South Gujarat

ગંગપુરની શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓએ સંસ્કૃતિના રંગો પાથર્યા:

‘આદિવાસી સમાજ કોઈ ક્ષેત્રમાં પાછળ ન રહે’: જશવંત દેવરે વિદ્યાર્થીઓને કર્યું પ્રેરક આહવાન

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ગંગપુરની શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, વિદ્યાર્થીઓએ સંસ્કૃતિના રંગો પાથર્યા:

‘આદિવાસી સમાજ કોઈ ક્ષેત્રમાં પાછળ ન રહે’: જશવંત દેવરે વિદ્યાર્થીઓને કર્યું પ્રેરક આહવાન

કમલેશ ગાવિત, વાંસદા: ભારત સેવાશ્રમ સંઘ, ગંગપુર સંચાલિત શ્રીયમ. એમ. પી. કાપડિયા વિદ્યામંદિર, ગંગપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના હિતેચ્છુ તથા સામાજિક કાર્યકર્તા શ્રી જશવંત દેવરે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમની શરૂઆત સંસ્થાના મંત્રી સ્વામીશ્રી વિશ્વરૂપાનંદજી મહારાજ તથા ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

શાળાના આચાર્ય શ્રી મણીલાલભાઈ પટેલે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું. શાળાના ડાયરેક્ટર શ્રી કિશોર પટેલે પ્રસંગોચિત વક્તવ્ય આપી વિશ્વ આદિવાસી દિવસના મહત્વ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા.

આ પ્રસંગે સંસ્થાના દાતા તથા અમેરિકામાં નિવાસ કરતા શ્રી નીતિન શાહના સુપુત્ર શ્રી સુકેન શાહના 50મા જન્મદિવસ નિમિત્તે સંસ્થા પરિવાર, શાળા પરિવાર તથા વિદ્યાર્થીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. તેમના સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ માટે ભગવાનને પ્રાર્થના કરી સંસ્થા તથા શાળાને તેઓ સતત સહયોગ આપતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

ત્યારબાદ શાળાના શિક્ષકોએ પણ વિશ્વ આદિવાસી દિવસ અને આદિવાસી સંસ્કૃતિના મહત્વ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. મુખ્ય વક્તા શ્રી જશવંત દેવરેએ વિદ્યાર્થીઓને સંબોધતા આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા અને સંસ્કૃતિનું સ્મરણ કરાવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને પોતાની સંસ્કૃતિનું જતન કરવા તથા શિક્ષણ, વિકાસ અને પ્રગતિના કોઈપણ ક્ષેત્રમાં આદિવાસી સમાજ પાછળ ન રહી જાય તે માટે અથાગ પ્રયાસો કરવા આહવાન કર્યું હતું.

કાર્યક્રમમાં સંસ્થાના રાજુભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર ભાવેશભાઈ પટેલ સહિત સંસ્થાના અગ્રણીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દાતા પરિવાર તરફથી તમામ વિદ્યાર્થીઓને ભેળ તથા કેળાંનો પૌષ્ટિક નાસ્તો આપવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પૂર્વીબેન તથા નિર્મળાબેન દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા કલ્પેશભાઈ, ટ્વિંકલભાઈ તથા ગૃહપતિ આનંદભાઈએ સહયોગ આપ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button