આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ કણજા પ્રાથમિક શાળાનાં ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
આદિજાતિ રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ કણજા પ્રાથમિક શાળાનાં ભૂલકાંઓને શાળા પ્રવેશ કરાવ્યો
ગ્રામીણ ટુડે ન્યુઝ, તાપી: રાજ્ય સરકારના મહત્વકાંક્ષી કાર્યક્રમ એવા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ અંતર્ગત વ્યારા તાલુકાના પ્રાથમિક શાળા કણજા, ઉત્તર બુનિયાદી કન્યા વિદ્યાલય બેડકુવાદૂર અને જ્ઞાનદીપ વિદ્યાલય ઉંચામાળા ખાતે રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષસ્થાને “આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ હેઠળ કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.
કાર્યક્રમના પ્રારંભ વેળાએ ઉપસ્થિત બાળકો,વાલીઓ અને ગ્રામજનોને સંબોધતા રાજયમંત્રી હળપતિએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ફળશ્રુતિ સ્વરુપે શિક્ષણનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, શિક્ષણ વિના આપણું જિવન પાંગળુ છે. શિક્ષણ માત્ર નોકરી માટે નહીં, પરંતુ પોતાનું જીવનધોરણ સુધારવા માટે ખૂબ જરૂરી છે
આ પ્રસંગે મંત્રી કુંવરજીભાઇ હળપતિએ રાજયના તત્કાલિન મુખ્યમંત્રી અને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના પ્રણેતા અને હાલ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીને યાદ કરી તેમણે કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમને કારણે રાજયના ડ્રોપ આઉટ રેટમાં ધરખમ ઘટાડો નોંધાયો છે એમ ઉમેર્યું હતું.
તેમણે રાજયના મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા શરૂ કરવામાં આવેલી નમો સરસ્વતિ અને નમો લક્ષ્મી યોજના,પાઇલોટ બનવા માટે આપવામાં આવતી સહાય જેવી વિવિધ યોજનાઓ અંગે વિગતે જાણકારી આપી હતી. આ યોજનાઓ થકી થનારા ફાયદાઓ અંગે પણ વિગતે છણાવટ કરી, આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓ તેમજ કેન્દ્ર અને રાજય સરકારની યોજનાઓ અંગે પણ વિગતે માહિતી આપી હતી.
વધુમાં ઉમેર્યું હતું કે,મુખ્યમંત્રીએ આ વર્ષે પ્રાથમિક શાળાઓ સાથે માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણીની અને શાળા પ્રવેશોત્સવ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે એ આપણા સૌણા માટે ગૌરવની વાત છે. આ શુભ કાર્યથી ધોરણ ૯ થી ૧૨ ધોરણમાં બાળકોના પણ ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો જોવા મળશે.
કાર્યક્રમના પ્રારંભે શાળાના બાળકોએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કર્યું હતું. શાળાના બાળકોએ પર્યાવરન બચાવો, વ્યસનથી થતા ગેરફાયદાઓ જેવા વિષયો પર તેમના મંતવ્યો રજૂ કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના બાળકોએ કર્યું હતું.
આ પ્રસંગે વિદ્યાર્થીઓને સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ શિષ્યવૃતિ પરીક્ષામાં ઉતીર્ણ થયેલ અને શાળામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર તેજસ્વી વિદ્યાર્થી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ઉપસ્થિત વાલીઓ, શિક્ષકો, ગ્રામજનો અને બાળકોએ પર્યાવરણ જતન, સ્વચ્છતા, વ્યસન મુક્તિ અને ટ્રાફિક નિયમો પાલન કરવાના શપથ ગ્રહણ કર્યા હતા.
મંત્રીએ શાળા સમિતિના સભ્યો તથા વાલીઓ સાથે બેઠક યોજી, શાળાના વિકાસ કાર્ય તથા વાલીઓની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત આદિજાતિ સમુદાય અને આદિમ જૂથના લોકોને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી અને તેમના પ્રશ્નો અંગે સમાધાન માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. કાર્યક્રમ અંતે રાજ્ય મંત્રીશ્રીએ શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરી, પર્યાવરણ જાળવવાનો સંકલ્પ કર્યો હતો.
આ પ્રંસગે સંગઠનના પ્રમુખ અને પુર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી સુરજભાઇ વસાવા સહિત અન્ય પધાધિકારીઓ કણજા,ઉંચામાળા,બેડકુવાદુરના સરપંચશ્રીઓ,ગામના અગ્રણીઓ,ગ્રામજનો,વાલીઓ,શિક્ષકગણ અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.



