Narmada

નર્મદાના ખોપીમાં વિશ્વ આદિવાસી દિને ઉજવણી નહીં, ન્યાય માટે ધરણાં!

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

નર્મદાના ખોપીમાં વિશ્વ આદિવાસી દિને ઉજવણી નહીં, ન્યાય માટે ધરણાં!

ખોપીમાં સાંસદ-ધારાસભ્ય ખેડૂતો સાથે ધરણા પર: ૨૫ દિવસથી સળગતો જંગલ જમીનનો પ્રશ્ન, સરકાર સામે ઉઠ્યા સીધા સવાલો

સર્જન વસાવા, ડેડિયાપાડા: એક તરફ સમગ્ર દેશમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી છે, તો બીજી તરફ નર્મદા જિલ્લાના ખોપી ગામમાં આદિવાસી ખેડૂતો પોતાના હક અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે. જંગલ જમીનના હકનો પ્રશ્ન હવે માત્ર રજૂઆત કે બેઠક પૂરતો રહ્યો નથી, પરંતુ સીધો આંદોલનના તબક્કે પહોંચી ગયો છે.

છેલ્લા ૨૫ દિવસથી જંગલ જમીનનો મુદ્દો ચર્ચામાં છે. અનેક રજૂઆતો, બેઠકો અને ચર્ચાઓ બાદ પણ ખેડૂતોને સંતોષકારક ઉકેલ મળ્યો નથી, તેવો ખેડૂતોનો આક્ષેપ છે. પરિણામે હવે ખેડૂતોનો અસંતોષ રસ્તા પર જોવા મળી રહ્યો છે.

ખોપી ગામે આદિવાસી ખેડૂતોના પ્રશ્નને લઈને સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શના દેશમુખ પણ ખેડૂતો સાથે ધરણા પર બેઠા છે. આ ઘટનાએ સરકાર અને વહીવટી તંત્ર સામે અનેક ગંભીર સવાલો ઉભા કર્યા છે.

સત્તાધારી પક્ષના જ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ખેડૂતોની સાથે ધરણા પર બેસવાની સ્થિતિ કેમ ઊભી થઈ?

જો વારંવારની રજૂઆતો અને બેઠકો બાદ પણ પ્રશ્નનો ઉકેલ ન આવે, તો સામાન્ય આદિવાસી ખેડૂતની રજૂઆત તંત્ર સુધી કેટલી અસરકારક રીતે પહોંચે છે—તે સવાલ હવે વધુ ગંભીર બન્યો છે.

બેઠકો થઈ, ચર્ચાઓ થઈ… પરંતુ નિર્ણય ક્યારે?

જંગલ જમીનના પ્રશ્નને લઈને સરકાર અને સંબંધિત તંત્ર સાથે અનેક વખત બેઠકો અને ચર્ચાઓ થઈ હોવા છતાં હજુ સુધી નક્કર ઉકેલ મળ્યો નથી, તેવો ખેડૂતો તરફથી આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ખેડૂતોનો સવાલ સીધો છે, રજૂઆતો થઈ… બેઠકો થઈ… ચર્ચાઓ થઈ… તો હવે નિર્ણય ક્યારે? માત્ર આશ્વાસનથી પ્રશ્ન ઉકેલાશે નહીં. ખેડૂતો હવે પોતાના જંગલ જમીનના હક અંગે નક્કર નિર્ણય અને સ્પષ્ટ જવાબ માગી રહ્યા છે.

આદિવાસી પરિવારો માટે જંગલ જમીનનો મુદ્દો માત્ર જમીનનો પ્રશ્ન નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ આ મુદ્દો તેમના રોજગાર, જીવનનિર્વાહ અને ભવિષ્ય સાથે સીધી રીતે જોડાયેલો છે. લાંબા સમયથી પ્રશ્ન યથાવત્ રહેતા ખેડૂતોમાં અસંતોષ વધી રહ્યો છે અને હવે આ અસંતોષ ધરણાંના સ્વરૂપમાં બહાર આવ્યો છે.

ધરણાંને પગલે ખોપી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ જવાનોની હાજરી વચ્ચે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તકેદારી રાખવામાં આવી રહી છે.

એક તરફ ખેડૂતો પોતાના હક અને ન્યાયની માંગ સાથે ધરણા પર બેઠા છે, તો બીજી તરફ મોટી પોલીસ હાજરીને કારણે ખોપી ગામમાં તણાવપૂર્ણ નહીં પરંતુ સંવેદનશીલ સ્થિતિનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સાંસદ મનસુખ વસાવા દ્વારા પણ જો ખેડૂતોને યોગ્ય ન્યાય નહીં મળે અને જંગલ જમીનના પ્રશ્નનો કાયમી ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે જ હવે સરકાર સામે પ્રશ્ન માત્ર રજૂઆતનો નથી રહ્યો. પ્રશ્ન એ છે કે સરકાર આ મુદ્દે નક્કર નિર્ણય ક્યારે લેશે?

વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમાજ માટે ગૌરવ અને ઓળખનો દિવસ છે. પરંતુ નર્મદાના ખોપી ગામમાં આ જ દિવસે આદિવાસી ખેડૂતો પોતાના જમીનના હક માટે ધરણા કરી રહ્યા છે. આ પરિસ્થિતિએ એક મોટો સવાલ ઊભો કર્યો છે.

વિશ્વ આદિવાસી દિવસ માત્ર ઉજવણી, કાર્યક્રમો અને શુભેચ્છાઓ પૂરતો રહેશે કે આદિવાસી સમાજના જમીન, જંગલ અને હકના મૂળભૂત પ્રશ્નોનું પણ નિરાકરણ આવશે?

ખોપી ગામના ધરણાંએ સરકાર અને વહીવટી તંત્ર સામે સીધો સંદેશ આપ્યો છે. ૨૫ દિવસથી ચર્ચાતો પ્રશ્ન, અનેક બેઠકો અને રજૂઆતો છતાં જો ઉકેલ વિના રહે તો ખેડૂતોનો અસંતોષ સ્વાભાવિક રીતે વધુ તીવ્ર બનશે.

શું જંગલ જમીનના પ્રશ્નનો કાયમી ઉકેલ આવશે?, શું ખેડૂતોને નક્કર ન્યાય મળશે? કે પછી ફરી એકવાર આશ્વાસનથી જ મામલો ઠંડો પાડવાનો પ્રયાસ થશે? ખોપી ગામમાંથી ઉઠેલો સવાલ હવે માત્ર એક ગામ પૂરતો સીમિત નથી રહ્યો.

આ સવાલ છે આદિવાસી ખેડૂતોના જમીનના હકનો… તેમના જીવનનિર્વાહનો… તેમના ભવિષ્યનો… અને ન્યાયનો. હવે જોવાનું એ છે કે સરકાર નિર્ણય કરશે કે ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનશે?

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button