સાગબારાની ૭ ગ્રામ પંચાયતના મહિલા સરપંચનો તમામ વહીવટ તેમના પતિ કરતા હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, ૨૪x૭ વેબ પોર્ટલ
સાગબારાની ૭ ગ્રામ પંચાયતના મહિલા સરપંચનો તમામ વહીવટ તેમના પતિ કરતા હોવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનો આક્ષેપ:
સર્જન વસાવા, નર્મદા: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સાગબારા તાલુકાની ૭ ગ્રામ પંચાયતોના મહિલા સરપંચના પતિઓ પર ગંભીર ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપ લગાવી એમની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી છે. જો એમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચ્યો છે.
ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગંભીર આક્ષેપો લગાવતા જણાવ્યું છે કે કોલવાણ, પલાસવાડા, સેલંબા, મોહુંપાડા, ભાદોડ, પાટ, પાંચપીપરીના મહિલા સરપંચના પતિ વહિવટ કરે છે અને ટીડીઓની હાજરીમાં સરકારી દસ્તાવેજો પર સહી સિક્કા કરે છે, સાથેસાથે આ લોકો ગ્રામસભા અને સરકારી મીટીંગોમાં જાય છે અને ચેક પર પણ પોતે સહી કરે છે. પંચાયત ધારા અધિનિયમ ૧૯૯૩ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરીએ છીએ. સાથે સાથે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪, ૨૦૨૪- ૨૫ માં મનરેગા યોજના અંતર્ગત કરેલા મટીરીયલના કામોની વિજિલન્સ તપાસ કર્યા બાદ જ નવામટીરીયલના કામોની મંજુરી આપવામાં આવે એવી માંગ છે.
ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ધારાસભ્યની મંજૂરીથી આ ૭ પંચાયતોમાં કામો જાય છે ત્યારે મહિલા સરપંચના પતિ સ્થળ, સ્થિતિ અને લાભાર્થીઓને બદલી કાઢે છે. આનુ પેમેન્ટ જ્યારે લેવા જાય છે ત્યારે આ મહિલા સરપંચના પતિઓ કહે છે કે ૧૦ ટકા કમિશન નહીં આપો તો ચેક નહીં આપીએ. આ લોકો વાસ્મો અને મનરેગા યોજનામાં પણ ૧૦ ટકા કમિશન લે છે અને અન્ય યોજનાઓમાં પણ એજન્સી પાસેથી ૧૦ ટકા કમિશન લે છે. જો આ લોકો વિરુદ્ધ વિજિલન્સની તપાસ નહીં થાય તો આ ૭ મહિલા સરપંચોના પતિઓ વિરુદ્ધ ગ્રુપ ગ્રામ પંચાયતના લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી.