સાગબારામાં 600થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દીની નવી તકો અને સફળતાના માર્ગે આગળ વધવા મળ્યું માર્ગદર્શન:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
સાગબારામાં 600થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દીની નવી તકો અને સફળતાના માર્ગે આગળ વધવા મળ્યું માર્ગદર્શન:
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ બન્યા પ્રેરણાસ્ત્રોત : સરકારી સેવામાં પહોંચેલા અધિકારીઓએ પોતાની સફળતાની સફર અને તૈયારીના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા
આકાંક્ષી નર્મદા જિલ્લામાં શિક્ષણ સાથે કારકિર્દી ઘડતર પર જિલ્લા વહીવટી તંત્રનો વિશેષ ભાર:
સર્જન વસાવા, ડેડિયાપાડા: “સપનું જોવું મહત્વનું છે, પરંતુ તે સપનાને સાકાર કરવા માટે સાચી દિશા, યોગ્ય માર્ગદર્શન અને સતત મહેનત જરૂરી છે.” આ વિચારને સાકાર કરવાની દિશામાં નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે એક વધુ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે.
નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘના માર્ગદર્શન હેઠળ શ્રી નવરચના હાઈસ્કૂલ-સાગબારા ખાતે 600થી વધુ વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં વિદ્યાર્થીઓને માત્ર કારકિર્દીના વિકલ્પોની માહિતી જ નહીં, પરંતુ પોતાના સપનાને લક્ષ્યમાં અને લક્ષ્યને સફળતામાં પરિવર્તિત કરવા માટેની દિશા પણ આપવામાં આવી હતી.
ધોરણ-10 પછીનો નિર્ણય, ભવિષ્યની દિશા નક્કી કરે છે
સેમિનારમાં પ્રાઈડ કેરિયર એકેડેમી, સુરતના શ્રી જગદીશભાઈ બરવાળીયા દ્વારા રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, લાયકાતના ધોરણો તથા વિવિધ ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત અંગે રસપ્રદ અને સરળ ભાષામાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ધોરણ-10 પછી કયો પ્રવાહ પસંદ કરવો, ધોરણ-12 પછી કયા અભ્યાસક્રમો અને ક્ષેત્રોમાં આગળ વધી શકાય, સરકારી નોકરી માટે કઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી શકાય અને તેની તૈયારી કઈ રીતે કરવી તે અંગે વિદ્યાર્થીઓને વ્યવહારુ માહિતી આપવામાં આવી હતી.
આ માર્ગદર્શનથી વિદ્યાર્થીઓ સામે કારકિર્દીના અનેક નવા વિકલ્પોના દ્વાર ખુલ્યા હતા અને “હવે આગળ શું કરવું?” જેવા પ્રશ્નોના જવાબ મેળવવામાં તેમને મદદ મળી હતી.
જે શાળામાં ભણ્યા, ત્યાં જ સફળતાની કહાની કહેવા પહોંચ્યા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ
આ સેમિનારની સૌથી વિશેષ અને પ્રેરણાદાયી બાબત એ રહી કે નવરચના હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, જેઓ આજે સરકારના વિવિધ વિભાગોમાં સેવા આપી રહ્યા છે, તેઓ પોતાની જ શાળા તથા તાલુકાની શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.
અદ્યાપકશ્રી ડૉ. નરેન્દ્રભાઈ વસાવા, માર્ગ અને મકાન વિભાગ-ભરૂચના ઈજનેરશ્રી ભગતસિંહ વસાવા, મેડિકલ ઓફિસરશ્રી ડૉ. શારદાબેન વસાવા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર શ્રીમતી રંજીતાબેન વસાવા, શિક્ષકશ્રી શાંતુભાઈ વસાવા સહિતનાઓએ પોતાની સફળતાની સફર, સંઘર્ષ, અભ્યાસ અને તૈયારીના અનુભવો વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા.
તેમણે GSET/UGC-NET, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, આરોગ્ય વિભાગની પરીક્ષાઓ, પોલીસ વિભાગની પરીક્ષાઓ સહિતની પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, સમયનું આયોજન કઈ રીતે કરવું, સતત અભ્યાસ માટે કઈ રણનીતિ અપનાવવી અને પોતાની રુચિ તથા ક્ષમતા અનુસાર કારકિર્દીની પસંદગી કેવી રીતે કરવી તે અંગે વિદ્યાર્થીઓને પોતાના અનુભવોના આધારે માર્ગદર્શન મળ્યું હતું.
