South Gujarat

માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

માન. રાજ્યકક્ષાના મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું:

સાગબારા તાલુકાની નવરચના હાઈસ્કૂલના મેદાન ખાતે હર્ષ અને ઉમંગભેર રાષ્ટ્રીય પર્વની શાનદાર ઉજવણી કરાઈ

સર્જન વસાવા, ડેડિયાપાડા: 15 મી ઓગસ્ટ 2026 આઝાદીના 80 મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે નર્મદા જિલ્લામાં સાગબારા તાલુકાની નવરચના હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલ જિલ્લા કક્ષાની ઉજવણીમાં માન.ગુજરાત સરકારના જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યકક્ષા મંત્રીશ્રી તથા નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે ધ્વજવંદન કરી ત્રિરંગાને સલામી આપી અને શિસ્તબદ્ધ પરેડનું નિરીક્ષણ કર્યું.

સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે પ્રજાજોગ સંબોધન કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ‘વિકસિત ભારત@2047’નો સંકલ્પ માત્ર સરકારનો નહીં પરંતુ 140 કરોડ દેશવાસીઓનો સંકલ્પ છે. ખેડૂત, યુવાનો, મહિલાઓ, શ્રમિકો, શિક્ષકો અને ઉદ્યોગસાહસિકોના સહયોગથી જ વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થશે. ગુજરાત રાજ્ય શિક્ષણ, ઉદ્યોગ, પ્રવાસન, રોજગાર અને મહિલા સશક્તિકરણ જેવા ક્ષેત્રોમાં સતત નવી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં ટ્રાયબલ સબ પ્લાન હેઠળ વર્ષ 2025-26 દરમિયાન રૂ. 5,092 લાખના ખર્ચે 698 વિકાસકામો મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે વર્ષ 2026-27 માટે રૂ. 5,831 લાખની જોગવાઈ કરવામાં આવી છે. વન અધિકાર કાયદા હેઠળ 12,423 લાભાર્થીઓને જમીનના હક્કો આપવામાં આવ્યા છે અને રૂ. 257.94 કરોડના ખર્ચે ટ્રાયબલ મ્યુઝિયમનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. નર્મદા જિલ્લામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને કારણે પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવે છે.

તેમણે જણાવ્યું હતું કે ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી હેઠળ જિલ્લામાં 6 શૈક્ષણિક સંસ્થાઓ કાર્યરત છે, જેમાં 4 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS), 1 મોડલ સ્કૂલ તથા 1 જી.એલ.આર.એસ.નો સમાવેશ થાય છે. આ સંસ્થાઓ દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સમરસ વિદ્યાસેતુ અભિયાન હેઠળ જિલ્લામાં શાળા બહાર રહેલા 4,224 વિદ્યાર્થીઓમાંથી 3,906 બાળકોને પુનઃ શાળામાં પ્રવેશ અપાયો છે.

કૃષિ ક્ષેત્રે ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે રૂ. 3,075 લાખની જોગવાઈ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 74,429 ખેડૂતોને રૂ. 14.89 કરોડની સહાય આપવામાં આવી છે, જ્યારે વરસાદી નુકસાન બદલ 48,251 ખેડૂતોને રૂ. 147.64 કરોડની સહાય ચૂકવવામાં આવી છે. વનબંધુ ટ્રેક્ટર યોજના અને એ.જી.આર.-50 યોજના હેઠળ 1,245 ટ્રેક્ટરો માટે રૂ. 1,245 લાખ તથા કૃષિ યાંત્રિકીકરણ માટે રૂ. 1,294.24 લાખની જોગવાઈ કરવામાં આવી છે. ખેડૂત અકસ્માત વીમા સહાય રૂ. 2 લાખથી વધારી રૂ. 4 લાખ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગૃહિણીઓ દૂધ ઉત્પાદન અને પ્રાણીજન્ય પેદાશો દ્વારા આત્મનિર્ભર બને તે માટે સરકાર સતત પ્રયાસશીલ છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ઘઉં, ચોખા, દાળ, ખાંડ અને ખાદ્યતેલ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ લાભાર્થીઓને નિયમિત ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર નર્મદા જિલ્લામાં મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા સ્વસહાય જૂથો, પિંક રિક્ષા જેવી યોજનાઓ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.

આરોગ્ય ક્ષેત્રે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) હેઠળ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. ઉપરાંત પ્રધાનમંત્રી જન આરોગ્ય વય વંદના યોજના હેઠળ 70 વર્ષથી વધુ વયના 40 જેટલા વરિષ્ઠ નાગરિકોને રૂ. 26.28 લાખના ખર્ચે સારવારનો લાભ આપવામાં આવ્યો છે.

સગર્ભા માતાઓ અને બાળકોના આરોગ્યમાં સુધારો લાવવા પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના હેઠળ 3,284 લાભાર્થીઓને રૂ. 1.05 કરોડની સહાય આપવામાં આવી છે, જ્યારે નમોશ્રી યોજના હેઠળ 12,786 લાભાર્થીઓ માટે રૂ. 3.04 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

મંત્રીશ્રીએ અંતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકારની વિકાસલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે અને લોકભાગીદારીથી નર્મદા જિલ્લો વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર બને તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.

કાર્યક્રમ દરમિયાન માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી તેમજ માર્ગ સલામતી અંગેનું જાગૃતિ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. સાગબારા તાલુકાની પાંચ શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગારંગ રજૂઆત કરી હતી. શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

જિલ્લાના વિવિધ વિભાગોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ યોગદાન આપનાર 53 કર્મયોગીઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા વોલી ફાયરિંગ હર્ષધ્વનિનું આકર્ષક પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સાગબારા તાલુકાના વિકાસ માટે રાજ્યમંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે રૂપિયા 25 લાખનો ચેક મામલતદારશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ‘એક પેડ માં કે નામ 3.0’ અભિયાન અંતર્ગત મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ જિલ્લાકક્ષાની ઉજવણીમાં ભરૂચના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી અંજનાબેન વસાવા, રાજપીપળા રાજવી પરિવારના શ્રી માનવેન્દ્રસિંહ ગોહિલ તથા પરિવારના સભ્યો, જિલ્લા કલેક્ટરશ્રી ગંગાસિંઘ, પોલીસ અધિક્ષક સુશ્રી વિશાખા ડબરાલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા, પ્રાયોજના વહીવટદાર શ્રી અમોલ આવટે, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી.કે. ઉંધાડ, દેડિયાપાડા પ્રાંત અધિકારી સુશ્રી જુહી પાંડે, જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર જોડાયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button