Narmada

આદિવાસી વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની નવી દિશા: નિવાલ્દામાં 800થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું માર્ગદર્શન

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

આદિવાસી વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની નવી દિશા: નિવાલ્દામાં 800થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું માર્ગદર્શન

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ-નિવાલ્દા ખાતે વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો

સાચું માર્ગદર્શન, યોગ્ય નિર્ણય અને સંકલ્પબદ્ધ તૈયારીથી ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ : જિલ્લા વહીવટી તંત્રનો મહત્વપૂર્ણ પ્રયાસ

સર્જન વસાવા, ડેડિયાપાડા: આદિવાસી બહુલ અને આકાંક્ષી નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને અભ્યાસ બાદની કારકિર્દીની વિવિધ તકો અંગે યોગ્ય માર્ગદર્શન મળી રહે અને તેઓ પોતાની ક્ષમતા, રસ તથા લક્ષ્ય અનુસાર યોગ્ય કારકિર્દી પસંદ કરી શકે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા કલેક્ટરશ્રી ગંગા સિંઘના માર્ગદર્શન હેઠળ સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ, નિવાલ્દા ખાતે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો.

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા શિક્ષણ વિભાગ અને રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સેમિનારમાં દેડિયાપાડા તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના 800થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને કારકિર્દીની નવી તકો અંગે વ્યવહારુ તથા સાચી દિશા આપવાનો જિલ્લા વહીવટી તંત્રનો આ પ્રયાસ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઘડતર માટે મહત્વપૂર્ણ સાબિત થયો હતો.

સેમિનારમાં પ્રાઈડ કેરિયર એકેડેમી, સુરતના શ્રી જગદીશભાઈ બરવાળીયા દ્વારા વિવિધ રાજ્ય અને કેન્દ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ, પરીક્ષાનો અભ્યાસક્રમ, પરીક્ષા પદ્ધતિ, લાયકાતના ધોરણો તથા વિવિધ સરકારી ક્ષેત્રોમાં પ્રવેશ માટે જરૂરી તૈયારી અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ધોરણ-10 પછી કયો પ્રવાહ પસંદ કરવો અને ધોરણ-12 બાદ કયા ક્ષેત્રમાં અભ્યાસ કરવો તે અંગે પણ વિદ્યાર્થીઓને સરળ અને રસપ્રદ રીતે માર્ગદર્શન આપી કારકિર્દીની પસંદગી માટે જરૂરી સમજણ આપવામાં આવી હતી.

“કારકિર્દીનું નિર્માણ ધોરણ-10 અને 12થી જ શરૂ થાય છે”

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી ડૉ. કિરણબેન પટેલે વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, કારકિર્દી ઘડતરનો પાયો શાળાકીય શિક્ષણ દરમિયાન જ મજબૂત બને છે. ધોરણ-10 અને 12 બાદની તકોને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ સમયસર પોતાનું લક્ષ્ય નક્કી કરી તે મુજબ અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી શરૂ કરવી જોઈએ. યોગ્ય આયોજન, સતત મહેનત અને સમયસર તૈયારીથી સરકારી તથા અન્ય ક્ષેત્રોમાં કારકિર્દીની ઉત્તમ તકો પ્રાપ્ત કરી શકાય છે તેમ તેમણે સમજાવ્યું હતું.

પોતાની શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ આપ્યું સફળતાનું પ્રેરણાદાયી માર્ગદર્શન

સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ-નિવાલ્દાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલમાં સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા સુશ્રી સુનિતાબેન વસાવા, શ્રી વિજયકુમાર વસાવા, સુશ્રી જાગૃતિબેન વસાવા અને શ્રી દિપ્તેશભાઈ વસાવાએ વિદ્યાર્થીઓ સાથે પોતાના અનુભવો શેર કર્યા હતા.

તેમણે પંચાયત વિભાગની પરીક્ષાઓ, મહેસૂલ વિભાગની પરીક્ષાઓ તેમજ શિક્ષણ વિભાગની TET-TAT જેવી પરીક્ષાઓ અંગેની વિગતો, લાયકાત, તૈયારીની પદ્ધતિ, અભ્યાસનું આયોજન તથા પરીક્ષા પાસ કરવા માટેની અસરકારક રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. પોતાની જ શાળામાંથી ભણીને સરકારી સેવામાં પહોંચેલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના અનુભવો સાંભળવાથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને “આપણે પણ કરી શકીએ” તેવી ભાવના વધુ મજબૂત બની હતી.

આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ માટે તકોની જાણકારી એટલે ભવિષ્યની દિશા

નર્મદા જેવા આદિવાસી અને આકાંક્ષી જિલ્લામાં પ્રતિભાની કોઈ કમી નથી, પરંતુ યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન અને તકોની માહિતી મળવી એ વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ બાબતને ધ્યાને લઈ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શિક્ષણની સાથે કારકિર્દી માર્ગદર્શનને પણ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

વિદ્યાર્થીઓને માત્ર “શું ભણવું?” નહીં પરંતુ “કેમ ભણવું, ક્યાં પહોંચવું અને ત્યાં પહોંચવા માટે અત્યારથી શું કરવું?” તેની સમજણ મળે તેવા પ્રયાસરૂપે યોજાયેલ આ સેમિનાર આદિવાસી વિદ્યાર્થીઓમાં કારકિર્દી અંગે જાગૃતિ વધારવા માટે મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો છે.

વિદ્યાર્થીઓના પ્રતિભાવમાં જોવા મળ્યો ઉત્સાહ અને આત્મવિશ્વાસ

સેમિનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તેમના માટે અત્યંત ઉપયોગી અને માર્ગદર્શક સાબિત થયો છે. વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, અભ્યાસના વિકલ્પો અને કારકિર્દીના ક્ષેત્રો અંગે અગાઉ કરતાં વધુ સ્પષ્ટતા મળી છે. ભવિષ્યમાં ચોક્કસ દિશામાં આગળ વધવા તથા કારકિર્દીનું યોગ્ય આયોજન કરવામાં આ સેમિનાર ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું.

વિદ્યાર્થીઓએ આવા માર્ગદર્શન સેમિનારોનું નિયમિત આયોજન થાય તેવી અપેક્ષા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આદિવાસી વિસ્તારના બાળકોને યોગ્ય સમયે યોગ્ય દિશા મળે તો તેઓ પણ રાજ્ય અને દેશની પ્રતિષ્ઠિત સેવાઓમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી શકે છે.

“સાચું માર્ગદર્શન → યોગ્ય નિર્ણય → સંકલ્પબદ્ધ તૈયારી → ઉજ્જવળ ભવિષ્ય”

આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓની પ્રતિભાને યોગ્ય દિશા આપી તેમને શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને રોજગારની વિવિધ તકો સાથે જોડવાનો જિલ્લા વહીવટી તંત્રનો આ પ્રયાસ “આકાંક્ષી નર્મદા”ને વધુ સશક્ત અને સક્ષમ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. શિક્ષણ અને કારકિર્દી ક્ષેત્રે આવી પહેલો દ્વારા નર્મદાના વિદ્યાર્થીઓને સ્થાનિક સીમાઓથી આગળ વધીને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરવાની નવી તકો મળી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button