South Gujarat

નિનાઈ ધોધ પર વિકાસના દાવાઓની પોલ ખુલ્લી: જર્જરીત સુવિધાઓ વચ્ચે પ્રવાસીઓના જીવ જોખમમાં!

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ 

નિનાઈ ધોધ પર વિકાસના દાવાઓની પોલ ખુલ્લી: જર્જરીત સુવિધાઓ વચ્ચે પ્રવાસીઓના જીવ જોખમમાં!

પ્રવાસન સ્થળ કે બેદરકારીનું કેન્દ્ર? નિનાઈ ધોધ પર તૂટેલી રેલિંગ, જર્જરીત શેડ અને અવ્યવસ્થાનો માહોલ:

સર્જન વસાવા, ડેડીયાપાડા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં આવેલો નિનાઈ ધોધ ચોમાસાની ઋતુમાં હજારો પ્રવાસીઓને આકર્ષે છે. હરિયાળી વચ્ચે આવેલું આ કુદરતી સૌંદર્ય રાજ્યના મહત્વના પ્રવાસન સ્થળોમાં ગણાય છે. પરંતુ સ્થળ પર ઉપલબ્ધ સુવિધાઓની હાલત વિકાસના દાવાઓ સામે અનેક પ્રશ્નો ઊભા કરે છે.

સ્થળ પર જોવા મળતી સ્થિતિ મુજબ પ્રવાસીઓના આરામ માટે બનાવવામાં આવેલ શેડ જર્જરીત હાલતમાં છે. બેસવા માટે પૂરતી વ્યવસ્થા નથી અને જે એકાદ-બે બાકડાં છે તે પણ તૂટેલી હાલતમાં જોવા મળે છે. પ્રવાસીઓ માટે નીચે ધોધ સુધી જવા બનાવાયેલા પગથિયાં પર લગાવવામાં આવેલી લોખંડની સુરક્ષા રેલિંગ પણ અનેક જગ્યાએ તૂટેલી અને ક્ષતિગ્રસ્ત છે. વરસાદી મોસમમાં આવી સ્થિતિ પ્રવાસીઓની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઉભી કરે છે.

દર વર્ષે પ્રવાસન વિકાસ અને સુવિધાઓ વધારવાના દાવાઓ કરવામાં આવે છે, પરંતુ નિનાઈ ધોધ પર દેખાતી સ્થિતિ સૂચવે છે કે અહીંની મૂળભૂત સુવિધાઓની નિયમિત જાળવણી અને જરૂરી સમારકામ સમયસર થયું હોવાનું જણાતું નથી. સુરક્ષિત શેડ, મજબૂત બેસવાની વ્યવસ્થા અને સલામત રેલિંગ જેવી પાયાની સુવિધાઓનો અભાવ સ્પષ્ટપણે નજરે પડે છે.

સ્થાનિક લોકો અને અહીં આવતા પ્રવાસીઓનું કહેવું છે કે આ પ્રકારની ક્ષતિગ્રસ્ત સુવિધાઓનું તાત્કાલિક સમારકામ થવું જોઈએ. તેઓની માંગ છે કે પ્રવાસન સ્થળ તરીકે ઓળખ ધરાવતા નિનાઈ ધોધ ખાતે સુરક્ષા અને સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.

હવે જોવાનું એ રહેશે કે સંબંધિત વિભાગો અને જવાબદાર તંત્ર સ્થળ પરની આ વાસ્તવિક સ્થિતિને ધ્યાનમાં લઈને તાત્કાલિક પગલાં ભરે છે કે પછી કોઈ દુર્ઘટના બન્યા પછી જ કામગીરી હાથ ધરવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button