એસ્પીરેશનલ બ્લોક સુબીરને લઈને L&T Public Charitable Trust સાથે કરાયુ વર્કશોપનુ આયોજન

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24X7 વેબ પોર્ટલ
એસ્પીરેશનલ બ્લોક સુબીરને લઈને L&T Public Charitable Trust સાથે કરાયુ વર્કશોપનુ આયોજન
દિનકર બંગાળ, વઘઈ: ડાંગ જિલ્લાના એસ્પીરેશનલ બ્લોક સુબીરને લઈને જિલ્લા અધિકારીઓ, સુબીર તાલુકાના અધિકારી-કર્મચારીઓ સહિત L&T Public Charitable Trustના હોદ્દેદારો અને તેમની સાથે સંકળાયેલ NGOના સભ્યોનો એક સંયુક્ત વર્કશોપ યોજાઈ ગયો.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલા આ વર્કશૉપના પ્રથમ ભાગમાં L&T Public Charitable Trust દ્વારા ગત વર્ષ ૨૦૨૩/૨૪માં સુબીર તાલુકામાં આરોગ્ય, પોષણ, અને શિક્ષણ જેવા વિવિધ વિષયો સાથે સંકળાયેલા જુદા જુદા વિભાગો/કચેરીઓ સાથે સુચારુ સંકલન કરીને, હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. દરમિયાન આરોગ્ય, પોષણ, અને શિક્ષણ વિભાગના અધિકારીઓ દ્વારા કામગીરી બાબતના પ્રતિભાવો રજૂ કરાયા હતા. L&T Public Charitable Trust દ્વારા આગામી વર્ષ ૨૦૨૪/૨૫ માં હાથ ધરાનારા કાર્યક્રમોનો ચિતાર પણ અહીં રજૂ કરાયો હતો.
વર્કશોપના બીજા ભાગમાં ડાંગ અને મુખ્યત્વે સુબીર તાલુકા ખાતે આજીવિકાના સાધન તરીકે, ડેરી ઉદ્યોગમાં વિકાસની વધુ સંભાવના જોતા આ બાબતે વિશેષ જાગૃતિ દાખવવા સાથે ઉદ્દભવતા પ્રશ્નો અંગે, ડેરી ઉદ્યોગના તજજ્ઞો સાથે ડાંગ ક્લેક્ટર શ્રી મહેશ પટેલ, અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજ સુથારે વિસ્તૃત ચર્ચા હાથ ધરી હતી. જેમાં L&T Public Charitable Trust ના હોદ્દેદારો ઉપરાંત, સહયોગી NGO જેવી કે આગખાન, ચેતના, પ્રથમ, અને હકદર્શકના સભ્યો ઉપરાંત જિલ્લાના સબંધિત વિભાગોના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ડાંગની ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાને લઈ અહીં ડેરી ઉદ્યોગને આવક તથા આજીવિકાના સ્ત્રોત તરીકે વધુ ઉપયોગી બનાવવા માટે વિશેષ રણનીતિ સાથે તેની સામે રહેલા પડકારો, સમસ્યા, અને પ્રશ્નો બાબતે પણ ઉપયોગી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. વા ઉપરાંત અહીં આરોગ્ય અને પોષણ ક્ષેત્રે સુધારો લાવવા માટે સમતોલ આહાર પર વિશેષ ભાર મૂકવા સાથે, આ ક્ષેત્રે હાથ ધરાનાર કામગીરી અંગેના વિચારો રજૂ કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, L&T Public Charitable Trust દ્વારા ગત વર્ષ ઓક્ટોબર-૨૦૨૩માં એસ્પીરેશનલ બ્લોક સુબીર તાલુકામાં શરૂઆતના તબક્કે કુલ-૧૧ (શિંગણા, જામન્યામાળ, બુરથડી, ગાવદહાડ, ગીરમાળ, કાકશાળા, નિશાણા, જામલા, કેશબંધ, ટીંબરથવાં, અને બિલીઆંબા) ગામોમાં આરોગ્ય, શિક્ષણ, રોજગાર, પોષણ, સ્કીલ ડેવલપમેંટ, પાણી, કૃષિ અને ઈન્ફ્રાસ્ટ્રકચર જેવા ક્ષેત્રમાં કામગીરી અંગેના સમજૂતી કરાર થયા હતા. આગામી વર્ષ ૨૦૨૪/૨૫ માં તેમણે સુબીરના અન્ય ૫ ગામો (ઝરણ, મોખામાળ, કાંગરીયામાળ, હનવતપાડા, અને જારસોલ) માં આ કામગીરીનો વ્યાપ વધારી કુલ ૧૬ ગામોમાં કામગીરી હાથ ધરવાનો નિર્ધાર કર્યો છે.
આ ઉપરાંત આગામી સમયમાં સુબીરના વધુ ગામોને આવરી લઈ, વિકાસના વિવિધ ક્ષેત્રોમાં કામગીરી કરવાની વ્યૂહરચના પણ રજૂ કરવામાં આવી છે.