નર્મદાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ૧૭ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
નર્મદાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા ખાતે ૧૭ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ
બેઠકમાં જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતોમિત્રો ઉપસ્થિત રહ્યા
સર્જન વસાવા, નર્મદા: નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નર્મદા જિલ્લામાં દેડીયાપાડા ખાતે કાર્યરત છે. આ કેન્દ્ર ખાતે ૧૭ મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના અધ્યક્ષપદ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.આર.શર્મા અને ભરૂચ કૃષિ કોલેજના પ્રધાયપક અને વડા ડૉ. ડી. ડી.પટેલ, કેવિકેના વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી, વૈજ્ઞાનિકશ્રીઓ, નર્મદા જિલ્લાના ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતોમિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
આ બેઠકમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ.પી. પટેલએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓને તેમની આગવી શૈલીથી બિરદાવી હતી. તેમણે જણાવ્યું હતું કે આ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો જિલ્લાના છેવાડાના ગામોમાં જઈને કૃષિને આધુનિક યાંત્રિકતાઓનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધનો ખેડૂતો સુધી પહોંચાડવા તેમજ જિલ્લાના દરેક ખેડૂતો આ સંશોધનો વિશે અવગત થાય એ માટે “ વન ટેકનોલોજી વન વિલેજ ” કોન્સેપ્ટ વિશે વૈજ્ઞાનિકોને જરૂરી સૂચનો કરવામાં આવે છે. વધુમાં ડો. ઝેડ.પી.પટેલએ સેન્દ્રિય કાર્બનની મહત્વતઆ અને જમીનની ફળદ્રુપતા વધારવા તેમજ બાયોચારની ઉપયોગીતા વિશે ખેડૂતોને માહિતગાર કરવા અને ખેડૂતોને ખેતરે બાયો ચાર યુનિટ સ્થાપવા અંગે સલાહસૂચનો કર્યા હતાં.
નવસારી કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી ડો.એચ.આર.શર્માએ કેવિકે દેડીયાપાડા દ્વારા કરવામાં આવેલ વિવિધ વિસ્તરણ પ્રવૃત્તિઓને બિરદાવી નવસારી કૃષિ યુનિવર્સિટીની જુદી જુદી ટેકનોલોજીઓ ખેડૂતો અપનાવતા થાય એ માટેના વિસ્તરણ કાર્યો વિશે માર્ગદર્શિત કર્યા હતા. અને ભરૂચ કૃષિ કોલેજના પ્રધાયપક અને વડા ડૉ. ડી. ડી.પટેલ ખેડૂતમિત્રોને ઉપયોગી સૂચન કર્યું હતુ.
આ બેઠકની શરૂઆતમાં કેન્દ્રના વડા ડો.એચ.યુ.વ્યાસે સભ્યશ્રીઓને આવકાર આપી વર્ષ ૨૦૨૪નો કેન્દ્રનો પ્રગતિ અહેવાલ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી વિસ્તૃતમાં માહિતી આપી હતી. ડો.એચ.યુ.વ્યાસે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ વિવિધ તાલીમો, અગ્રિમ હરોળ નિદર્શન, જુદી જુદી વિસ્તરણ પ્રવૃત્તિઓ, સફળતાની વાર્તાઓ, ઇમ્પેક્ટ સ્ટડીઝ તેમજ કેન્દ્રએ મેળવેલ સિદ્ધિઓની વિસ્તૃત ચર્ચા કરી હતી તથા વર્ષ ૨૦૨૫ના એન્યુઅલ એક્શન પ્લાનની પણ ચર્ચા કરી હતી.
સલાહકાર સમિતિના સભ્યશ્રીઓ દ્વારા આપવામાં આવેલ સૂચનોનો પણ એક્શન પ્લાનમાં સામેલ કરવામાં આવશે. કાર્યક્રમમાં ઉપસ્થિત દેડિયાપાડાના પ્રગતિશીલ ખેડૂતમિત્રોશ્રીઓ નીતાબેન એમ.વસાવા, ગોપાલીયા, મંજુલાબેન આર. ગામીત નીંગટ, મનીષભાઈ પી. ભગત, નાની બેડવાણ, તથા વિરસીંગભાઈ જી.વસાવા અણદું તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર–દેડીયાપાડા દ્વારા આપવામાં આવેલ વ્યવસાયલક્ષી તાલીમના પ્રતિભાવો રજૂ કર્યા હતા.