South Gujarat

વઘઈ ખાતે ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ ની ઉજવણી કરાઈ

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વઘઈ ખાતે ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ ની ઉજવણી કરાઈ

દિનકર બંગાળ, વઘઈ: સિકલ સેલ એનેમિયા એ એક આનુવંશિક બિમારી (જિનેટિક બ્લડ ડિસઓર્ડર) છે, જે મુખ્યત્વે આદિવાસી સમુદાયના લોકોને અસર કરે છે. સમગ્ર વિશ્વમાં આ બીમારી પ્રત્યે જાગૃતિ વધારવાના ઉદ્દેશથી પ્રતિ વર્ષ ૧૯ જૂનના રોજ ‘વિશ્વ સિકલ સેલ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લાના વઘઇ ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિતના અધ્યક્ષ સ્થાને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિકલસેલ એનિમિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઇ ગાવિતે જણાવ્યું કે, સિકલસેલ એ આનુવંશિક રોગ છે. પ્રતિ વર્ષ આ દિવસની ઉજવણી કરી સૌને યાદ અપાવવામાં આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં સિકલ સેલ નાબૂદી માટેનો દેશવાસીઓને લક્ષ્યાંક આપ્યો છે, ત્યારે આ ધ્યેયને સિદ્ધ કરવા માટે નાગરિક તરીકે આપણે સ્વયં જાગૃત થઈને સિકલસેલ જેવી બિમારી અંગે જાગૃતિ ફેલાવીએ, સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રયાસો તથા શિક્ષણના માધ્યમથી આ બિમારીને આપણે નાબૂદ કરી શકીએ છીએ. ડાંગ જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોવાથી અહીં સિકલસેલનું પ્રમાણ વધુ જોવા મળે છે ત્યારે, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આજે જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ શાળાઓમાં સિકલસેલ એનિમિયાનું સ્ક્રિનીંગ કરવામાં આવ્યું છે. જે ખૂબ જ પ્રસંશનીય બાબત છે, તેમ શ્રી ચંદરભાઇએ વધુમાં જણાવ્યું હતુ.

જિલ્લાના ઇન્ચાર્જ અધિક આરોગ્ય અધિકારી શ્રીમતી ડો. સ્વાતી પવારે પોતાના પ્રાસંગિક વકતવ્યમાં સિકલસેલ એનિમિયાના લક્ષણો અને તેના નિદાન અંગેની વિસ્તૃત જાણકારી આપી હતી.

હાલમાં આરોગ્ય ક્ષેત્રમાં ટેકનોલોજી સંશોધનથી સિકલસેલના દર્દીઓ લાંબુ આયુષ્ય જીવી શકે છે. સિકલસેલના દર્દીઓ ઓછુ જીવે છે, તે માન્યતા તોડવાની જવાબદારી આપણી છે. તેમ આહવા સિવિલ હોસ્પિટલના મનોચિકિત્સકશ્રી ડો.અંકિત રાઠોડે જણાવ્યું હતુ. લગ્નની કુંડળી જોતા પહેલાં સિકલસેલના વાહક છે કે નહિ તે ચકાસવું જરૂરી છે, તેમ જણાવી ડો.રાઠોડે, સિકલસેલના બન્ને વાહકો હોય તો તેઓએ એકબીજા સાથે લગ્ન કરવા જોઇએ નહિં. જેથી ભવિષ્યમાં સિકલસેલના દર્દીઓમાં ધટાડો કરી શકાય છે, તેમ ઉમેર્યું હતું. તેમજ સિકલસેલની માહિતી મેળવી અન્ય લોકોને પણ આ બિમારી વિશે જાગૃત કરવા શ્રી અંકિત રાઠોડે લોકોને અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન શ્રીમતી મયનાબેન બાગુલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી એસ.જી.તબીયાર, ડાંગ જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસરશ્રી ડો.ડી.કે.શર્મા, વઘઇ મામલતદાર શ્રી એમ.આર.ચૌધરી, વઘઇ તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી મિનાબેન પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સિકલસેલ એનિમિયાંએ વારસાગત રોગ છે. જે રંગસુત્રોની ખામીને લીધે થાય છે. સિકલસેલ રોગમાં ખામીયુક્ત રંગસુત્રો માતા-પિતામાંથી બાળકને વારસામાં મળે છે.

સિકલસેલ એનિમિયા વિશે જાણવા જેવુ

ભારતના મોટાભાગના આદિવાસી રાજ્યોમાં આ રોગનુ પ્રમાણ ૨ થી ૩૪ ટકા સુધીનું છે. ગુજરાતમાં દાંતાથી ડાંગ સુધીના પુર્વના ડુંગરાળ વિસ્તારમાં વસેલા આદિવાસીઓમાં આશરે દર ૧૦૦ વ્યક્તિએ ૫ થી ૩૪ લોકો સિકલસેલ વાહક અને ૧ થી ૨ વ્યક્તિ સિકલસેલ રોગ ધરાવે છે. ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, ગોધરા, ભરૂચ,નર્મદા, વડોદરા, સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લાના આદિવાસીઓમાં આ રોગનું પ્રમાણ વધુ છે. દરેક વ્યક્તિને ખાસ કરીને સિકલસેલ રોગવાળા બાળકોને આ રોગને લીધે વારેઘડીએ ગંભીર કટોકટીઓ ઉદ્ભવવાની શક્યતા રહે છે.

સિકલસેલના પ્રકાર

સિકલસેલના બે પ્રકાર છે. સિકલસેલ વાહક (૫૦%) અને સિકલસેલ ડીસીઝ (૧૦૦%) છે. સિકલસેલ વાળું કપલ લગ્ન કરે તો બાળક સિકલસેલ વાળૂં જન્મે છે. તેથી સિકલસેલ વાળા સ્ત્રી અને પુરૂષે લગ્ન ના કરવા જોઇએ.

સિકલસેલ ડીસીઝનાં લક્ષણો

શરીર ફીક્કુ પડી જવું, વારંવાર કમળો થવો, બરોળ મોટી થવી, હાથ અને પગનાં સાંધામાં સોજો આવવો, અને દુ:ખાવો થવો, વારંવાર તાવ આવવો. શરીરમાં કળતર થવું, મુત્રમાં લોહી જવાની તકલીફ, સગર્ભા માતાને ગર્ભપાત થવાની તકલીફ.

સિકલસેલના દર્દીએ લેવાની કાળજી

સિકલસેલના દર્દીએ ખૂબ પાણી પીવુ જોઈએ, નિયમિત ફોલિક એસીડ અને જરૂરી દવા લેવી જોઈએ, લીલા શાકભાજી/ફળોનો ઉપયોગ તેમજ સમતોલ આહાર લેવો જોઈએ, વધુ ઠંડીમાં મફલર પહેરવા તથા નિયમિત ડોકટરી તપાસ કરાવવી જોઈએ.

આવા દર્દીએ વધુ શારીરિક શ્રમવાળી કસરતો ન કરવી જોઈએ, વધુ ઉંચાઈવાળી જગ્યાએ ન જવુ જોઈએ, વધુ ગરમીમાં બહાર ન જવું તેમજ વરસાદ કે ઠંડા પાણીમાં પલળવું નહીં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button