પોતાના ગામ-વિસ્તારમાંથી ભણીને સરકારી સેવામાં પહોંચેલા આ સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની હાજરીએ વર્તમાન વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ જગાવ્યો હતો કે, “આપણા વિસ્તારમાંથી પણ મોટા સપના સાકાર થઈ શકે છે.”
આદિવાસી પ્રતિભાને તક મળે તો સફળતાની કોઈ સીમા નથી
નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વિસ્તાર ધરાવતો અને આકાંક્ષી જિલ્લો છે. અહીંના વિદ્યાર્થીઓમાં પ્રતિભા અને મહેનતની કોઈ કમી નથી. જરૂર છે તો માત્ર યોગ્ય સમયે યોગ્ય માહિતી, યોગ્ય માર્ગદર્શન અને તકો સુધી પહોંચવાની દિશાની.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવી રહેલા પ્રયાસોમાં કારકિર્દી માર્ગદર્શનને મહત્વ આપીને વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક યુગ માટે તૈયાર કરવાની દિશામાં આ સેમિનાર મહત્વપૂર્ણ કડી બની રહ્યો છે.
સરકારી ક્ષેત્રની વિવિધ પરીક્ષાઓથી માંડીને ઉચ્ચ શિક્ષણ અને વિશિષ્ટ કારકિર્દીના ક્ષેત્રો સુધીની માહિતી એક જ સ્થળે મળવાથી વિદ્યાર્થીઓને પોતાના ભવિષ્ય અંગે વધુ સ્પષ્ટતા પ્રાપ્ત થઈ હતી.
600થી વધુ વિદ્યાર્થીઓના સપનાને મળ્યું માર્ગદર્શનનું બળ
સાગબારા તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી 600થી વધુ વિદ્યાર્થીઓ આ સેમિનારમાં જોડાયા હતા. માર્ગદર્શન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા અને નિષ્ણાતો તથા સફળ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી પોતાના કારકિર્દી લક્ષ્ય અંગે જરૂરી માહિતી મેળવી હતી.
વિદ્યાર્થીઓએ પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, કારકિર્દી અંગે અગાઉ જે પ્રશ્નો અને મૂંઝવણ હતી તેમાં આ સેમિનારથી ઘણી હદે સ્પષ્ટતા થઈ છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, અભ્યાસક્રમો અને કારકિર્દીના વિકલ્પો અંગે ઉપયોગી માહિતી મળી છે. ભવિષ્યમાં ચોક્કસ દિશામાં આગળ વધવા માટે આ માર્ગદર્શન ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.
વિદ્યાર્થીઓએ આવનારા સમયમાં પણ આવા સેમિનારોનું નિયમિત આયોજન થાય તેવી લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના બાળકોને જો સતત અને યોગ્ય માર્ગદર્શન મળતું રહે તો તેઓ પણ રાજ્ય અને દેશની વિવિધ પ્રતિષ્ઠિત સેવાઓમાં સ્થાન મેળવી શકે છે.
‘આકાંક્ષી નર્મદા’ના સપનાઓને સાકાર કરવાની દિશામાં એક વધુ મજબૂત પગલું
આદિવાસી વિસ્તારના બાળકોના સપનાઓને ઓળખી તેમને યોગ્ય દિશા આપવી એ જિલ્લાના સર્વાંગી વિકાસ સાથે જોડાયેલું મહત્વપૂર્ણ કાર્ય છે. આ અભિગમ સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે તેમની કારકિર્દી ઘડતર પર આપવામાં આવી રહેલું ધ્યાન નર્મદાના યુવા ભવિષ્યને વધુ સક્ષમ બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ છે.
આ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર આદિવાસી વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને નવી ઊંચાઈ આપનાર અને ‘આકાંક્ષી નર્મદા’ના યુવા સપનાઓને ઉડાન આપનાર સરાહનીય પહેલ બની રહ્યો છે.



