો તોડી પડાયા હતા તે મકાનો ઉપર ૨૬ જાન્યુઆરીએ ત્રિરંગો લહેરાવ્યો હતો.
રચનાત્મક પદ્રધતિથી ચાલી રહેલી શંકર ફળિયાના બેઘર પરિવારોની લડત બારડોલી લોકસભા વિસ્તારમાં ચર્ચાનો વિષય ઉઠ્યો છે કારણ તાજેતરમાં જ કર્મશીલ અને એક આવાજ – એક મોર્ચા અધ્યક્ષ રોમેલ સુતરિયા તેમજ વ્યારાના વરિષ્ઠ વકીલ નિતિન પ્રધાન દ્વારા પિડિત પરિવારોની મુલાકાત લેતા ચોંકાવનારી વાત તે સામે આવી હતી કે ભાજપ-કોગ્રેસના બારડોલી લોકસભામાં ઉમેદવારી નોંધાવી છે તેવા એક પણ ઉમેદવારે અંદાજે ૨૦૦૦ જેટલા મત હોવા છતાં આજદિન સુધી પોતાનો ચુંટણી પ્રચાર આ વિસ્તારમાં કર્યો નથી.વ્યારા જ નહીં આસપાસના ગામડાઓના આદિવાસી યુવાનો અને નાગરિકો વચ્ચે પણ આ ડિમોલેશનમા ભોગ બનેલ પરિવારોના સમર્થનમાં આવતા રહ્યા છે. તેવામાં એક પણ ઉમેદવાર પ્રજાના પ્રશ્નો સાભળવા પહોંચ્યા નથી ભાજપના ઉમેદવાર જે માંડવી ખાતે રહે છે પણ ખાસ કોંગ્રેસના ઉમેદવાર જે સત્તામા પણ નથી તે ડિમોલેશન સ્થળથી ૧૦૦ ફુટ દુર મકાન ધરાવે છે તેમણે પણ અહીં મુલાકાત સુદ્ધાં કરી નથી.આ ચર્ચાએ બારડોલી લોકસભામાં જોર પકડ્યું છે.ચુટણી પ્રચારમાં પણ ઉમેદવારો પ્રજાના પ્રશ્નો ના સાંભળતા હોય તો ચુંટણી પછી તો કેવો અહંકાર હશે?
આજરોજ શંકર ફળિયાના પિડિત પરિવારો તરફથી બેનરો લગાવવામાં આવ્યા છે.આમ તો ચુંટણી ટાણે બધા ચુંટણી બહિષ્કારના બેનરો લગાવે છે પરંતુ અહીં બારડોલી લોકસભાના ઉમેદવારોને ચુંટણી પ્રચાર કરવા ભાવભીનુ આમંત્રણ પાઠવતા બેનર લાગતા એસી ગાડીઓમાં ફરતા નેતાઓના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.સાથે જ સમગ્ર બારડોલી લોકસભામાં ગામે ગામ શંકર ફળિયાના પિડિત પરિવારોની વાત ચર્ચાનો વિષય બની રહી છે.
એક અનોખી રણનીતિ સાથે ચાલી રહેલો શંકર ફળિયાના પિડિત પરિવારોનો આ સંઘર્ષ જોઈ આવનાર દિવસોમાં ભાજપ-કોગ્રેસ એમ બંને પક્ષોના હાઇકમાન્ડ હવે આ મામલે રસ લેશે તેમ ચોક્કસ રીતે જોવાઈ રહ્યું છે.વિપક્ષ જેણે પહેલા આવા વિષય ઉપર ધ્યાન આપવાની જરૂર હોય છે તેની સુરત પછી બારડોલીમાં આવી ભયંકર નીષ્કાળજી પણ ચર્ચાનો વિષય બની છે તો ઘર નું ઘર આપવાના પ્રધાનમંત્રીના અભિયાનનું અમલીકરણ કરાવવા ભાજપ સાંસદ બોલશે કે નહીં તે બાબત ઉપર સહુની નજર છે. ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે નાગરિકોની ચુંટણીમાં સક્રિય ભાગીદારી સાથે આ પ્રકારે રચનાત્મક રીતે ચાલતી લડતથી ચુંટણીનો માહોલ જામ્યો છે તેમ ચર્ચાઈ રહ્યું છે.