આહવા ખાતે સ્વાધ્યાય પરિવાર દ્વારા રક્ષાબંધન નિમિત્તે અનોખી ઉજવણી યોજાઈ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવા ખાતે સ્વાધ્યાય પરિવાર દ્વારા રક્ષાબંધન નિમિત્તે અનોખી ઉજવણી યોજાઈ:
દિનકર બંગાળ, વઘઈ: પરમ પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પ્રેરિત સ્વાધ્યાય પરિવાર દ્વારા આયોજિત રક્ષાબંધન ઉત્સવ અનોખી રીતે પૂજનીય જયશ્રી તલવલકર (પૂ. દીદીજી) ના સાનિધ્યમાં આહવા ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે યોજાયો. જેમાં આહવા-ડાંગ, વલસાડ, નવસારી, તાપી, સુરત, દમણ તથા દાદરાનગર હવેલીના 80,000 થી વધુ સ્વાધ્યાયી ભાઈઓ-બહેનોએ અતિ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
પ.પૂ. દીદીજી આહવા-ડાંગમાં પધારવાના છે એ ખુશીમાં સેંકડો ગામોએ પોતાના ઘર અને ગામોમાં દિવાળી પર્વ હોય તેમ સુશોભિત કર્યા હતા અને સાથે સાથે આહવા ખાતેનું કાર્યક્રમ સ્થળ પણ ખુબજ સુંદર રીતે સુશોભિત કરવામાં આવ્યું હતું. દરેક મુખ્ય રસ્તા, શેરીઓ, ચાર રસ્તા, સર્કલ, દ્વાર ડાંગી કલાકૃતિઓથી બેસ્ટ આઉટ ઓફ વેસ્ટના થીમ ઉપર સ્વાધ્યાયી કૃતિશીલોએ જાતે જ બનાવી શણગાર્યા હતા.
ભારતભરના વનવાસી વિસ્તારમાં “ઘર મંદિર” ના પ્રયોગની સમજણ દાદાજીએ 40 ઉપરાંત વર્ષોથી આપેલી છે. ભગવાનની પાલખી દર 7 દિવસે એક વનવાસી કુટુંબના ઘરેથી “ભગવાન મારા ઘરે પણ આવે” એ ભાવ સાથે બીજુ વનવાસી કુટુંબ લેવા જાય છે અને શોભાયાત્રાની સ્વરૂપે આખું ગામ જોડાય છે. સવાર-સાંજની પ્રાર્થના માટે આખું ગામ તે પરિવારને ત્યાં ભેગો થાય છે. ભગવાન મારા ઘરે આવે છે એ ભાવનાથી પરિવારના વ્યવહાર, વાણી-વર્તન અને ઘરની સ્વચ્છતામાં બદલાવ આવી જાય છે, વ્યસન તો ન ખબર પડતા જ છૂટી જાય છે. આખા ગામમાં પણ એક ભગવાનના પરિવારની નાતે ઐક્ય ભાવ નિર્માણ થાય છે.
પૂ. દાદાજીના અવિરત પુરુષાર્થ સમો “ઘર મંદિર” નો પ્રયોગ જયારે આહવામાં હોય અને પૂ. દીદીજી પણ સ્વયં આહવામાં હોય ત્યારે તેઓ સહજ રીતે એક ગામમાં ગયા અને તેજ સમયે ભગવાનની શોભાયાત્રા જતી હોવાથી તેઓ જોડાયા અને ભગવાનને નમસ્કાર કર્યા. ગામનું વાતાવરણ જાણે ખુબજ પવિત્ર અને રમણીય થઇ ગયું હતું. આખા ગામમાં ઉર્જાનો સંચાર થઇ ગયો હતો અને ખુશીનો માહોલ હતો.
કાર્યક્રમની શરૂઆત થતા જ વરસાદે પણ પોતાનો આનંદ વાદળોના ગડગડાટ સાથે વરસાવ્યો હતો પણ ઉલ્લેખનીય છે કે આવા વરસાદમાં પણ હજારોની સંખ્યામાં બેઠેલા સ્વાધ્યાય પરિવારમાંથી કોઈ પોતાની જગ્યા ઉપરથી હલ્યું પણ ન હતું અને જબરજસ્ત શિસ્તનું પ્રદર્શન કર્યું હતું.
