જરગામ અને ચીકદા ખાતે CMO સચિવાલયના અંડર સેક્રેટરી શ્રીમતી ઋજુતા ત્રિવેદી દ્વારા આદિવાસી બાળકોને શાળામાં નામાંકન કરાયું

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
જરગામ અને ચીકદા ખાતે CMO સચિવાલયના અંડર સેક્રેટરી શ્રીમતી ઋજુતા ત્રિવેદી દ્વારા આદિવાસી બાળકોને શાળામાં નામાંકન કરાયું
દેશનાં બાળકોએ આવતી કાલનું ભવિષ્ય છે – અંડર સેક્રેટરી શ્રીમતી ઋજુતા ત્રિવેદી
સર્જન વસાવા, ડેડિયાપાડા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલી જરગામ પ્રાથમિક શાળા, ચીકદા પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ મોડેલ શાળા ખાતે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ- ૨૦૨૫-૨૬ નિમિત્તે CMO સચિવાલયના અંડર સેક્રેટરી શ્રીમતી ઋજુતા ત્રિવેદી દ્વારા આંગણવાડી, બાલવાટીકા અને ધોરણ ૧,૬,૯,૧૧ના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી શૈક્ષણિક કીટ આપી શાળામાં ભૂલકાઓનું નામાંકન કરી માધ્યમિક શાળાના બાળકોને પણ પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે શ્રીમતી ઋજૂતાબેન ત્રિવેદી જણાવ્યું હતું કે, દેશનાં બાળકોએ આવતી કાલનું ભવિષ્ય છે. બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવા અભિગમ સાથે બાળકોનું શારીરિક અને માનસિક વિકાસ થાય તેમજ શાળામાં નિયમિત દરરોજ આવવાનો રસ દાખવે એ હેતુથી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી પર ખાસ ભાર મુકવામાં આવ્યો છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ એ એક કાર્યક્રમ ન રહેતા સર્વે સમાજનો લોકોત્સવ અને જનઆંદોલન ઉત્સવ છે. સરકારના મુખ્યમંત્રીશ્રી, મંત્રીશ્રી અને સનદી અધિકારીઓ આ ત્રિ-દિવસીય પ્રવેશોત્સવમાં ગ્રામીણક્ષેત્રની શાળામાં જઈ ઠેર-ઠેર નામાંકન કરાવી રહ્યાં છે.
જરગામ પ્રાથમિક શાળામાં આંગણવાડી ૧ બાળક, બાલવાટિકામાં ૧૬ બાળકો અને ચીકદા હાઇસ્કૂલમાં ધોરણ- ૯ માં કુલ-૪૫ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. જ્યારે પ્રાથમિક શાળા, ચીકદા ખાતે બાલવાટિકામાં ૨૦ બાળકોને, ચીકદા મોડેલ ડૅ સ્કૂલમાં ધોરણ-૬ માં ૦3 બાળકો અને ધોરણ-૯ માં કુલ-૨૬ બાળકોએ શાળામાં પ્રવેશ કર્યો હતો. બાળકોને નોટ બુક, પાઠ્યપુસ્તક અને સ્કૂલ બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. અને શાળાના SMC ના અધ્યક્ષ, સભ્યો સાથે બેઠક યોજી શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ચીકદા ગામના સરપંચ શ્રીમતી લતાબેન વસાવા, લાઈઝન અધિકારીશ્રી વિપુલભાઈ અને શ્રી રામસિંગભાઈ, શાળાના આચાર્યશ્રી, સ્ટાફગણ, CRC, SMC સભ્ય, SMDC સભ્ય, વાલીગણ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.



