મનરેગાના કામો માટે નિયુક્ત થયેલા લોકપાલશ્રીએ જિલ્લાના મીડિયાકર્મીઓ સાથે સાધ્યો સંવાદ :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ, ડાંગ રામુભાઈ માહલા
ડાંગ જિલ્લામા ચાલતા મનરેગાના કામો માટે નિયુક્ત થયેલા લોકપાલશ્રીએ જિલ્લાના મીડિયાકર્મીઓ સાથે સાધ્યો ‘સંવાદ’
લોકપાલની અસરકારક કામગીરી સાથે મિડીયાકર્મીઓના સહયોગથી જિલ્લામા લોકભોગ્ય કામો બાબતે તકેદારી રખાશે – શ્રી કે.જી.શેખ
આહવા: ડાંગ જિલ્લામા મનરેગા હેઠળ ચાલી રહેલા કામો બાબતે હાથ ધરવાની કાર્યપદ્ધતિ સાથે શ્રમિકોને ચુકવાતા વેતન, અને લોકભોગ્ય કામોની હિમાયત કરતા લોકપાલ (મનરેગા) શ્રી કે.જી.શેખે, ડાંગ જિલ્લાના મિડીયાકર્મીઓ સાથે આ બાબતે ‘સંવાદ’ સાધ્યો હતો.
જિલ્લાના મિડીયાકર્મીઓને લોકપાલ (મનરેગા)ની કામગીરી, તેમની ફરજો, કાર્યપદ્ધતિ વિગેરેની જાણકારી આપતા શ્રી શેખે, રાજ્ય સરકારે સ્વાયત્ત રીતે કામગીરી કરતા લોકપાલની નિમણુક કરીને, મનરેગા અંતર્ગત હાથ ધરાતા કામોની ગુણવત્તા, તથા તેની લોક ઉપયોગીતા બાબતે વિશેષ લક્ષ કેન્દ્રિત કર્યું છે તેમ જણાવ્યુ હતુ. કામગીરીની વિસ્તૃત છણાવટ સાથે આ બાબતે મળતી ફરીયાદોના નિકાલની કાર્યપદ્ધતિથી પણ લોકપાલશ્રીએ મિડીયાકર્મીઓને વાકેફ કર્યા હતા.
ડાંગ જિલ્લામા ચાલતા મનરેગાની કામગીરી માટે નિયુક્ત થયેલા લોકપાલશ્રીની કચેરી હાલમા આહવા સ્થિત વોટર શેડ ખાતે કાર્યરત છે, તેમ જણાવતા શ્રી શેખે, આ બાબતે કોઈ પણ પ્રકારની માહિતી, જાણકારી, કે ફરિયાદ બાબતે પ્રજાજનો તથા મીડિયાકર્મીઓ તેમનો સંપર્ક નંબર ; ૯૪૨૭૧ ૫૪૬૩૬ ઉપર સંપર્ક સાધી શકે છે, તેમ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લા માહિતી કચેરીના સહયોગથી યોજાયેલી આ ‘પ્રેસ વાર્તા’ મા જિલ્લામા ફરજ બજાવતા મીડિયા કર્મીઓએ ઉપસ્થિત રહી, જરૂરી વિગતો મેળવી હતી.