તાપી જિલ્લાનું નવું ઘરેણું: “ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન” નું મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે લોકાર્પણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર
તાપી જિલ્લાનું નવું ઘરેણું: “ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન” આજે વ્યારા ખાતે મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમારના હસ્તે રૂપિયા ૩.૮૧ કરોડના ખર્ચે નવનિર્મિત ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ કરાયું.
“આપણે સૌ ડૉ.બાબાસાહેબ આંબેડકરના આદર્શ મૂલ્યોને ચરિતાર્થ કરી જીવનમાં અપનાવીએ એ આજના સમયની માંગ છે”:
-મંત્રીશ્રી ઇશ્વરભાઇ પરમાર
વ્યારા-તાપી ૧૩: આજે વ્યારા ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા કેબિનેટ મંત્રીશ્રી ઇશ્વરભાઈ પરમારના હસ્તે ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકાર્પણના આ પ્રસંગે અધિક મુખ્ય સચિવશ્રી સુનયના તોમર, કલેકટર એચ.કે.વઢવાણિયા, જિલ્લા વિકાસ અધિકારી ડો. દિનેશકુમાર કાપડિયા, જિલ્લા પોલિસ વડા સુજાતા મજમુદાર ઉપસ્થિત રહ્યાં હતા.
મંત્રીશ્રી ઇશ્વરભાઈ પરમારે જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના સફળ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે સર્વ સમાજના સર્વાંગી વિકાસનો મક્ક્મ નિર્ધાર કર્યો છે. અનુસૂચિત જાતિના લોકોને સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્ર્મો માટે ઉપયોગી બને તે હેતુથી જિલ્લા કક્ષાએ ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન બાંધવાની યોજના વર્ષ-૧૯૯૨ થી અમલમાં મુકવામા આવી હતી. આજે તાપી જિલ્લામાં અનુસૂચિત જાતિ સમાજના લોકોને રૂપિયા ૩.૮૧ કરોડના ખર્ચે તૈયાર થયેલ આ ભવનનું લોકાર્પણ કરતા આનંદ અને ગર્વ અનુભવુ છું.
તેમણે ઉમેર્યું કે, આ ભવનના ભૂમિપૂંજનથી લઇ બાંધકામ પૂર્ણ થાય ત્યા સુધી અનુસૂચિત જાતિના લોકોએ અનેરો ઉત્સાહ અને સુઝબુઝ દાખવ્યા છે જે ગર્વની બાબત છે. પોતાના સમાજ માટે દરેક વ્યક્તિએ યોગદાન આપવું જ જોઇએ. સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા ડૉ.બાબાસાહેબ આંબેડકર એક મહાન વિભૂતિ હતા. આપણે સૌ ડૉ. બાબાસાહેબ આંબેડકરના આદર્શ મૂલ્યોને ચરિતાર્થ કરી જીવનમાં અપનાવીએ એ આજના સમયની માંગ છે.
વધુમાં તેમણે કોરોનાકાળમાં માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર થયેલા બાળકો માટે ‘‘મુખ્યમંત્રી બાળ સેવા યોજના’’ હેઠળ રાજ્ય સરકાર દ્વારા દર મહિને રૂપિયા ૪ હજારની સહાય આપવાની યોજના, ખાનગી શાળામાં ભણતા બાળકોની ફી માફી યોજના, વિદેશ શિક્ષણ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ માટે રૂપિયા ૧૫ લાખની સહાય, વિધવા પુન: લગ્નને પ્રોત્સાહન આપતી ગંગાસ્વરૂપ યોજના હેઠળ રૂપિયા ૫૦ હજારની સહાય તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ કાર્યરત વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી સૌને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરના આદર્શોને મૂર્તિમંત કરવાના આ કાર્યક્રમમાં સાંસદ પરભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, તમામ જિલ્લાઓમા સર્વ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય તેવું સદ્રઢ આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ભવન તાપી જિલ્લાનું નવુ ઘરેણું છે. નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના સર્વાંગી વિકાસ માટે નવી રાહ ચિંધી છે. સમાજથી પર કોઈ નથી, સમાજનો વિકાસ થાય, ઉન્નતિ થાય તેમજ ગરીબ વર્ગ માટે આ ભવન આશિર્વાદરૂપ બનશે. આ ઘરેણાની શોભા જળવાઇ રહે તેની તકેદારી રાખવી આપણા સૌની નૈતિક જવાબદારી છે. ભવનનો યોગ્ય ઉપયોગ થાય, સ્વચ્છતા જળવાય તથા સમાજના નાના-મોટા શૈક્ષણિક પ્રસંગોમાં આ ભવન જનઉપયોગી બની રહેશે.
આ પ્રસંગે અનુસૂચિત જાતિ કલ્યાણ નિયામક બી.પી.ચૌહાણે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યુ હતુ કે, ડો. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમાં રાજ્ય સરકારે આવા કુલ ૨૩ ભવનોનું નિર્માણ કર્યુ છે. તમામ સુવિધાઓથી ભરપુર આ ભવન લોકોના ઉત્કર્ષ માટે ઉપયોગી બની રહેશે. આ ભવનમાં સામાજીક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો, સંમેલનો અને સમારંભોની ઉજવણી માટે તેમજ મીટિંગના હેતુ, સ્વૈચ્છિક સંસ્થાઓને સરકારશ્રી દ્વારા નક્કી કરેલ દરથી ભાડે આપવામાં આવશે. ડો. બાબાસાહેબ આંબેડકર ભવન સામાજિક સમરસતાનું શ્રેષ્ઠ પ્રતિક બની રહેશે. નાયબ નિયામક જ્યોત્સના સોલંકી દ્વારા આભારદર્શન કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અરવિંદભાઇ ગામીતે કર્યું હતું. આદર્શ નિવાસી શાળાની બાલિકાઓએ સ્વાગત નૃત્ય કરી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમના અંતે ભવનના પટાંગણમાં સૌ મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યુ હતું.
લોકાર્પણના આ પ્રસંગે પ્રાંત અધિકારી હિતેશ જોશી, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મનીષ પટેલ, પ્રભારી અશોકભાઈ ધોરાજીઆ, નર્મદ યુનિ. સિન્ડીકેટ મેમ્બર ડૉ.જયરામ ગામીત, ન.પા પ્રમુખ સેજલબેન રાણા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મસુદાબેન નાઇક, મહામંત્રી વિક્રમ તરસાડિયા, બૌદ્ધ ગુરુ ભન્તેજી મહારાજ, એસ.સી મોર્ચા પ્રમુખ અશોકભાઈ, અનુસૂચિત જાતિ સમાજના અગ્રણીઓ સહિત અન્ય મહાનુભવો સામાજિક અંતર જાળવી ઉપસ્થિત રહ્યા હતા.