વનવાસી ભાઈઓએ પારંપરિક ડાંગી સાંસ્કૃતિક વાજીંત્ર “પાવરી અને ઢોલક”ના જેવા સંગીત વાદ્યો દ્વારા પૂ. દીદીજીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. 4000 થી વધારે યુવાનો, 1000 થી વધુ યુવતીઓ અને 650 થી વધુ દંપત્તિઓએ પૂ. દીદીજી સમક્ષ પારંપરિક ડાંગી નૃત્ય રજુ કરી તેઓની ભાવવંદના કરી હતી. આ પ્રસંગે યુવાનોએ ડાંગી કરતબો દેખાડ્યા હતા. ત્યાર બાદ આત્યંતિક પારિવારિક માહોલમાં દીદીજીએ આશીર્વચન આપ્યા હતા.
દીદીજીએ પોતાના પ્રાસંગિક પ્રવચન ઉમેર્યું હતું કે વનવાસી એટલે દાદાનો પોતીકો અને લાડકો વ્યક્તિ. દાદા વિચારતા કે ભગવાનનો વિચાર અંતિમ માણસ સુધી પહોંચવો જોઈએ અને વિશ્વને એક તાંતણે બાંધવાના પ્રયત્નમાં વનવાસી પણ સાથે જ હોવો જોઈને. દાદાજીએ વર્ષો પહેલા “ઘર મંદિર” ની કલ્પના આપી હતી કે ગામે ગામ ભગવાન પહોંચવા જોઈએ, ઘર મંદિર પહોંચવા જોઈએ, રામ પહોંચવા જોઈએ.
પૂ. દીદીજીએ વધુમાં જણાવ્યું હતું કે રક્ષાબંધન એટલે માનવ સંબંધનો એક માત્ર અને અતિ પવિત્ર ઉત્સવ. પણ મને પ્રશ્ન થાય કે રક્ષા કોણ કોની કરે? બહેનનું રક્ષણ ભાઈ કરે કે હું મારા ભાઈનું રક્ષણ કરું? મારો ભાઈ યુદ્ધમાં ગયો છે તો તેનું રક્ષણ કોણ કરે? અને બહેનથી દૂર ભાઈ હોય તો તે પણ હ્યુમન બીઇંગ છે, તેની પણ મર્યાદા છે, તે મારુ રક્ષણ કેવી રીતે કરે? તેથી જ તો આપણે રામરક્ષાસ્તોત્ર ગાઈએ છીએ. મારી રક્ષા રામ કરે. ભગવાન સાથે છે એ વાત કદી ભુલાવી જોઈએ નહિ અને તેથીજ દાદાજીએ ત્રિકાળ સંધ્યા આપી છે. ત્રિકાળ સંધ્યાએ માત્ર પારાયણનો વિષય નથી, પણ તત્વજ્ઞાનનો વિષય છે. રક્ષણ એ માત્ર શસ્ત્રથી જ થાય એ ટૂંકી દ્રષ્ટિ છે, પણ મારે ઇન્દ્રિયોના પરતંત્ર્ય અને ભોગ દ્રષ્ટિથી પણ મારુ રક્ષણ કરવું પડે.
લોકો પૂછે કે દીદી તમારે કેટલી રાખડી જોઈએં? દાદાજીએ એટલા બધા ભાઈઓ આપ્યા છે કે મારે તો રાખડીની ફેક્ટરી જ ખોલવી પડે, પણ જ્યાં માણસો જ રાખડી બનીને ઉભા હોય અને દાદાજીના તેજ બંધન અને સ્નેહબંધનથી બંધાયા હોય ત્યાં જ આ શક્ય છે. આનાથી વિશેષ રક્ષાબંધન શું હોય શકે ? અને મને એ વાત નું ગૌરવ છે કે દુનિયામાં મારા જેટલા ભાઈઓ કોઈની પાસે નથી.