Political

નિરગુડમાળ ગામે પાણીની સમસ્યાનું નિરાકરણ ન થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

નિરગુડમાળ ગામે પાણીની સમસ્યાનું નિરાકરણ ન થતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી

પ્રદીપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આવેલ નિરગુડમાળ ગામ ખાતે નલ સે જલ યોજના હેઠળના નળ, કુવા, હેન્ડ પંપ વગેરે હોવા છતા પણ લોકોએ પાણી માટે મુશ્કેલી વેઠી રહ્યા છે. જેને લઇને સ્થાનિકોએ પાણી પુરવઠા વિભાગને લેખિતમાં રજૂઆત કરી હતી.તેમ છતા પણ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવેલ નથી. ત્યારે ગ્રામજનોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. અને ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે.

ડાંગ જિલ્લાના આહવા તાલુકાના લહાનચર્યા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ નિરગુડમાળ ગામના લોકો છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ગામમાં કુલ ૧૪ જેટલા હેન્ડ પંપ આવેલા છે. પરંતુ વધતી જતી ગરમીના કારણે પાણીનાં સ્તર નીચા જતા હેન્ડ પંપમાં પાણી જ આવતુ નથી. તેમજ નલ સે જલ યોજના હેઠળ દરેક ઘરે નળ લગાવવામાં આવેલ છે. પરંતુ નળમાં પણ પાણી જોવા મળતુ નથી. અને ગામમાં જે કૂવો આવેલો છે તેમાં પણ થોડું ઘણુ પાણી છે. પરંતુ તે પાણી પણ ગંદુ હોવાથી બિન ઉપયોગી સાબિત થઈ રહ્યુ છે. ત્યારે પાણીની સમસ્યાનું નિરાકરણ થાય અને બગડી ગયેલ હેન્ડ પંપોનું સમારકામ થાય તે હેતુથી ગામના આગેવાનોએ પાણી પુરવઠા વિભાગને લેખિતમાં એક મહિના પહેલા રજૂઆત કરી હતી. જોકે હજુ સુધી આ પ્રશ્નનો નિરાકરણ કરવામાં આવેલ નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ટૂંક સમયમાં પાણીના પ્રશ્નોનું નિરાકરણ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે. ત્યારે પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ કે સ્થાનિક વહીવટી તંત્ર સ્થળ તપાસ કરીને પ્રજાના પાણીના પ્રશ્નનું નિરાકરણ કરશે કે નહીં તે તો આવનાર દિવસોમાં જોવુ જ રહ્યુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button