શારદાદેવી સ્કૂલમાં ગુંજ્યું રાષ્ટ્રગાન, તિરંગાને સલામી સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
શારદાદેવી સ્કૂલમાં ગુંજ્યું રાષ્ટ્રગાન, તિરંગાને સલામી સાથે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી:
ડેડીયાપાડામાં શારદાદેવી સ્કૂલનો દેશભક્તિમય સ્વાતંત્ર્ય દિવસ: વિદ્યાર્થીઓએ રજૂ કર્યા સાંસ્કૃતિક કાર્યક્રમો
સર્જન વસાવા, ડેડીયાપાડા: શ્રીમતી શારદાદેવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ડેડીયાપાડા ખાતે દેશભક્તિ અને રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયેલો સ્વાતંત્ર્ય દિવસનો ભવ્ય કાર્યક્રમ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. સમગ્ર શાળા પરિસરમાં તિરંગા, દેશભક્તિના ગીતો અને વિદ્યાર્થીઓની વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો સાથે રાષ્ટ્રભાવનાનું વાતાવરણ છવાઈ ગયું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નવસારી કૃષિ યુનિવર્સિટી, ડેડીયાપાડાના વૈજ્ઞાનિક ડૉ.મીનાક્ષી તિવારી ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણ બાદ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં સંસ્થાના ફાઉન્ડર મોહનભાઈ કે. વલવી, શારદાબેન એમ.વલવી, પ્રમુખ વિપુલભાઈ એમ.વલવી, મંત્રી સંદીપભાઈ એમ. વલવી, પ્રિન્સિપાલ શિવરામભાઈ એમ.વસાવા, સમગ્ર શિક્ષકગણ અને સ્ટાફ, વાલીમિત્રો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ દેશભક્તિપૂર્ણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સુંદર રજૂઆતો, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને “દેશ પ્રથમ” અને “રાષ્ટ્રપ્રેમ સર્વોપરી”નો સંદેશ આપ્યો હતો.
મુખ્ય અતિથિ સહિત ઉપસ્થિત મહેમાનો, વાલીમિત્રો અને શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઉત્સાહ, શિસ્ત અને સુંદર રજૂઆતોને બિરદાવી હતી. કાર્યક્રમ દરમિયાન દેશની આઝાદી માટે બલિદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશસેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકગણ અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વાલીમિત્રોના સહકારથી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી સફળ અને યાદગાર બની હતી.
શ્રીમતી શારદાદેવી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ડેડીયાપાડા દ્વારા યોજાયેલી આ ઉજવણી માત્ર સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પૂરતી સીમિત ન રહી, પરંતુ નવી પેઢીમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના, એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીના સંસ્કારોનું સંવર્ધન કરતી પ્રેરણાદાયી ઉજવણી બની રહી હતી.



