ડેડિયાપાડામાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ડેડિયાપાડામાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રા:
રાષ્ટ્રપ્રેમના રંગે રંગાયું ડેડિયાપાડા, તિરંગા યાત્રામાં ઉમટ્યો જનઉત્સાહ:
સર્જન વસાવા, ડેડિયાપાડા: ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ડેડિયાપાડા ગ્રામ પંચાયત ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાન સાથે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ, કર્મચારીઓ, યુવાનો અને ગ્રામજનો જોડાયા હતા.
યાત્રામાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમિલાબેન વસાવા, મામલતદાર, ટીડીઓ, બાંધકામ સમિતિના ચેરમેન પંકજભાઈ સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો તથા અધિકારીઓ-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સહભાગીઓએ હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતાં સમગ્ર ડેડિયાપાડા દેશભક્તિના રંગે રંગાયું હતું.
તિરંગા યાત્રામાં યુવાનો સહિત ગ્રામજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. યાત્રા દરમિયાન રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન અને દેશપ્રેમની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ‘હર ઘર તિરંગા’ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે ગૌરવ અને રાષ્ટ્રીય એકતાની ભાવના મજબૂત કરવાનો છે.
ડેડિયાપાડામાં યોજાયેલી આ તિરંગા યાત્રાએ લોકોમાં દેશપ્રેમ, એકતા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ પહોંચાડ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ રીતે યોજાયેલી યાત્રાથી ડેડિયાપાડામાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ છવાયો હતો.



