સદગુરુ સદાફલદેવ દંડકવન આશ્રમ વાંસદા ખાતે મહારક્તદાન કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સદગુરુ સદાફલદેવ દંડકવન આશ્રમ વાંસદા ખાતે મહારક્તદાન કાર્યક્રમ યોજાયો:
કમલેશ ગાંવિત, વાંસદા: 28 ઓક્ટોબર, 2024 વાંસદા તાલુકાના શ્રી સદગુરુ સદાફલદેવ દંડકવન આશ્રમ ખાતે સંત પ્રવર વિજ્ઞાનદેવજી મહારાજના જન્મદિન નિમિત્તે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેસીઆઈ વાંસદા રોયલ અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વાંસદા શાખાના સહયોગથી આયોજિત આ બલડ ડોનેટ કાર્યક્રમમાં 72 યુનિટ રક્તદાન એકત્રિત કરવામાં આવ્યું હતુ.
વાંસદની પાવન ધરતી પર સંતપ્રવર વિજ્ઞાનદેવજી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને દીપ પ્રાગટય સાથે કાર્યક્રમને ઉદઘાટન કરવામાં આવ્યું હતુ. ઉપસ્થિત મહાનુભાવો અને ભક્તોએ રક્તદાનના મહત્ત્વ અંગે મહારાજ શ્રી ના પ્રેરણાદાયક વચન સાંભળ્યા હતાં. વધુમાં સંતપ્રવર વિજ્ઞાનદેવજી મહારાજે પોતે પણ રક્તદાન કરી ભક્તોને રક્તદાન કરવા પ્રોત્સાહિત કર્યા હતા. મહારાજે રક્તદાનને શ્રેષ્ઠ સેવા ગણાવી હતી, એક યુનિટ રક્તદાન દ્વારા ત્રણ વ્યક્તિઓના જીવન બચાવતું હોય છે તેમ ઉમેર્યું હતું.
આ કાર્યક્રમમાં 200 થી 300 લાભાર્થી ગરીબ ભાઈઓ-બહેનોને વસ્ત્રદાન કરી સેવા યજ્ઞ કર્યો હતો. સાથે જ વાંસદા સરકારી કોટેજ હોસ્પિટલના તમામ દર્દીઓ માટે ફળ વિતરણ અને નજીકના ગામોમાં ભોજન વિતરણ કરવામાં આવ્યું હતુ. આ દરમિયાન મહારાજના પાવન હસ્તે આશ્રમ ખાતે આમળાનું છોડ રોપી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં વાંસદા તાલુકાના પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેઝિસ્ટ્રેટ ડી.આઈ. પટેલ, વાંસદા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન. એમ. આહીર, વાંસદા તાલુકા પંચાયત પ્રમુખ દિપ્તીબેન પટેલ અને મિતુલ ભાવસાર, પ્રદ્યુમનસિંહ સોલંકી , દરાયસ મિરઝા, અનિલ ભાઈ પટેલ, ધનરાજભાઈ રાજપૂત તથા વિશિષ્ટ આગેવાનો, ભક્તો, ગુરુ, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ કેમ્પને સફળ બનાવવા એન.એમ.પી બ્લડ બેન્ક બીલીમોરાના ડૉ.તેજસભાઈ અને ટીમે ભારે જેહમત ઉઠાવી હતી. આ મહારક્તદાન અને સેવાકાર્ય દ્વારા સમાજ સેવા પ્રત્યે આદર્શ ઉદાહરણ પુરૂ પાડયું હતુ.