ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિક સચિવ શ્રીમતી વર્ષા હેરમાના હસ્તે દેડિયાપાડાની નિવાલ્દા પ્રાથમિક શાળાના ૧૨૦ બાળકોના નામાંકન સાથે શાળા પ્રવેશ કરાવાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધિક સચિવ શ્રીમતી વર્ષા હેરમાના હસ્તે દેડિયાપાડાની નિવાલ્દા પ્રાથમિક શાળાના ૧૨૦ બાળકોના નામાંકન સાથે શાળા પ્રવેશ કરાવાયો:
માત્ર નોકરી માટે જ નહીં પરંતુ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે દીકરીને ભણાવવા પર ભાર મૂકતા અધિક સચિવ શ્રીમતી વર્ષા હેરમા:
સર્જન વસાવા, ડેડિયાપાડા : રાજ્ય સહિત નર્મદા યોજાયેલા ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૫ના આખરી દિવસે વિવિધ શાળામાં કાર્યક્રમ યોજાયા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગરના અધિક સચિવ શ્રીમતી વર્ષા હેરમાની ઉપસ્થિતીમાં દેડિયાપાડા તાલુકાની નિવાલ્દા પ્રાથમિક શાળાના ૧૨૦ બાળકોના નામાંકન સાથે શાળા પ્રવેશ કરાવાયો હતો.
આ પ્રસંગે શ્રીમતી વર્ષા હેરમાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ દેડિયાપાડા તાલુકાના ગામોમાંથી જ આ શાળા પ્રવેશોત્સવના પવિત્ર યજ્ઞનો પ્રારંભ સમગ્ર રાજ્યમાં કરાવ્યો હતો. બાળકોને શાળામાં દાખલ કરવાના કાર્યક્રમને ઉત્સવના રૂપમાં ફેરવ્યો. જેના પગલે સમગ્ર ગુજરાતમાં સૌને સમાન શિક્ષણ મળી રહે તે માટેના પ્રયાસો થયા જેના સારા પરિણામો આજે આપણે જોઈ શકીએ છીએ.
વધુમાં શ્રીમતી હેરમાએ જણાવ્યું કે, શાળા પ્રવેશોત્સવ દરેક બાળકના જીવનમાં માત્ર એકજ વખત આવે છે, આ બાળકોનો ઉત્સવ છે. શિક્ષણથી જ બાળકોનું જીવન ઘડતર થાય છે. ત્યારે દીકરીને ભણાવવા માટે વાલીઓ આગળ આવે તે જરૂરી છે. શિક્ષણ માનવ મૂલ્યોને વધુ મજબૂત બનાવી શ્રેષ્ઠ માનવી બનવાનો અવસર આપે છે. તેથી માત્ર નોકરી માટે જ નહીં પરંતુ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે દીકરીને ભણાવવી જરૂરી છે. જે આપણે ભોગવ્યું છે તે બાળકોને વેઠવું ન પડે તે માટે બાળકોના શિક્ષણ પર ભાર મૂકવો જોઈએ. ગુજરાત સરકાર બાળકોના શિક્ષણ માટે ખૂબ ગંભીર છે અને શિક્ષણ તથા બાળકોને કેન્દ્રમાં રાખીને અનેક યોજનાઓ પણ અમલમાં મૂકી છે તેનો લાભ લેવા સૌને અપીલ કરી હતી.
બાળકોના શાળા પ્રવેશ બાદ શાળા કંપાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાથે શાળાની પ્રગતિ અને બાળકોના શિક્ષણના મૂલ્યાંકન માટે SMC ના સભ્યો સાથે બેઠક યોજી હતી.
શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રીમતી રવિન્દ્રાબેન વસાવા, નાયબ માહિતી નિયામકશ્રી અરવિંદ મછાર, ગામના અગ્રણી શ્રી ધરમસિંગ વસાવા, ગામના નાગરિકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.



