નર્મદા ભાજપ લઘુમતી મોરચાના જિલ્લા સંયોજક મિનરાજ મલેકની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
નર્મદા ભાજપ લઘુમતી મોરચાના જિલ્લા સંયોજક મિનરાજ મલેકની મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજૂઆત:
વર્ષોથી ખેતી કરતા આદિવાસી ખેડૂતોને ખેતીથી અટકાવાતા રોષ, ન્યાય સંગત ઉકેલની માંગ
સર્જન વસાવા, ડેડિયાપાડા: નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વર્ષોથી ખેતી કરતા આદિવાસી ખેડૂતોના જંગલ જમીનના પ્રશ્ને ફરી એકવાર રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા જાગી છે. સાગબારા તાલુકાના ખોપી, બલવણ, પડી સહિતના 15 ગામોના ખેડૂતોના પ્રશ્નને લઈને નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચા સોશિયલ મીડિયા સેલના જિલ્લા સંયોજક મિનરાજ મલેકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી ન્યાય સંગત ઉકેલ લાવવાની માંગ કરી છે.
મુખ્યમંત્રીને કરાયેલી રજૂઆતમાં જણાવાયું છે કે સીમાડા વિસ્તારના આદિવાસી ખેડૂતો વર્ષોથી જંગલ વિસ્તારની જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ખેતી જ તેમનો જીવન નિર્વાહનો મુખ્ય આધાર હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી વન વિભાગ દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે ખેડૂતોને ખેતી કરતા અટકાવવામાં આવતા ભારે રોષ અને ભયનું વાતાવરણ સર્જાયું છે.
રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષોથી ખેતી કરતા ખેડૂતો સામે કડક કાર્યવાહી કરવાના બદલે તેમની સમસ્યાનો માનવતાપૂર્વક અને કાયદાકીય રીતે ઉકેલ લાવવામાં આવે. સાથે જ કોઈપણ પ્રકારના વિવાદ વિના ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે ખેતી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
મિનરાજ મલેકે મુખ્યમંત્રીને સંવેદનશીલ અભિગમ અપનાવી આદિવાસી ખેડૂતોના હિતમાં તાત્કાલિક નિર્ણય લેવા અપીલ કરી છે. હવે આ રજૂઆત બાદ રાજ્ય સરકાર અને વન વિભાગ આ મુદ્દે શું નિર્ણય લે છે તેના પર ખેડૂતોની નજર મંડાઈ છે.



