આહવામાં પ્લોટની ફાળવણી મુદ્દે અંતે સ્થાનિકો ચૂંટણી બહિષ્કારની વાટે

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આહવામાં પ્લોટની ફાળવણી મુદ્દે અંતે સ્થાનિકો ચૂંટણી બહિષ્કારની વાટે
દિનકર બંગાળ, વઘઈ:આહવાના મિશનપાડા (હનુમાન મંદિરની પાછળ) જાહેર રસ્તા પર પ્લોટની ફાળવણી કરવામાં આવતા સ્થાનિકોએ જિલ્લા કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવ્યું હતુ. જોકે હજુ સુધી તે પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કરવા અંગે જિલ્લા કલેકટરને લેખિતમાં જાણ કરી છે.
આ જમીન ઈશ્વરભાઈ લાલજીભાઈ
પરમાર (રહે.ભરૂચ)ને રહેણાંક હેતુથી ફાળવી દેવામાં આવી છે અને ઈશ્વર પરમાર નામનો વ્યક્તિ આ પ્લોટ વેચીને તેનો કોમર્શિયલ ઉપયોગ કરવા પ્રયાસ કરે છે તેવું પ્રતિત થઈ રહ્યું છે. જો આ જમીન-પ્લોટ રહેણાંક કે કોમર્શિયલ ઉપયોગમાં લેવાય તો સ્થાનિકો માટે અવરજવર કરવાનું મુશ્કેલ બને તેમ છે. તેથી સ્થાનિકોએ તા.05/01/2024નાં રોજ કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. જોકે આટલા દિવસ વિતી ગયા હોવા છતાં પણ આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.