Narmada

કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ કેન્દ્રનો માન. ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે શુભારંભ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી પેદાશોના વેચાણ કેન્દ્રનો માન. ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે શુભારંભ:

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને યોગ્ય બજાર અને વાજબી વળતર સાથે નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને પૌષ્ટિક ખોરાક ઉપલબ્ધ કરાવતી પહેલ:

સર્જન વસાવા, ડેડિયાપાડા: ‘સ્વસ્થ જીવનની શરૂઆત સ્વસ્થ ખોરાકથી’*ના સંદેશને સાકાર કરવાની દિશામાં નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને જનઆંદોલન બનાવવાના પ્રયાસોને વધુ વેગ મળ્યો છે. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સ્થાનિક બજાર ઉપલબ્ધ કરાવી તેમની મહેનતનું યોગ્ય વળતર મળે તેમજ નાગરિકોને તાજી, ગુણવત્તાયુક્ત અને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત ખાદ્ય પેદાશો સરળતાથી મળી રહે તેવા ઉદ્દેશ સાથે જિલ્લા સેવાસદન, કલેક્ટર કચેરીના પ્રાંગણમાં પ્રાકૃતિક ખેતી પેદાશોના નૂતન વેચાણ કેન્દ્રનો આજે નાંદોદના માન. ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી આર.વી. વાળા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીમતી વિશાખા ડબરાલ, નાયબ વન સંરક્ષકશ્રી ગૌરવ પ્રજાપતિ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી વિનોદ પટેલ, નાયબ બાગાયત નિયામકશ્રી નીતિન પટેલ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા આત્મા પ્રોજેક્ટના અધિકારીશ્રીઓ અને પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના વ્યાપને વધારવા માટે માત્ર ખેડૂતોને પ્રોત્સાહન પૂરતું નથી, પરંતુ તેમની પેદાશને યોગ્ય બજાર અને ગ્રાહકો સુધી સીધી પહોંચ મળે તે પણ એટલું જ મહત્વપૂર્ણ છે. આ હેતુસર શરૂ કરાયેલું આ વેચાણ કેન્દ્ર ‘ખેતરથી ગ્રાહક સુધી’ની સીધી કડીને મજબૂત બનાવશે. વેચાણ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત તાજી શાકભાજી, અથાણા, અનાજ-કઠોળ, હાથ બનાવટની વસ્તુઓ સહિતની વિવિધ કૃષિ પેદાશો ઉપલબ્ધ રહેશે. જેના થકી નાગરિકોને સ્થાનિક ખેડૂતો પાસેથી સીધી ગુણવત્તાયુક્ત પેદાશો ખરીદવાની સુવિધા મળશે અને ખેડૂતોને પણ વચેટિયા વિના સ્થાનિક સ્તરે પોતાની પેદાશોનું બજાર મળી શકશે.

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે ઘણીવાર પોતાની પેદાશોના વેચાણ માટે યોગ્ય બજાર મેળવવાનો પડકાર રહે છે. આ વેચાણ કેન્દ્ર ખેડૂતોને સ્થાનિક અને સીધું બજાર પૂરું પાડવાની સાથે તેમની મહેનતને યોગ્ય મૂલ્ય અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. સાથે જ, સ્થાનિક સ્તરે પ્રાકૃતિક ખેતીની પેદાશો સરળતાથી ઉપલબ્ધ થવાથી નાગરિકોમાં શુદ્ધ ખોરાક, સ્વસ્થ આહાર અને પૌષ્ટિક જીવનશૈલી અંગે જાગૃતિ વધશે. આમ, આ પહેલ ખેડૂતોની આર્થિક સમૃદ્ધિ સાથે લોકોના સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી સાબિત થશે.

નર્મદા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વધુ પ્રોત્સાહન આપી વધુને વધુ ખેડૂતોને આ ખેતી પદ્ધતિ સાથે જોડવા માટે ઉત્પાદનથી લઈને વેચાણ સુધીની સમગ્ર મૂલ્ય સાંકળને મજબૂત બનાવવાનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. જિલ્લા સેવાસદન ખાતે શરૂ થયેલું આ વેચાણ કેન્દ્ર આ દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button